Get The App

ઇરાન-અમેરિકા યુદ્ધ ટળી જશે ? બંને દેશો તુર્કીમાં 'ન્યૂ-કિલયર-ડીલ' અંગે મંત્રણા કરશે

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન-અમેરિકા યુદ્ધ ટળી જશે ? બંને દેશો તુર્કીમાં 'ન્યૂ-કિલયર-ડીલ' અંગે મંત્રણા કરશે 1 - image

- ઇરાન - અમેરિકા વચ્ચે મોસ્કોમાં બે દિવસથી મંત્રણા ચાલે છે

- કાળા સમુદ્રના તટે રહેલા ઐતિહાસિક શહેર 'કોન્સ્ટન્સટીનોપાલ'માં 6ઠ્ઠી ફેબ્રુઆરી.થી મંત્રણા થશે : ઇરાન તરફથી વિદેશ મંત્રી અરાધયી, અમેરિકા તરફથી વિશેષ દૂત વિટ-કૉફ હાજર હશે

નવી દિલ્હી : એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થવાના સંકેત મળી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકા-ઇરાન સંભવિત યુદ્ધ પણ ટળી જશે તેમ લાગે છે. કારણ કે બંને દેશો પરમાણુ સમજૂતી અંગે મંત્રણા કરવા તૂર્કીનાં કાળા-સમુદ્ર તટે રહેલા ઐતિહાસિક નગર કોન્સ્ટન્સટીનોપાલમાં (ઇસ્તંબુલ)માં ૬ઠ્ઠી ફેબ્રુઆરી.થી મંત્રણા શરૂ કરવાના છે. તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને ઇરાન તરફથી તેના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાધયી ઉપસ્થિત રહેવાના છે. તેઓની સાથે નાનાકડા પ્રતિનિધિ મંડળો પણ રહેશે જે સહજ છે.

આ મંત્રણામાં સઉદી અરબસ્તાન, ઇજીપ્ત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના પણ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ મંત્રણાનો હેતુ ઇરાનના પરમાણુ કાર્યક્રમને લીધે ઉપસ્થિત થયેલો વિવાદ રાજદ્વારી રીતે ઉકેલવા અને મધ્ય પૂર્વમાં ક્ષેત્રીય યુદ્ધની સંભાવના દૂર કરવાનો છે. ઇરાન અને અમેરિકા વચ્ચે તંગદીલી ઘટાડવા મોસ્કોમાં પણ બે દિવસથી મંત્રણા ચાલી રહી છે.

તે સર્વવિદિત છે કે, ઇરાનમાં ખામેનેઈ-સરકાર વિરૂધ્ધ લોકો સડક ઉપર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શનો કર્યાં હતાં. ઇરાનમાં સત્તા પલટ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઇ હતી. ૧૯૭૯ની ક્રાંતિ પછી આ વખતે ફરી એકવાર ઇરાન ગંભીર સંકટમાં આવી પડયું છે. ઇરાનની આવી તંગદીલી ભરેલી સ્થિતિમાં, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે સીધો હસ્તક્ષેપ તો નથી કર્યો પરંતુ, ઇરાનને ચેતવણી આપતા હોય તે રીતે તેઓએ અમેરિકાનાં પ્રબળ યુદ્ધ જહાજો ઇરાન ફરતાં તૈનાત કર્યાં છે, અને ઇરાન સાથે સીધા યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી કરી, તેઓએ દુનિયાને આંચકો આપી દીધો છે.

અમેરિકાનાં આ પગલાથી ગભરાયેલા ઇરાને પરમાણુ સમજુતી અંગે મંત્રણા કરવા સહમતી દર્શાવી.

બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે ૩ શરતો મુકી. (૧) ઇરાન યુરેનિયમનું પ્રોસેસિંગ બંધ કરે. (૨) બેલાસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ બંધ કરે. (૩) અને આતંકી જૂથોને પણ સમર્થન આપવું બંધ કરે.

ઇરાને આ ત્રણે માગણીઓ પોતાનાં સાર્વભૌમત્વ ઉપરનાં આક્રમણ સમાન જણાવી હતી અને તે ત્રણે માગણીઓ ફગાવી દીધી. પરંતુ કોઈ પણ પૂર્વ શર્ત વિના મંત્રણા કરવાની અમેરિકાને ઓફર કરી હતી. સાથે યુરેનિયમ પ્રોસેસિંગ ઓછી માત્રામાં કરવા તૈયારી દર્શાવી.

ઇરાનનાં વિદેશ મંત્રાલયના પ્રવકતા, ઇસ્માઇલ બાદાઈએ કહ્યું કે, ઇરાન પર લગાડેલા પ્રતિબંધો ખતમ કરવા જોઈએ.  અમેરિકાએ તેના નૌકા જહાજો પાછા ખેંચી લેવા જોઈએ.

આ સાથે ઇરાને સ્પષ્ટતા કરી હતી કે, તેનો યુરેનિયમ કાર્યક્રમ પરમાણુ શસ્ત્રો બનાવવા માટે નહીં પરંતુ વિદ્યુત ઉત્પાદન માટે છે. બીજી તરફ ઇરાન કહે છે કે તેણે હમાસ, હીજબુલ્લાહ અને હૂથી આતંકીઓને સમર્થન આપવાનું ઘટાડી દીધું છે અને થોડા સમયમાં જ તદ્દન બંધ કરશે.

ઇરાન જે કહે તે, પરંતુ અમેરિકાને તેનાં કથનો યથાવત્ ગળે ઉતરતાં નથી તે પણ એક સત્ય છે.