World

પાકિસ્તાનની હવે ખરી અગ્નિપરીક્ષા! ઈરાનના મિત્ર પર બોમ્બ ઝિંકશે, લેશે સાઉદીનો બદલો

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
યમનના હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના ઊર્જા મથકો પર ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા, જેમાં 73 લોકો ઘાયલ થયા. આ પછી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. પાકિસ્તાન હવે 2017ના મક્કા પેક્ટને સક્રિય કરીને યમનમાં હુથીઓ સામે હવાઈ હુમલા કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સાઉદી પરનો હુમલો પાકિસ્તાન પરનો હુમલો ગણાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનની હવે ખરી અગ્નિપરીક્ષા! ઈરાનના મિત્ર પર બોમ્બ ઝિંકશે, લેશે સાઉદીનો બદલો

Pakistan On Saudi Arabia-Houthi Conflict : સાઉદી અરેબિયા પર યમનના હુથી વિદ્રોહીઓના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં ભારે તણાવ સર્જાયો છે. મંગળવારે સાઉદી અરેબિયાના ઊર્જા મથકોને નિશાન બનાવીને કરાયેલા ડ્રોન અને મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 73 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ પાકિસ્તાન હવે મક્કા પેક્ટ સક્રિય કરવાની તૈયારી કરી રહ્યું છે, જેના ભાગરૂપે તે યમનમાં હુથી વિદ્રોહીઓ સામે હવાઈ હુમલા કરી શકે છે. પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચે 7 ઓગસ્ટના રોજ મક્કા પેક્ટ થયો હતો, જ્યારે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે 2025થી વ્યૂહાત્મક સંરક્ષણ કરાર અસ્તિત્વમાં છે.

હુથીઓ સામે પાકિસ્તાની એરસ્ટ્રાઇકની તૈયારી

તુર્કી ટુડેના એક અહેવાલ મુજબ પાકિસ્તાન ટૂંક સમયમાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ સામે એરસ્ટ્રાઇક શરૂ કરી શકે છે અને આ કાર્યવાહીની વિગતો ઓપરેશન પૂરું થયા પછી જાહેર કરાશે. એક સૂત્રના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાની પ્રાથમિકતા સદ્દા અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાંથી હુથીઓને ખદેડવાની રહેશે.

અમે કરારની શરતો અને નિયમોથી બંધાયેલા : પાકિસ્તાન

જિયો ન્યૂઝ સાથેની વાતચીતમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું હુથી હુમલા બાદ મક્કા પેક્ટ અમલમાં આવશે અને પાકિસ્તાન યમન પર હુમલો કરશે, ત્યારે પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, 'આ બાબતમાં કોઈ અસ્પષ્ટતા નથી, કરાર મુજબ કોઈ એક સભ્ય દેશ પરનો હુમલો એ તમામ સભ્ય દેશો પર થયેલો હુમલો ગણાશે. અમે આ કરારની શરતો અને નિયમોથી બંધાયેલા છીએ અને જરૂર પડ્યે તેનું પાલન કરીશું.'

‘સાઉદી પર હુમલો પાકિસ્તાન પર થયેલો હુમલો ગણાશે’

ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, 'જ્યારે કોઈ સભ્ય દેશ વિરુદ્ધ વગર ઉશ્કેરણીએ આક્રમણ થાય અથવા યમનનો આ સંઘર્ષ સાઉદી અરેબિયાની સરહદોમાં પ્રવેશે, ત્યારે સામૂહિક સંરક્ષણની જોગવાઈઓ લાગુ થઈ જાય છે. સાઉદી અરેબિયા પર હુથીઓનો હુમલો એ પાકિસ્તાન પર થયેલો હુમલો ગણાશે.'

‘જો હુથીઓ વધુ હુમલા કરશે તો…’ પાકિસ્તાનની ચીમકી

સાઉદી અરેબિયા સાથે કોઈ તાજી વાતચીત થઈ છે કે નહીં તે અંગે પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, 'મને હાલ આવી કોઈ વાતચીતની જાણ નથી, પરંતુ કરાર હેઠળ સંયુક્ત કાર્યવાહી કરવા પાકિસ્તાન બંધાયેલું છે. હું આશા રાખું છું કે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જાય અને શાંત થઈ જાય, છતાં હુથીઓ જો પોતાના આંતરિક મામલાને બહાર ફેલાવશે તો સામૂહિક સંરક્ષણ શરત લાગુ થઈ જશે.'