પાકિસ્તાની સૈન્ય પર ભીષણ આતંકી હુમલો, 12 સૈનિકો માર્યા ગયા, TTPએ સ્વીકારી જવાબદારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan military attacked: પાકિસ્તાના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત નિપજ્યા છે અને 4 અન્ય ઘાયલ થયા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં સવારે લગભગ 4 વાગ્યે જ્યારે સેનાનો કાફલો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.
એક સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, 'બંને બાજુથી ભારે હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 12 સુરક્ષા કર્મચારીઓના મોત નિપજ્યા હતા અને ચાર ઘાયલ થયા હતા.' હુમલાખોરો સૈન્યના હથિયારો અને સાધનો લઈને સ્થળ પરથી ભાગી ગયા હતા. વિસ્તારના સુરક્ષા અધિકારીએ પણ જાનહાનિની સંખ્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, હુમલો ખૂબ જ સુનિયોજિત અને તીવ્ર હતો.
પાકિસ્તાની તાલિબાને લીધી જવાબદારી
આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પાકિસ્તાની તાલિબાને લીધી છે, જેને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હુમલાને તાજેતરના મહિનાઓમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલી સૌથી ઘાતક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. TTP એક સમયે આ પ્રદેશમાં મજબૂત હાજરી ધરાવતું હતું, પરંતુ 2014માં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા મોટા ઓપરેશન બાદ તેમને પીછેહઠ કરવી પડી હતી. જોકે, 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી, સરહદી વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે.
અફઘાનિસ્તાન સાથે તણાવ
ટીટીપી અને અફઘાન તાલિબાન અલગ સંગઠનો હોવા છતાં, તેમના ગાઢ સંબંધો હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન સતત અફઘાનિસ્તાન પર આરોપ લગાવતું રહ્યું છે કે, તે તેની ધરતી પર કાર્યરત આતંકવાદીઓને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેઓ પાછળથી પાકિસ્તાનમાં હુમલા કરે છે. બીજી બાજુ, કાબુલ વહીવટીતંત્ર આ આરોપોને નકારી રહ્યું છે.
આ પણ વાંચોઃ પુતિન એમના ખાસ અધિકારીને ભારત મોકલશે, ભારત માટે ટ્રમ્પના ટેરિફનો તોડ શોધ્યો!
લોકોમાં વધી આશંકા
તાજેતરમાં, ખૈબર પખ્તુનખ્વાના ઘણા જિલ્લાઓમાં ઈમારતોની દિવાલો પર TTPના નામવાળા પોસ્ટરો અને સૂત્રો (ગ્રાફિટી) દેખાયા છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભય વધ્યો છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જ્યારે તાલિબાનોએ આ પ્રદેશ પર કબજો કર્યો હતો તે યુગ ફરી પાછો આવી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાક મહિનામાં TTP લડાકુઓની હિલચાલ અને હુમલાઓમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે.
હિંસાના વધતા આંકડા
AFPના રેકોર્ડ મુજબ, પહેલી જાન્યુઆરી, 2025થી ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં લગભગ 460 લોકોના મોત નિપજ્યા છે, જેમાંથી મોટાભાગના સુરક્ષા દળોના કર્મચારીઓ છે. વળી, ઇસ્લામાબાદ સ્થિત સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ અનુસાર, ગત વર્ષે પાકિસ્તાને લગભગ એક દાયકામાં સૌથી ઘાતક સમયનો સામનો કરવો પડ્યો હતો. આ હિંસામાં 1,600 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, જેમાંથી લગભગ અડધા સૈનિકો અને પોલીસકર્મીઓ હતા.








