Afghanistan's Water Move Threatens Pakistan : ભારત બાદ હવે તાલિબાન સરકારે પાકિસ્તાનનું ટેન્શન વધારી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનને મળતું સિંધુ નદીનું પાણી આટકાવી દીધું છે, જેના કારણે પાકિસ્તાનના અનેક વિસ્તારો દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે પાકિસ્તાન તરફ થતું કુનાર નદીનું પાણી અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ પાકિસ્તાનમાં ચાલી રહેલું જળ સંકટ વધુ ગંભીર બની શકે છે.
કુનાર નદીનું પાણી પાકિસ્તાનને નહીં મળે !
રિપોર્ટ મુજબ, તાલિબાન સરકારે પાકિસ્તાન તરફ જતું 500 કિલોમીટર લાંબી કુનાર નદીનું પાણી નાંગરહાર વિસ્તાર તરફ વાળવાની યોજના તૈયાર કરી છે. એટલે કે કુનાર નદીનું પાણી પાકિસ્તાનને નહીં મળે, જેના કારણે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત તરફ જતી નદીના વહેણ ઘટી જશે. તાજેતરમાં જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે તણાવ ઉભો થયો હતો, જેમાં બંને દેશોના અનેક સૈનિકોના મોત થયા છે. આમ તો બંને દેશો વચ્ચેનું ઘર્ષણ અટકી ગયું છે, જોકે ત્યારબાદ બંને દેશોએ એકબીજાની મુશ્કેલી વધારવાના નિર્ણયો શરૂ કરી દીધા છે.
યોજનાથી નંગરહારમાં પાણીની અછતનું સમાધાન થશે
અફઘાનિસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, વડાપ્રધાન કાર્યાલયના આર્થિક આયોગ વિભાગની ટેકનિકલ સમિતિની બેઠક યોજાઈ, જેમાં કુનાર નદીના પાણીને નાંગરહાર સ્થિત દારુન્તા ડેમમાં વાળવાની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવ્યા બાદ દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ છે. હવે અંતિમ નિર્ણય માટે દરખાસ્ત આર્થિક આયોગને મોકલાશે. યોજના લાગુ થયા બાદ અફઘાનિસ્તાનના નંગરહારમાં અનેક ખેતીની જમીનોમાં પાણી અછતનું સમાધાન થવાની આશા છે. જ્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં જતા પાણીમાં ધરખમ ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પ્રત્યે પ્રેમ ઉભરાયો, જાણો શું કહ્યું
કુનાર નદી પર બંધ ઝડપી બાંધવા આદેશ
તાલિબાન સરકારે કુનાર નદી પર બંધના નિર્માણ કાર્ય ઝડપથી શરૂ કરવા માટે જળ અને ઉર્જા મંત્રાલયને નિર્દેશ આપ્યા છે. તેના માટે વિદેશી કંપનીઓના બદલે સ્થાનિક કંપનીઓને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો છે. અફઘાનિસ્તાનની કંપનીઓ સાથે ઝડપથી કોન્ટ્રાક્ટ કરવા કહ્યું છે, જેથી કામગીરીમાં વિલંબ ન થાય. ઉલ્લેખનીય છે, કાબુલની કુનાર નદી પાકિસ્તાન થઈને વહે છે. જે પાકિસ્તાન માટે પાણીનો મોટો સ્રોત ગણાય છે.
ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં પાણીની કટોકટી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી હતી. જળ પુરવઠા પર પ્રતિબંધ લાદ્યો હતો. જેનાથી પાકિસ્તાનમાં પાણીની ખોટ સર્જાય હતી. જે પાકિસ્તાનના પંજાબના કૃષિ ક્ષેત્ર માટે પાણીનો મહત્ત્વનો સ્રોત હતો. પરંતુ ભારત દ્વારા 1960નો સિંધુ જળ કરાર રદ કરવામાં આવતાં ત્યાં પાણીનો કટોકટી સર્જાય છે.


