Nepal Gen Z Protest : નેપાળમાં જેન-ઝેડ યુવાનો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવતાં સ્થિતિ વણસી છે. અહીં કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લાદવાની અને ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે. 8-9 સપ્ટેમ્બરે પોલીસ ફાયરિંગમાં 21 યુવાનોના મોતની ઘટનાના 70 દિવસ બાદ નેપાળમાં ફરી માહોલ ગરમાયો છે.
હિંસક અથડામણ બાદ કરફ્યૂ લદાયો
નેપાળના બારા જિલ્લાના સેમરા વિસ્તારમાં 19-20 નવેમ્બરે તણાવ વધતા કરફ્યુ લાદવો પડ્યો છે. કરફ્યુનું મુખ્ય કારણ જેન-ઝેડ યુવાનો અને સીપીએન-યુએમએલ (CPN-UML) પક્ષના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી છે. યુએમએલના મહાસચિવ શંકર પોખરેલ અને યુવા નેતા મહેશ બસ્નેત એન્ટી-ગવર્નમેન્ટ રેલી સંબોધવા બુદ્ધ એરની ફ્લાઇટથી સેમરા પહોંચ્યા હતા.
New Gen-Z protests erupt up in Nepal, curfew enforced in Bara district.#Nepal #Protest #GenZ pic.twitter.com/zIBlRddeHt
— The Tatva (@thetatvaindia) November 20, 2025
એરપોર્ટ પર યુએમએલ નેતાઓ આવતા જ બબાલ
યુએમએલ નેતાઓના આગમનના સમાચાર ફેલાતા જ સેંકડો જેન-ઝેડ યુવાનો એરપોર્ટ પર એકઠા થયા અને યુએમએલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ ઘટનાએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું. બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને મારામારી થતાં માહોલ તંગ બન્યો. સ્થિતિ વણસતા તત્કાળ બારા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કરફ્યુ લાદવામાં આવ્યો હતો.
બુદ્ધ એરલાઈન્સની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ
આ અથડામણના કારણે બુદ્ધ એરલાઈન્સની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી, જેથી યુએમએલ નેતાઓને સેમરામાં રોકાયા વિના કાઠમંડુ પરત ફરવું પડ્યું છે. જેન-ઝેડ નેતા પુરુષોત્તમ યાદવે યુએમએલ કેડર દ્વારા તેમના પર કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી છે. તેમણે આ હિંસાને લોકશાહી મૂલ્યો અને નાગરિકોના અધિકારો પર ગંભીર હુમલો ગણાવ્યો છે.
આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી


