World

પાકિસ્તાનના પૂર્વ મંત્રી બિલાવલ ભુટ્ટો અકળાયા, સિંધુના પાણી મુદ્દે પરમાણુ યુદ્ધની ધમકી ઉચ્ચારી

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ મુદ્દે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનમાં એક સેમિનારમાં તેમણે જણાવ્યું કે, જો પાકિસ્તાનનું પાણી રોકવાનો પ્રયાસ કરાશે તો તે દેશના અસ્તિત્વ પર હુમલો ગણાશે. બિલાવલે ભારત પર પાણીને હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, સિંધુ નદી પાકિસ્તાનની જીવાદોરી છે અને તેની રક્ષા કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનના પૂર્વ મંત્રી બિલાવલ ભુટ્ટો અકળાયા, સિંધુના પાણી મુદ્દે પરમાણુ યુદ્ધની ધમકી ઉચ્ચારી

Bilawal Bhutto Zardari: સિંધુ જળ સંધિ (ઇન્ડસ વૉટર્સ ટ્રીટી)ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં બિલાવલે કહ્યું કે, જો પાકિસ્તાનનું પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેને માત્ર પર્યાવરણીય કે રાજદ્વારી વિવાદ નહીં, પરંતુ દેશના અસ્તિત્વ પર હુમલો ગણવામાં આવશે.


બિલાવલ ભુટ્ટોની યુદ્ધની ચીમકી


બિલાવલે કહ્યું કે, 'પાકિસ્તાનની પરમાણુ સિદ્ધાંત (ન્યૂક્લિયર ડોક્ટ્રિન)માં એવી કેટલીક પરિસ્થિતિઓ નક્કી કરવામાં આવી છે, જેમાં દેશના અર્થતંત્ર અથવા જળ સંસાધનોને ગંભીર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ રાષ્ટ્રીય અસ્તિત્વ માટે જોખમ માનવામાં આવે છે. તેમણે યુદ્ધની ચીમકી આપતા કહ્યું કે, જો પાકિસ્તાનનું પાણી રોકવાની ક્રિયા 'ન્યૂક્લિયર આર્માગેડન' જેવી સ્થિતિનું નિર્માણ કરશે, તો તેનો જવાબ પણ એટલી જ ગંભીરતાથી આપવામાં આવશે.'


સિંધુ નદી પાકિસ્તાનની જીવાદોરી: બિલાવલ ભુટ્ટો

ઝરદારીએ આરોપ લગાવ્યો કે, ભારત પાણીનો દબાણ બનાવવાના હથિયાર તરીકે ઉપયોગ કરવા માગે છે. બિલાવલે કહ્યું કે, સિંધુ નદી પાકિસ્તાન માટે કોઈ સોદાબાજીનો મુદ્દો નથી, પરંતુ દેશની જીવાદોરી છે. તેથી પાકિસ્તાન પોતાના પાણી, પોતાની સંધિ, પોતાના સાર્વભૌમત્વ અને પોતાના ભવિષ્યની રક્ષા કોઈપણ સંજોગોમાં કરશે.
બિલાવલે વધુમાં કહ્યું કે, 'અમે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ સન્માન સાથે. અમે વાતચીત ઈચ્છીએ છીએ પરંતુ કાયદાના દાયરામાં. અમે સાથે રહેવા માગીએ છીએ પરંતુ કોઈની સામે ઝૂકીને નહીં. જો કોઈ એવું વિચારતું હોય કે પાકિસ્તાન પોતાના પાણીનો અધિકાર છોડી દેશે, તો તે પાકિસ્તાનની જનતાને નથી ઓળખતું.'


પહલગામ હુમલા બાદ ભારતે કરી હતી કાર્યવાહી


ભારતે એપ્રિલ 2025માં પહલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ત્યારથી પાકિસ્તાન સતત આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાનની લગભગ 80% ખેતી સિંધુ નદીના પાણી પર નિર્ભર છે, તેથી આ સંધિને ત્યાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


બિલાવલ અગાઉ પણ આવા નિવેદન આપી ચૂક્યો છે


આ પહેલીવાર નથી જ્યારે બિલાવલે આ મુદ્દે ધમકીભર્યું નિવેદન આપ્યું હોય. વર્ષ 2025માં પણ તેમણે કહ્યું હતું કે, 'કાં તો સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું લોહી.' હવે ફરી એક વખત તેમણે પરમાણુ નીતિનો હવાલો આપીને સંકેત આપ્યો છે કે, પાકિસ્તાન આ મુદ્દાને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને અસ્તિત્વ સાથે જોડીને જોઈ રહ્યું છે.