6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
Russia-Ukraine War : ત્રણ વર્ષથી યુદ્ધ લડી રહેલા રશિયા-યુક્રેન વચ્ચે તુર્કેઈમાં ફરી શાંતિ મંત્રણા યોજાઈ હતી, જેમાં યુદ્ધવિરામ અંગે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ બંને દેશો મૃતક સૈનિકોની અદલા-બદલી કરવા માટે સંમત થયા છે. તુર્કેઈની આગેવાનીમાં યોજાયેલી આ બેઠક ઈસ્તંબુલ સ્થિત ઐતિહાસિક ચિરાગન પેલેસમાં યોજાઈ હતી, જેમાં ત્રણે દેશોના વિદેશ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જોકે શરતોના કારણે યુદ્ધવિરામ કરવાનો નિર્ણય ફરી ટળ્યો છે.
બેઠકમાં યુદ્ધવિરામ અંગે કોઈ નિર્ણય ન લેવાયો
બેઠકમાં યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ મંત્રી રુસ્તમ ઉમેરોવે કર્યું હતું, જ્યારે રશિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વ્લાદિમીર મેદેંસ્કીએ કર્યું હતું. બેઠકમાં તુર્કેઈના વિદેશમંત્રી હકન ફિદાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રશિયા અને યુક્રેનના અધિકારીઓની ટિપ્પણીઓથી સંકેત મળ્યા છે કે, યુદ્ધ રોકવા માટે જે શરતો રાખવામાં આવી છે, તે ઘણી દૂર છે, તેથી યુદ્ધ વિરામ થવું હાલ અસંભવ બની ગયું છે.
આ પણ વાંચો : BSFના 160 જવાનો આફ્રિકી દેશ કોંગો મોકલાયા, જાણો કારણ
રશિયાએ યુક્રેનમાંથી બળજબરીથી ઉઠાવાયેલા બાળકો પરત આપે : ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર જેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ લિથુઆનિયાની રાજધાની વિલનિયમમાં કહ્યું કે, ‘તુર્કેઈની મદદથી યુક્રેન-રશિયાએ એકબીજાને દસ્તાવેજોની આપ-લે કરી છે. હવે અમે યુદ્ધબંદીઓને છોડાવવા માટે નવી તૈયારીઓ કરી રહ્યા છીએ. અગાઉ 16 મેએ ઈસ્તંબુલમાં બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશોએ 1000-1000 યુદ્ધબંદીઓને મુક્ત કર્યા હતા. હવે એક મોટી આપ-લેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. યુક્રેને બળજબરીથી રશિયા લઈ જવાયેલા બાળકોની પણ યાદી આપી છે. યુક્રેને દાવો કર્યો છે કે, રશિયા બળજબરીથી લઈ જવાયેલા યુક્રેનના બાળકો પરત આપવા જોઈએ. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સતત ઉઠાવવામાં આવી રહ્યો છે.
યુદ્ધવિરામ માટે યોજાયેલી તમામ બેઠકો નિષ્ફળ
ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે અનેક વખત મંત્રણા કરવામાં આવી છે, જોકે તેમાં કોઈપણ કાયદમી સમાધાન થયું નથી અને હજુ પણ યુદ્ધ બંધ થવાની આશાઓ દેખાઈ રહી નથી. અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો યુદ્ધવિરામની અપીલ કરી ચુક્યા છે, પરંતુ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President President) યુદ્ધવિરામ માટે સહમત થયા નથી, જ્યારે યુક્રેન યુદ્ધવિરામ અને શાંતિ ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે, બંને દેશોએ તાજેતરમાં જ એકબીજા પર ભયાનક હુમલા કર્યા હતા. યુક્રેને રશિયાના ચાર એરબેઝને નષ્ટ કર્યા હતા, તો વળતા જવાબમાં રશિયાએ 472 ડ્રોન અને સાત મિસાઈલથી હુમલો કર્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે.