US to End Sanction Waiver on Russian Oil : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે વૈશ્વિક તેલ અને ગેસ બજારને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકા ટૂંક સમયમાં જ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર આપેલી પ્રતિબંધોની છૂટછાટને વહેલી તકે નાબૂદ કરવા જઈ રહ્યું છે.
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તાજેતરમાં જ કોંગ્રેસની સુનાવણી દરમિયાન આ અંગેના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. ભારત આ અમેરિકન રાહતનો સૌથી મોટો લાભાર્થી દેશ રહ્યો છે, કારણ કે આ છૂટછાટ મળ્યા બાદ જ ભારતે રશિયા પાસેથી કાચા તેલની આયાત પુનઃ શરૂ કરી હતી. હવે આ છૂટછાટ ખતમ થવાથી ભારત માટે ક્રૂડ ઓઇલની આયાતનું સંકટ ફરી એકવાર વધી શકે છે.
શા માટે આપવામાં આવી હતી આ અસ્થાયી છૂટ?
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સેનેટની વિદેશ નીતિ સમિતિ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે રશિયન તેલ ખરીદી પર આપવામાં આવેલી વર્તમાન છૂટ મર્યાદિત સમય માટે જ હતી. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ની નાકેબંધી થઈ ગઈ હતી, જેના લીધે વૈશ્વિક સ્તરે ઓઇલ સપ્લાય ખોરવાઈ ગયો હતો અને કિંમતો આસમાને પહોંચી હતી. આ આંતરરાષ્ટ્રીય કટોકટીને નિયંત્રણમાં લેવા અને વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો જાળવી રાખવા માટે અમેરિકાએ માર્ચ મહિનામાં આ અસ્થાયી વૂટની જાહેરાત કરી હતી. આ રાહતને બે વખત લંબાવવામાં આવી છે અને હવે તેની અંતિમ સમયસીમા 17 જૂને સમાપ્ત થઈ રહી છે.
ભારત પર શું અસર થશે?
આ અસ્થાયી રાહત સમાપ્ત થતાં જ ભારતે અમેરિકા સાથે કરેલા દ્વિપક્ષીય વેપાર કરાર મુજબ રશિયા પાસેથી તેલની ખરીદી રોકવી પડી શકે છે. અગાઉ પણ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25% ના વધારાના ટેરિફ બાદ ભારતે રશિયન તેલની આયાત બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે વ્હાઇટ હાઉસના દસ્તાવેજો અનુસાર, ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી રોકવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી, જેના બદલામાં પ્રમુખ ટ્રમ્પે ભારત પરથી 25% નો એક્સ્ટ્રા ટેરિફ હટાવી લીધો હતો.
ભારતને વેનેઝુએલા તરફ વાળવાનો અમેરિકાનો પ્રયાસ
28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ તેહરાને હોર્મોઝ જળમાર્ગને બ્લોક કરી દીધો હતો. આ માર્ગ સમગ્ર વિશ્વના 20% અને દક્ષિણ એશિયાના 40% તેલ-ગેસ પુરવઠાનો મુખ્ય સ્ત્રોત છે. ખાડી દેશોનો આ સપ્લાય રૂટ પ્રભાવિત થતાં જ અમેરિકાએ ભારતને ઇમરજન્સી રાહત તરીકે રશિયન ઓઇલ ખરીદવાની અસ્થાયી પરવાનગી આપી હતી.
પરંતુ હવે 17 જૂને આ સમયમર્યાદા સમાપ્ત થયા બાદ અમેરિકા ઈચ્છે છે કે ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો માટે વેનેઝુએલા તરફ આગળ વધે. ખાસ કરીને વેનેઝુએલામાં અમેરિકન સૈન્ય દરોડા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકા ત્યાંથી તેલ સપ્લાય વધારવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ સિલસિલામાં વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ આ જ અઠવાડિયે અમેરિકાની મુલાકાતે પણ જવાના છે. જો 17 જૂન પછી અમેરિકન ટ્રેઝરી વિભાગ આ છૂટછાટને આગળ નહીં વધારે, તો ભારતીય રિફાઇનરીઓએ તેલ આયાત માટે નવા વ્યૂહાત્મક રસ્તાઓ અને વિકલ્પો શોધવા જ પડશે.


