જામનગરના ધ્રોલ પંથકમાંથી આજથી 4 માસ પહેલાં ગુમ થયેલી સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : ધ્રોલ તાલુકાના સોયલ પંથકમાંથી આશરે ચાર માસ પહેલાં સગીરાનું અપહરણ થયાના બનાવમાં ધ્રોલ પોલીસે વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી સગીરા તથા આરોપીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી શોધી કાઢ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સગીરાની તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 137(2) તથા 87 હેઠળ સગીરાના અપહરણ અંગે ગુનો નોંધાયો હતો. સગીરા તથા આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સગીરા અને આરોપી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે હરીમંગલ સોસાયટીમાં રહે છે.
બાતમીના આધારે ધ્રોલ પોલીસની ટીમ અંકલેશ્વર પહોંચી હતી અને તપાસ હાથ ધરી આરોપી રોહીત ભરતભાઇ મણવર (ઉ.વ.24) તથા સગીરાને શોધી કાઢી ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આરોપી મૂળ રોજીયા ગામ, તા.ધ્રોલનો હોવાનું અને અંકલેશ્વરમાં મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી પોતાના સાથે લઇ ગયો હતો. ત્યારબાદ અંકલેશ્વરમાં ભાડાના મકાનમાં સગીરાને પોતાની સાથે રાખી પોતાની ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે.
સગીરા મળી આવ્યા બાદ પોલીસે તેની તબીબી તપાસ તથા અન્ય જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સગીરાને તેના માતા-પિતા પાસે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, પરંતુ સગીરાએ માતા-પિતા સાથે જવાનો ઇનકાર કરતાં હાલ તેને જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં આશ્રય માટે મોકલવામાં આવી છે.
સગીરાના નિવેદન તથા તબીબી તપાસ સહિતની કાર્યવાહી બાદ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો અધિનિયમ તેમજ દુષ્કર્મને લગતી કલમો ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.




