ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Jr Wedding : અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતુ કે તેમના પુત્ર ડૉનલ્ડ ટ્રમ્પ જુનિયરે તે રશિયન ઓલિગાર્કને નાણાં સંપૂર્ણપણે પરત કરી દીધા છે, જેમણે તેમના ભવ્ય લગ્નની ઉજવણીના કેટલાક ખર્ચ માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. વિદેશી પ્રભાવ અને નૈતિક ઉલ્લંઘનોને લઈને થયેલી ભારે આલોચના અને વિવાદ બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. 'પ્રોપબ્લિકા' (ProPublica) દ્વારા અગાઉ પ્રકાશિત કરવામાં આવેલી એક તપાસમાં ખુલાસો થયો હતો કે રશિયાના ઉમર ક્રેમલેવ દ્વારા સેંકડો હજારો ડૉલર આપવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ બહામાસમાં પ્રાઈવેટ આઈલેન્ડ અને ભવ્ય આતશબાજી સહિતના આફ્ટર-પાર્ટી આયોજનો માટે કરવામાં આવ્યો હતો.
અમેરિકાના પ્રમુખે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી
ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે ભેટ સ્વીકારવી સામાન્ય બાબત છે અને ઘણા લોકો લગ્નની પાર્ટીઓનું આયોજન કરતા હોય છે. જોકે, તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી તેમને માહિતી મળી છે, તેમના પુત્રએ તે નાણાં પરત કરી દીધા છે કારણ કે તે આ પ્રકારના વિવાદોમાં પડવા માંગતા ન હતા. ડૉનલ્ડ ટ્રમ્પ જુનિયરના સત્તાવાર પ્રવક્તાએ પણ આ ચૂકવણીનો ઇનકાર કર્યો ન હતો અને જણાવ્યું હતું કે ઉમર ક્રેમલેવ તેમના એક અંગત મિત્ર છે. સોશિયલ મીડિયા પર પણ આ જોડીએ આ ભેટનો બચાવ કરતા તેને મિત્ર તરફથી મળેલી એક અસાધારણ ઉદાર લગ્નની ભેટ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે ક્રેમલેવ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ખૂબ નજીકના સહયોગી છે અને ઇન્ટરનેશનલ બૉક્સિંગ એસોસિએશનના વડા પણ છે.
અમેરિકન કૉંગ્રેસના ડેમોક્રેટ્સ નેતાઓએ તપાસ શરૂ કરી
આ મામલો સામે આવ્યા બાદ અમેરિકાની કૉંગ્રેસના ડેમોક્રેટ્સ નેતાઓએ આ મામલે તપાસ શરૂ કરી છે, જ્યારે વિવિધ એથિક્સ વૉચડૉગ જૂથોએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે વિદેશી રાષ્ટ્રના પ્રભાવશાળી વ્યક્તિ પાસેથી આટલી મોંઘી ભેટ સ્વીકારવી એ હિતોના ટકરાવ સમાન છે, ભલે ડૉનલ્ડ ટ્રમ્પ જુનિયર કોઈ સત્તાવાર સરકારી કર્મચારી ન હોય. ક્રેમલેવ અને સંબંધિત સંસ્થાઓ તરફથી આ મામલે તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ રાજકીય અને નૈતિક મોરચે નવો વિવાદ જરૂર સર્જ્યો છે.




