Pakistan Afghanistan Conflict 2026 : રમઝાનના પવિત્ર મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરીને કાબુલ, કંદહાર અને પક્તિયા સહિતના વિસ્તારોમાં મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં સામાન્ય નાગરિકો અને ઈંધણના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે.
ઈંધણના ડેપો પર એટેક
પાકિસ્તાની વિમાનોએ કંદહાર એરપોર્ટ પાસે આવેલી ખાનગી એરલાઇન 'કામ એર' ના ફ્યુઅલ ડેપોને નિશાન બનાવ્યું છે. આ કંપની સંયુક્ત રાષ્ટ્ર (UN) ના વિમાનોને પણ ઈંધણ પૂરું પાડે છે. તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની બોમ્બમારો રહેણાંક વિસ્તારોમાં થયો છે, જેમાં નિર્દોષ મહિલાઓ અને બાળકોના મોત થયા હોવાની આશંકા છે. તાલિબાને આ કાર્યવાહીને 'ક્રૂર આક્રમકતા' ગણાવતા કહ્યું કે, ઈદ જેવા તહેવાર નજીક હોવા છતાં પાકિસ્તાન આવા હુમલા કરીને નૈતિક મૂલ્યો નેવે મૂકી રહ્યું છે.
અફઘાનિસ્તાનનો પલટવાર અને ચેતવણી
અફઘાન પ્રવક્તાએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને બદલો લેવાની કસમ ખાધી છે. અફઘાનિસ્તાને ચેતવણી આપી છે કે આ 'ઘૃણાસ્પદ અપરાધ'નો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
બંને દેશો વચ્ચે 'આર-પાર'ની લડાઈ
આ કોઈ પ્રથમ ઘટના નથી, છેલ્લા કેટલાક સમયથી બંને દેશોની સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. પાકિસ્તાની સૂચના મંત્રીએ અગાઉ દાવો કર્યો હતો કે તેઓ માત્ર આતંકી મથકો (Military Bases) ને નિશાન બનાવી રહ્યા છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે, અગાઉની જવાબી કાર્યવાહીમાં તેમણે 55 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા અને પાકિસ્તાનની 19 સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી લીધો હતો.


