US Iran Geneva Peace Talks: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર સંકટ વચ્ચે કૂટનીતિક પ્રયાસો ફરી એકવાર ગતિ પકડી રહ્યા છે. ઇસ્લામાબાદમાં થયેલી શાંતિ વાર્તાના નિષ્ફળ રહ્યા બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે, આ અઠવાડિયાના અંત સુધીમાં બંને દેશો જીનીવા ખાતે ફરી ટેબલ પર આવી શકે છે.
સીઝફાયર પૂર્ણ થાય તે પહેલા છેલ્લી તક
અમેરિકા અને ઇરાન વચ્ચે હાલમાં બે અઠવાડિયાનું અસ્થાયી સીઝફાયર ચાલી રહ્યું છે, જે 21 એપ્રિલે પૂર્ણ થવાનું છે. જો આ સમયગાળા પહેલા કોઈ સમજૂતી નહીં થાય, તો પશ્ચિમ એશિયામાં ફરીથી યુદ્ધના વાદળો ઘેરાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આગામી બેઠક માટે જીનીવા સૌથી વધુ સંભવિત સ્થળ માનવામાં આવી રહ્યું છે. આ અઠવાડિયાના અંત સુધીમાં મંત્રણા શરૂ થઈ શકે છે. છેલ્લા 6 અઠવાડિયાથી ચાલી રહેલા ભારે તણાવને ડામવા અને કોઈ મધ્યમ માર્ગ કાઢવા માંગે છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન ઇરાન સમજૂતી માટે બેચેન છે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, ઇસ્લામાબાદમાં વાર્તા અટક્યા બાદ ઇરાને ફરીથી અમેરિકાનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પના મતે ઇરાન આર્થિક દબાણ અને સંઘર્ષને કારણે હવે સમજૂતી કરવા માટે ઉત્સુક છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકા ક્યારેય ઇરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં. જો ઇરાન શરતો માનવા તૈયાર હશે, તો જ તેઓ રૂબરૂ મુલાકાત કરશે.
ક્યાં ફસાયો છે મામલો?
પરમાણુ કાર્યક્રમ જ બંને દેશો વચ્ચેના વિવાદનું મુખ્ય કેન્દ્ર છે. અગાઉની બેઠકમાં અમેરિકા 20 વર્ષ સુધી પરમાણુ પ્રોગ્રામ ફ્રીઝ કરવા માંગે છે, જ્યારે ઇરાન માત્ર ૫ વર્ષની વાત કરી રહ્યું છે. ઇસ્લામાબાદમાં બંને દેશો એકબીજાની શરતો પર સહમત થઈ શક્યા નહોતા, જેને કારણે વન્સે બેઠક સ્થગિત કરી હતી.
શા માટે આ બેઠક મહત્વની છે?
જો જીનીવામાં કોઈ સકારાત્મક પરિણામ આવશે તો જ 21 એપ્રિલ પછી યુદ્ધવિરામ લંબાવવામાં આવશે. અન્યથા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી અને તેલના પુરવઠા પર તેની ગંભીર અસર પડી શકે છે. વૈશ્વિક સમુદાય પણ આ બેઠક પર મીટ માંડીને બેઠો છે કારણ કે તેલના વધતા ભાવ અને આર્થિક સ્થિરતાનો આધાર આ શાંતિ વાર્તા પર છે.


