જામનગર-કાલાવડ રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર યુવાનનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના 32 વર્ષીય લક્ષ્મણભાઇ પ્રેમજીભાઇ ચૌહાણ તા. 8 ઓગસ્ટની સાંજે પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ લઇને સસરાની તબિયત ખરાબ હોવાથી કાલાવડ તથા રાજસ્થળી ગામ તરફ જતા હતા. દરમિયાન રાજકોટ રોડ પર મધુરમ હોસ્પિટલ પછીની ગોળાઇ પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી લક્ષ્મણભાઇની મોટરસાઇકલને હડફેટે લીધી હતી.
અકસ્મતમાં લક્ષ્મણભાઇને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ જમણા પગમાં ઇજા થઇ હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયો હતો. દરમિયાન લક્ષ્મણભાઇનો મોબાઇલ કૈલાશનગરના પુલ પાસેથી એક અજાણ્યા વ્યક્તિને મળ્યો હતો. તેણે પરિવારજનોને જાણ કરતાં લક્ષ્મણભાઇના પિતા પ્રેમજીભાઇ અને ભાઇ રાહુલ તપાસ કરતા રાજકોટ રોડ પર મધુરમ હોસ્પિટલ પછીની ગોળાઇ પાસે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ તથા લોકોની હાજરીમાં લક્ષ્મણભાઇ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
પરિવારજનો લક્ષ્મણભાઇને એમ્બ્યુલન્સ મારફતે કાલાવડ સરકારી દવાખાને લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પિતા પ્રેમજીભાઇ ચૌહાણે અજાણ્યા વાહનચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 101(1), 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 મુજબ ફરિયાદ નોંધાવી છે.









