US Israel Conflict: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુદ્ધના 34મા દિવસે કરવામાં આવેલા હવાઈ હુમલામાં પશ્ચિમ એશિયાના સૌથી ઊંચા પુલ (B1)ને નિશાન બનાવવામાં આવ્યો છે. આ હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાનનો તેના પાડોશી શહેર કરજ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. સ્થાનિક મીડિયાએ આ ભીષણ હુમલાની પુષ્ટિ કરી છે.
હુમલામાં બે લોકોના મોત
આ હુમલામાં બે લોકોના મોત થયા છે. ઈરાની અધિકારીએ જણાવ્યું કે અન્ય અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ હુમલાને કારણે વીજળી, પાણી કે પર્યાવરણને લગતી કોઈ સમસ્યાના રિપોર્ટ નથી. હુમલાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પુલ સિવાય કરજ શહેરના અન્ય અનેક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ઈરાની એન્જિનિયરિંગનું ગૌરવ હતો આ પુલ
જે બી1 (B1) બ્રિજને આ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યો છે, તે ઈરાન માટે માત્ર એક રસ્તો જ ન હતો. તે પશ્ચિમ એશિયાના સૌથી આધુનિક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાંનો એક હતો, જેને સંપૂર્ણ રીતે ઈરાની ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ પુલની વિશેષતાઓ આશ્ચર્ય પમાડે તેવી હતી. આ પુલ 1,050 મીટર લાંબો હતો અને આઠ ભાગોમાં વહેંચાયેલો હતો. તેનો સૌથી લાંબો હિસ્સો 176 મીટરનો હતો. તેને ટેકો આપવા માટે 136 મીટર ઊંચો એક વિશાળ થાંભલો બનાવવામાં આવ્યો હતો. તેને બનાવવા પાછળ અંદાજે 400 મિલિયન અમેરિકન ડોલરનો જંગી ખર્ચ થયો હતો.
આ જ વર્ષ થયું હતું B1 બ્રિજનું ઉદ્ઘાટન
આ જ વર્ષની શરૂઆતમાં પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો હતો કે આ પુલ માત્ર બે મોટા શહેરોને જોડશે એટલું જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારને પણ નવી ગતિ આપશે. પરંતુ આ હુમલાએ ઈરાનના આ સપનાને મોટો ફટકો પડ્યો છે.
આ પણ વાંચો: યુદ્ધ વિરામની આશા! પાકિસ્તાન ફેઈલ જતાં અમેરિકા-ઈરાનનું સંઘર્ષ અટકાવવા આ દેશ મેદાને
ઐતિહાસિક પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ પણ બની નિશાન
પુલ તબાહ થવાની સાથે જ ગુરુવારે ઈરાનની પ્રખ્યાત 'પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ' પર થયેલા હુમલાએ પણ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ જણાવ્યું હતું કે અમેરિકન-ઈઝરાયલ હુમલાખોરોએ ઈરાનની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ સંસ્થા માત્ર ઈરાન જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ એશિયાનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત જાહેર આરોગ્ય અને સંશોધન કેન્દ્ર છે. તેની સ્થાપના વર્ષ 1920માં પેરિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ અને તત્કાલીન ઈરાની સરકાર વચ્ચેના એક વિશેષ કરાર હેઠળ કરવામાં આવી હતી.


