US Worst of the Worst List : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં રહેતા ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ ખુબ જ આક્રમક છે. તેમના આ જ વલણના કારણે આવા પ્રવાસીઓ વિરુદ્ધ દિવસે ને દિવસે કાર્યવાહીઓ વધતી જઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગે ‘ખૂંખાર ગુનેગારોની યાદી’ જાહેર કરી છે અને તેમાં 89 ભારતીયોના નામ સામેલ હોવાની વિગતો સામે આવી છે. આ યાદી ભારતીય સહિત અન્ય ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધનો નવો મામલો છે.
ખૂંખાર ગુનેગારોની યાદીમાં 25000 પ્રવાસીના નામ
વિભાગે જાહેર કરેલી યાદીમાં ‘ગેરકાયદે ગુનેગાર એલિયન્સ’નો ઉલ્લેખ કરાયો છે અને તેમાં લગભગ 25000 પ્રવાસીઓના નામ સામેલ છે. વિભાગના મતે આ એવા પ્રવાસીઓ છે, જેઓ હત્યા, જાતિય ગુના, ડ્રગ્સની તસ્કરી જેવા ગંભીર ગુનાઓમાં દોષિત જાહેર થયા છે તેમજ ઈમિગ્રેશન અને સરહદી સુરક્ષા દળો દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે.
નામ, ફોટો, ગુના... બધુ જ જાહેર કર્યું
વિભાગે WOW.DHS.GOV નામની વેબસાઈટ લોન્ચ કરીને તમામ ગુનેગારોના નામ, ફોટો અને ગુના જાહેર કર્યા છે. ગુનેગારનું નામ શું છે, તે કયા દેશનો છે, શું ગુનો કર્યો છે, ક્યાં ગુનો આચર્યો છે, તે બધુ જ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, ‘અમે ગુનેગારોના નામ સાથે વેબસાઈટ શરૂ કરી છે, જેથી અમેરિકન નાગરિકો જોઈ શકે કે, અમે કેવા ગુનેગાર ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરી રહ્યા છીએ.’
આ પણ વાંચો : અમેરિકા પાકિસ્તાનનો ખજાનો લૂંટાશે !
આવા દરેક ગુનેગારોને દેશમાંથી બહાર કાઢીશું : અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગ
વિભાગે એવું પણ લખ્યું છે કે, આ માત્ર એક ઝલક છે, કારણ કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન પકડાયેલા ગુનેગારોની સંખ્યા તેનાથી પણ વધુ હોઈ શકે છે. વિભાગે કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘આ તેવા લોકો છે, જેમણે અમારા સમુદાયમાં આતંક ફેલાવ્યો છે. જ્યાં સુધી આવા દરેક વ્યક્તિઓને દેશમાંથી બહાર નહીં કાઢીએ, ત્યાં સુધી અમે અટકીશું નહીં. અમેરિકન નાગરિકોએ આવા લોકો વિરુદ્ધની કાર્યવાહીથી દુઃખી ન થવું જોઈએ. આ લોકોને આપણા દેશમાં રહેવાનો કોઈ હક જ નથી.’
ભારતીય સમુદાય ચિંતિત
ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિને લઈને ભારતીય સમુદાય પહેલેથી જ ચિંતિત છે, ત્યારે વિભાગ દ્વારા ગુનેગાર તરીકે ભારતીય મૂળના 89 લોકોના નામ જાહેર કરતા સમુદાયની ચિંતામાં વધારો થયો છે. જોકે વિભાગના યાદીમાં સ્પષ્ટ છે કે, તેમાં ગંભીર ગુનાઓમાં દોષિત જાહેર થયેલા લોકોના નામ છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ચૂંટણી અભિયાન વખતે ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. તેમણે બીજા કાર્યકાળના પહેલા જ દિવસે દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરી હતી. આ સાથે તેમણે સરહદ પર વધુમાં વધુ સૈનિકો તહેનાત કરવાની જાહેરાત કરી હતી. તેમણે ‘ક્રિમિનલ એલિયન્સ’ને દેશમાંથી હાંકી કાઢવાની વાત પણ ઉચ્ચારી હતી.


