BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો
BSF 160 Soldiers Are Going To Congo : સશસ્ત્ર સંઘર્ષનો સામનો કરી રહેલા આફ્રિકી દેશ કોંગોમાં શાંતિ સ્થાપવા માટે ભારતે બીએસએફની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સોમવારે બીએસએફની એક ટુકડી ત્યાં જવા રવાના થઈ છે. વાસ્તવમાં કોંગોમાં ભારે સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યું છે, જેને અટકાવવા માટે તેમજ શાંતિ સ્થાપવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
160 સૈનિકોની ટીમમાં 25 મહિલા સૈનિકો પણ સામેલ
બીએસએફએ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન હેઠળ બીએસએફના 160 સૈનિકોની એક ટીમને કોંગો મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ટીમમાં 25 મહિલા સૈનિકો પણ સામેલ છે. આ તમામ સૈનિકો કોંગોમાં શાંતિ જાળવવા માટેની કામગીરી કરશે. છેલ્લા ઘણા સમયથી કોંગોમાં બળવાની સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે લાખો લોકોએ પોતાનું ઘર છોડવાની નોબત આવી છે. 160 સૈનિકોની ટીમ શાંતિ મિશન માટે કોંગો પહોંચે તે પહેલા બીએસએફના ડી.જી.દલજીત સિંહ ચૌધરીએ ટીમ સાથે મુલાકાત કરી હતી.
કોંગોમાં ભયાનક સ્થિતિ, રોજબરોજ હિંસાના કારણે અનેક લોકો વિસ્થાપિત
લોકશાહી પ્રજાસત્તાક કોંગો આફ્રિકાનો ત્રીજો મોટો દેશ છે, તેની આસપાસ યુગાંડા, રવાંડા અને બુરુંડીની સરહદો આવેલી છે. આ દેશમાં આંતરીક બળવો ચાલી રહ્યો છે, જેના કારણે સંયુક્ત રાષ્ટ્ર તે દેશમાં દેખરેખ રાખી રહ્યું છે. વર્તમાનમાં આ દેશમાં જે સંકટો ઉભા થયા છે, તે માનવીય સંકટોમાંથી એક છે. કોંગોના સશસ્ત્ર દળો અને બળવાખોરોના જૂથો વચ્ચે દાયકાઓથી ઘર્ષણ થઈ રહ્યું છે, જેના કારણે માનવાધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન થયું છે. અહીં રોજબરોજ હિંસાની અનેક ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે અહીં માનવીય જરૂરીયાતો અને સુરક્ષાનો ખતરો પણ વધતો જઈ રહ્યો છે. ત્યાં ભયાનક સ્થિતિના કારણે 7.3 મિલિયન લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરો છોડી દઈ અન્ય સ્થળે જતા રહેવા માટે મજબૂર થયા છે. એટલું જ નહીં 86000થી વધુ લોકો પડોશી દેશમાં ભાગવા માટે મજબૂર થયા છે.