Pakistan Afghanistan Conflict: પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ માટે ભારતને દોષી ઠેરવ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો છે કે, અફઘાનિસ્તાન ભારતનું 'પ્રોક્સી યુદ્ધ' લડી રહ્યું છે. જોકે, ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. હાલમાં, બંને દેશો 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
પાકિસ્તાનનો આરોપ
મીડિયા અહેવાલ અનુસાર, આસિફે આરોપ લગાવ્યો કે કાબુલને બદલે દિલ્હીમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમણે અફઘાન વિદેશ મંત્રી અને ભારત વચ્ચેની તાજેતરની બેઠક પર પણ સવાલ ઉઠાવ્યા. આસિફે કહ્યું કે, તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની તાજેતરની છ દિવસની ભારત મુલાકાત એક યોજના હતી.
આ પણ વાંચોઃ ભાજપે 18 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, તેજસ્વી સામે સતીશ યાદવને મેદાનમાં ઉતાર્યા
ભારત-પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધો
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. 7 મેના દિવસે, ભારતીય સેનાએ પાકિસ્તાની ક્ષેત્રમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. જેના કારણે બંને દેશો વચ્ચે ચાર દિવસનો સંઘર્ષ થયો, જે પાકિસ્તાનના પોલીસ મહાનિર્દેશક (DGMO)ની વિનંતી બાદ અટકાવી દેવામાં આવ્યો.
48 કલાકનું યુદ્ધવિરામ
પાકિસ્તાને બુધવારે જણાવ્યું હતું કે, તે અફઘાનિસ્તાન સાથે 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયું છે, આ નિર્ણય બંને દેશો વચ્ચે સરહદ પર થયેલી અથડામણો વચ્ચે આવ્યો છે જેમાં બંને બાજુએ ઘણા લોકોના મોત નિપજ્યા છે.
વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે, 'તાલિબાનની વિનંતી પર, પાકિસ્તાન સરકાર અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસન વચ્ચે બંને પક્ષોની પરસ્પર સંમતિથી આગામી 48 કલાક માટે કામચલાઉ યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સાંજે 6 વાગ્યાથી અમલમાં આવશે." જોકે, અફઘાન સરકારના મુખ્ય પ્રવક્તા, ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, 'પાકિસ્તાની પક્ષની વિનંતી અને આગ્રહ પર, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ સાંજે 5:30 વાગ્યા પછી અમલમાં આવશે.'
આ પણ વાંચોઃ ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે
સૈનિકોને નિર્દેશ
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મુજાહિદે કહ્યું કે, સરકારે તેના સશસ્ત્ર દળોને કોઈ ઉશ્કેરણી ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. વિદેશ કાર્યાલયે કહ્યું, 'આ સમયગાળા દરમિયાન, બંને પક્ષો રચનાત્મક વાતચીત દ્વારા આ જટિલ પરંતુ ઉકેલી શકાય તેવા મુદ્દાનો સકારાત્મક ઉકેલ શોધવા માટે ગંભીર પ્રયાસો કરશે.'
સરકારી પીટીવી ન્યૂઝે અગાઉ અહેવાલ આપ્યો હતો કે, પાકિસ્તાની લશ્કરી દળોએ અફઘાનિસ્તાનના કંધાર પ્રાંત અને રાજધાની કાબુલમાં સટીક હુમલા કર્યા હતા. અફઘાન તાલિબાનના આક્રમણ સામે પાકિસ્તાની સેનાની જવાબી કાર્યવાહીમાં મુખ્ય લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાએ સફળતાપૂર્વક મુખ્ય અફઘાન તાલિબાન લક્ષ્યોને નિશાન બનાવ્યા. આ સટિક હુમલાઓ અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં કરવામાં આવ્યા હતા. આ હુમલાઓના પરિણામે, અફઘાન તાલિબાન બટાલિયન નંબર 4 અને બોર્ડર બ્રિગેડ નંબર 6 સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ડઝનબંધ વિદેશી અને અફઘાન આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાનનો દાવો
આ પહેલાં, પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે, તેણે અફઘાન તાલિબાનના અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે અને બંને દેશો વચ્ચે સરહદી અથડામણની અલગ અલગ ઘટનાઓમાં 40થી વધુ હુમલાખોરોને મારી નાખ્યા છે. આ હુમલાઓને નિષ્ફળ બનાવતી વખતે, 15-20 અફઘાન તાલિબાન માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા.


