VIDEO : ચીનમાં ભારે વરસાદ પડતા નેપાળમાં પૂર, બંને દેશોને જોડતો પુલ તણાતાં 20 લોકો ગુમ, ચાર ભારતીયો સહિત 55ને બચાવાયા
Nepal-China Flood : ચીનમાં ભારે વરસાદ પડવાના કારણે નેપાળ ભારે સંકટમાં મુકાયું છે. પાણીના ભારે પ્રવાહના કારણે બંને દેશોના પ્રતિકસામા મસૂરી પુલ પાણીમાં તણાઈ ગયો છે, જેમાં 20 લોકો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. ચીનમાં સોમવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ત્યાંથી પાણી આગળ વધતાં નેપાળના ભોટે કોશી નદીમાં પૂર આવ્યું હતું. નેપાળની રાજધાની કાઠમંડૂથી 120 કિલોમીટર દૂર રસુવા જિલ્લામાં આવેલો મિસેરી નામનો પુલ મંગળવારે સવારે પૂરની ઝપેટમાં આવતા તણાઈ ગયો છે.
ચાર ભારતીયો સહિત 55ને બચાવાયા
સૂત્રોના જણાવ્યા મુજબ પુરની ઘટનામાં 20 લોકો ગુમ થઈ ગયા છે, જેમાં છ ચાઈનીઝ નાગરિકો પણ સામેલ છે. નેપાળ સેના, સશ્સત્ર પોલીસ બળ અને નેપાલ પોલીસ સહિતની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ચાર ભારતીય, એક ચાઈનીઝ નાગરિક સહિત 55 લોકોને બચાવી લીધા છે. રિપોર્ટ મુજબ પૂરના પાણીમાં અનેક વાહનો અને ઘરો વહી ગયા છે. આ ઉપરાંત પુલ પરથી બંને દેશો વચ્ચે થતો વેપાર પણ બંધ થઈ ગયો છે.
Early this morning: Nepal-China Border Flood Disaster. July 08, 2025
— Weather Monitor (@WeatherMonitors) July 8, 2025
📍Rasuwagadi, 120 km north of Kathmandu.
18 people missing: 12 Nepali, 6 Chinese nationals
Friendship Bridge destroyed, halting all trade through the Rasuwagadi route
Dozens of trucks and hundreds of EVs… pic.twitter.com/kqHb9ZUjbQ
વડાપ્રધાને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
બીજીતરફ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ નેપાળ-ચીન સરહદ પાસેના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે, જેમાં રસુવા જિલ્લાના કેટલાક વિસ્તારો પણ સામેલ છે. ઓલીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, સરકાર રસુવામાં વિનાશકારી પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને બચાવવા યુદ્ધનાસ્તરે કામ કરી રહી છે. તેમણે જાનમાલને નુકસાન થવા પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચો : ચીનના યુદ્ધ જહાજનો જર્મનીના વિમાન પર લેસરથી હુમલો, રાતા સમુદ્રમાં બની ઘટના
રસુવામાં પુરના કારણે ભારે નુકસાન
રસુવા જિલ્લાના જિલ્લા અધિકારી અર્જુન પોડેલે કહ્યું કે, પૂરના કારણે ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ નદી પાસે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે. પૂરના પાણીમાં અનેક ઘરો, પાંચ ઈલેક્ટ્રીક વાહનો પણ તણાયા છે. મંગળવારે સવારે ધાદિંગ જિલ્લાના ગજુરી ગામમાં ત્રિશુલી નદીમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે. નેપાળની સેનાએ રસુવાગઢી જળવિદ્યુત પ્રોજેક્ટમાં ફસાયેલા 23 શ્રમિકોને બચાવ્યા છે, જેમાં એક ચીનનો નાગરિક પણ સામેલ છે.
દરમિયાન ઈન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) એ મંગળવારે જાહેર કરેલા એક અહેવાલમાં કહ્યું છે કે, ‘રસુવા જિલ્લામાં અચાનક પૂરનું વાસ્તવિક કારણ અતિશય વરસાદ નથી. રાસુવામાં પૂરની ઘટનાનું હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જો કે, એ વાતની પુષ્ટિ થઈ છે કે પુરનું કારણ અતિશય વરસાદ નહોતું.’