મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : WHOનો 2024નો રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Malaria Report : વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ આજે મેલેરિયા અંગેનો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવાયું છે કે, મેલેરિયા સામેની લડાઈમાં રસીઓ અને જાળીનો ઉપયોગ કરવાના કારણે 2024માં આશરે 17 કરોડ કેસ અને 10 લાખ લોકોના મોત થતાં અટકાવી શકાયા છે. 2024માં અંદાજિત 28.2 કરોડ નવા કેસ નોંધાયા અને કુલ 6,10,000 લોકોના મોત થયા, જે અગાઉના વર્ષ કરતાં વધુ છે. WHOએ ગંભીર ચેતવણી આપી છે કે, દવાઓ સામેનો પ્રતિકાર અને ભંડોળની અછત ચિંતાનો વિષય બન્યો છે. WHO એ જણાવ્યું છે કે, આફ્રિકાના 8 દેશોમાં મુખ્ય સારવાર નિષ્ફળ જઈ રહી છે, જે એક મોટી ચિંતાનો વિષય છે.
બે બાબતોના કારણે મેલેરિયાની લડાઈમાં સફળતા મળી
સંસ્થાએ જણાવ્યું છે કે, મેલેરિયા સામેની લડાઈમાં બે ઘટકોવાળી જાળી અને WHO દ્વારા માન્યતા પ્રાપ્ત રસીઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યા બાદ મેલેરિયાને વધુ ફેલાવો અટકાવવામાં મોટી સફળતા મળી છે. આ જ કારણે અનેક કેસ થતાં અટકાવવાની સાથે અનેક લોકોના જીવ પણ બચ્યા છે. WHO દ્વારા 2021માં પ્રથમ મેલેરિયા રસીને મંજૂરી આપવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 24 દેશોમાં નિયમિત રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ ઉપરાંત મોસમ મુજબ ફેલાતા મેલેરિયાને અટકાવવા માટે દવાઓનો વ્યાપક ઉપયોગ વધારાયો છે, જેમાં 2024માં કુલ 5.40 કરોડ (54 મિલિયન) બાળકોને દવાઓ અપાઈ છે.
આ પણ વાંચો : દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ... જુઓ ભારત-રશિયાનું અર્થતંત્ર કેટલું વધ્યું આગળ
મેલેરિયા મુક્ત દેશોની સંખ્યા વધી
WHOના અથાગ પ્રયાસોના કારણે મેલેરિયા મુક્ત દેશોની સંખ્યામાં વધારો થયો છે. 2024માં કાબો વર્ડે અને ઈજિપ્તને જ્યારે 2025માં જ્યોર્જિયા, સુરીનામ અને તિમોર-લેસ્ટે મેલેરિયા મુક્ત જાહેર કરાયા હતા.
2024માં 28.20 કરોડ કેસ, 6.10 લાખ લોકોના મોત થયા
WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે ચેતવણી આપી છે કે, ‘વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે અને ડ્રગ રેઝિસ્ટન્સનો ખતરો પણ વધી રહ્યો છે, સાથે જ ભંડોળ પણ ઘટાડવામાં આવી રહ્યા છે. આ કારણે મેલેરિયા સંકટ ટાળવાની કામગીરીને અસર પડી શકે છે.’ સંસ્થાના રિપોર્ટ મુજબ, મેલેરિયાના કારણે 2024માં 28.20 કરોડ કેસ નોંધાયા હતા, જ્યારે 6.10 લાખ લોકોના મૃત્યુ થયા હતા, જે અગાઉના વર્ષ કરતાં 90 લાખ વધુ છે. ભંડોળ ઘટવાના કારણે આરોગ્ય પ્રણાલીઓને ગંભીર અસર થઈ રહી છે અને મેલેરિયા સામે લડવાના પ્રોગ્રામની અસરને નબળી પાડી રહી છે, તેથી ડૉ. ટેડ્રોસે તમામ અસરગ્રસ્ત દેશોને ભંડોળ વધારવા સહિતના પગલા લેવા માટે વિનંતી કરી છે.
આ પણ વાંચો : યુદ્ધ સમાપ્ત અંગે પુતિનના નિર્ણયથી ઝેલેન્સ્કી ટેન્શનમાં, જાણો શું કહ્યું









