પુતિનને મારવા 91 ડ્રોન મોકલાયા હોવાનો રશિયાનો દાવો, ડ્રોન યુક્રેનના હોવાનો જાહેર કર્યો VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia-Ukraine War : રશિયાના સંરક્ષણ મંત્રાલયે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોનથી થયેલા હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. મંત્રાલયે દાવો કર્યો છે કે, યુક્રેને જાણીજોઈને, ષડયંત્ર રચીને હુમલો કરાવ્યો છે. ડ્રોનનો કાટમાળ યુક્રેનનો છે. મોસ્કોએ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. બીજીતરફ યુક્રેને રશિયાના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે.
91 ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ
રશિયન સંક્ષણ મંત્રાલયે બુધવારે વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં બરફથી ઢંકાયેલા જંગલમાં એક નુકસાનગ્રસ્ત ડ્રોન દેખાઈ રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, નોવગોરોદમાં રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ના નિવાસસ્થાનને ટાર્ગેટ કરવા માટે 28 ડિસેમ્બરે 91 ડ્રોન આવ્યા હતા, જોકે રશિયન સંરક્ષણ સિસ્ટમે તમામ ડ્રોન તોડી પાડ્યા છે. દાવા મુજબ, ડ્રોનમાં છ કિલો વિસ્ફોટ સામગ્રી હતી, જોકે પુતિનના નિવાસસ્થાનને કોઈ નુકસાન થયું નથી.
ષડયંત્ર રચીને હુમલો કરવામાં આવ્યો : રશિયા
મંત્રાલયે કહ્યું છે કે, ‘પુતિનના નિવાસસ્થાન પાસે કથિત હુમલો કરવા માટે સંપૂર્ણ ષડયંત્ર રચવામાં આવ્યું હતું, આ માટે તબક્કાવાર યોજના બનાવાઈ હતી.’ જોકે તે સમયે પુતિન ક્યાં હતા, તેની માહિતી મંત્રાલયે આપી નથી. આમ તો પુતિનના નિવાસની માહિતી જાહેર કરવામાં આવતી નથી.
આ પણ વાંચો : ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો, બે વખત પરીક્ષણ સફળ
રશિયાના દાવા પાયાવિહોણી : ઝેલેન્સ્કી
બીજીતરફ યુક્રેને રશિયાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ કહ્યું કે, રશિયા અમારા ખોટો આક્ષેપ કરી રહી છે અને તેઓ યુદ્ધ અટકાવવાના પ્રયાસોમાં અડચણો ઉભી કરવા માંગે છે. કીવે કહ્યું કે, મોસ્કો પાસે હુમલાના કોઈ પુરાવા નથી. રશિયા અમારા કીવ સહિતના શહેરો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. યુક્રેનના વિદેશમંત્રી આંદ્રેઈ સિબીહાએ કહ્યું કે, રશિયા શાંતિની દિશામાં ચાલી રહેલા પ્રયાસોને નબળા પાડવા માટે જૂઠ ફેલાવી રહ્યું છે.’
ચોંકાવનારી વાત એ છે કે, રશિયન અધિકારીઓએ કહ્યું છે કે, આ મામલે વધુ કોઈ પુરાવા જાહેર કરવામાં નહીં આવે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, પુરાવાની જરૂર નથી, કારણ કે અમે તમામ ડ્રોન નષ્ટ કરી દીધા હતા.








