Zakir Naik Bangladesh Visit Cancellation : ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા કટ્ટરપંથી ધર્મ પ્રચારક ઝાકિર નાઈકને આખરે બાંગ્લાદેશમાં પ્રવેશ નહીં મળે. ભારત સરકારના વિરોધ બાદ મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે આ મામલે પોતાનો નિર્ણય બદલ્યો છે. બાંગ્લાદેશ સરકાર આ મહિનાના અંતમાં એટલે કે 28-29 નવેમ્બરે ઢાકામાં ઝાકિર નાઈક માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારીમાં હતી, જેના પર ભારતે વાંધો ઉઠાવ્યો હતો.
ભારતે શું કહ્યું હતું?
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, જો ઝાકિર નાઈક બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે, તો ભારત તેના પ્રત્યાર્પણની આશા રાખશે. આ વલણના કારણે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ઝાકિર નાઈકના પ્રવેશ પર હાલ પૂરતો રોક લગાવી દીધી છે.
યૂનુસનું કટ્ટરપંથીઓને સમર્થન
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના તખ્તાપલટ પછી બાંગ્લાદેશમાં ઈસ્લામિક તાકાતોનો પ્રભાવ ઘણો વધી ગયો છે. મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર કટ્ટરપંથીઓને સમર્થન આપી રહી છે. નોંધનીય છે કે ઝાકિર નાઈક પર વર્ષ 2016ના જુલાઈ મહિનામાં ઢાકા બેકરી આતંકવાદી હુમલામાં સામેલ થવાનો આરોપ પણ છે.
ચૂંટણીઓ બાદ નાઈકની યાત્રા યોજાશે
બાંગ્લાદેશ સરકારે કહ્યું છે કે, ઝાકિર નાઈક જો દેશમાં આવશે તો તેના સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ શકે છે. તેની સુરક્ષા વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવા પડશે. બાંગ્લાદેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હોવાથી સુરક્ષા દળો પહેલેથી જ વ્યસ્ત છે. સુરક્ષા કર્મચારીઓની તહેનાતીને ધ્યાને રાખી બેઠકમાં નિર્ણય કરાયો છે કે, ઝાકિર નાઈકની બાંગ્લાદેશ યાત્રા સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા પછી યોજવામાં આવશે.
આ પણ વાંચો : વિશ્વભરને ચેતવણી... તાપમાન વધશે તો શું થશે? જુઓ રિપોર્ટ


