યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 1100થી વધુ ભારતીયો વતન પરત, 290 લોકો સાથે 5મી ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી
![]() |
Image: X @MEAIndia |
Israel-Iran War: ઈરાનના યુદ્ધ પ્રભાવિત વિસ્તાર મશહદથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચાલી રહેલા બચાવ અભિયાન 'ઓપરેશન સિંધુ' હેઠળ મહન એરની બીજી વિશેષ ફ્લાઇટ (W5071) શનિવારે રાત્રે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ ફ્લાઇટમાં લગભગ 290થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હતા, જેમાં મોટી સંખ્યામાં કાશ્મીરી વિદ્યાર્થીઓ હતા.
વિદેશ મંત્રાલય પાસેથી મળતી માહિતી મુજબ, આ ફ્લાઇટ રાત્રે 11:30 વાગ્યે દિલ્હી પહોંચી હતી. આ સાથે જ અત્યાર સુધીમાં 1117 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંધુએ હવે ગતિ પકડી છે અને રવિવારે ઈરાનથી દિલ્હી બે વધુ ખાસ ફ્લાઇટ્સ આવવાની યોજના છે.
JK સ્ટુડન્ટ એસોસિએશને શું કહ્યું?
જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ એસોસિએશને આ સફળ બચાવ કામગીરી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ પરિવારો માટે ભાવનાત્મક ક્ષણ છે જેઓ તેમના બાળકોના સુરક્ષિત પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓના તેમના વતન પરત ફરવાથી પરિવારોને ઊંડી રાહત અને દિલાસો મળ્યો છે.'
સંગઠને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા અને માનસિક રીતે થાકી ગયા હતા. યુદ્ધગ્રસ્ત વાતાવરણમાં તેમના માટે જીવવું ખૂબ જ મુશ્કેલ હતું. તેઓ સલામત ઘરે પરત ફર્યા જેથી હવે મોટી રાહત થઈ છે, ખાસ કરીને કાશ્મીર માટે કારણ કે, અહીંના મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં હતા.
આ પણ વાંચોઃ 'ઈરાન હવે શાંત નહીં થાય તો....', અમેરિકાએ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
700 કાશ્મીરી વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાની અપીલ
એસોસિએશને ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને ઈરાનમાં ભારતીય દૂતાવાસનો પણ આભાર માન્યો અને કહ્યું કે, તેમણે સમયસર અને કાર્યક્ષમ સંકલન સાથે વિદ્યાર્થીઓની વાપસી સુનિશ્ચિત કરી. આ સાથે જ જમ્મુ-કાશ્મીર સ્ટુડન્સ એસોસિએશનને અપીલ કરી કે, જે વિદ્યાર્થી હજુ પણ ઈરાનના વિવિધ ભાગોમાં ફસાયેલા છે, ખાસ કરીને કાશ્મીરના કાશ્મીરના આશરે 700 વિદ્યાર્થીઓને જલ્દીમાં જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવે અને ત્યાંથી સ્વદેશ લાવવામાં આવે.