લિપુલેખ, લિમ્બીયા ધુરા કાલાપાની પોતાનાં દર્શાવતી રૂ. 100ની નોટ નેપાળે પ્રસિદ્ધ કરી છે
Updated: May 5th, 2024
- ભારતને પડોશી દેશો પીનકુશન માને છે : ચીનની તે રમત છે
- ભારતે નેપાળના તે દાવાને કૃત્રિમ કહેતાં અસ્વીકાર્ય જણાવ્યો, નેપાળ કહે છે દાયકાઓથી આ પ્રશ્ને કડવો વિવાદ ચાલી રહ્યો છે
ખંટમંડુ : નેપાળે, ગઇકાલે (શુક્રવારે) રૂ. ૧૦૦ની નોટ પ્રસિદ્ધ કરી છે જેમાં લિપુલેખ, લિમ્બીયાધુરા એન કાલાપાની વિસ્તારોને નેપાળે પોતાના હોવાનું દર્શાવ્યું છે. તે સત્ય છે કે નકશામાં કોઈપણ વિસ્તાર કોઈ દેશ પોતાનો દર્શાવે તો તેથી તે વિસ્તાર તેનો થઇ જતો નથી. પરંતુ તેમ કરવા આંતરરાષ્ટ્રીયસ્તરે અકારણ વિવાદ ઊભો થાય છે અને બંને દેશો વચ્ચે ખટાશ ઉત્પન્ન થાય છે.
નેપાળની આ કાર્યવાહી સામે ભારતે સખત વિરોધ દર્શાવ્યો છે.
આશ્ચર્ય તો તે છે કે બંને દેશો વચ્ચે ઇતિહાસના પ્રારંભકાળથી સારા સંબંધો રહ્યા છે. માતા જાનકી નેપાળનાં રાજકુમારી હતાં, પરંતુ ચીન જ્યારથી બળવાન થયું ત્યારથી પૂર્વ ગોળાર્ધ ઉપરની વિશેષતા આફ્રો એશિયા દેશોમાં એકમાત્ર સત્તા બની રહેવાના તેને કોડ જાગ્યા છે. તેમાં ભારત સૌથી મોટી આડખીલી છે. તેથી તે ભારતના પડોશી દેશોને સતત ભારત વિરૂદ્ધ ઉશ્કેર્યા કરે છે તે બધા ભારતને પીનકુશન માની બેઠા છે.
નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ (પ્રચંડ) કટ્ટર સામ્યવાદી છે. ચીને તેમને હાથમાં લીધા છે. તેઓને સમજાવી દીધું છે કે લિપુલેખ, લિમ્પીયા ધુરા અને કાલાપાની તમારા જ વિસ્તારો છે. ભારતે તે પચાવી પાડયા છે તે ઉપરાંત નેપાળની પશ્ચિમે રહેલી કાલીગંગા જે હજી સુધી બંને દેશોની સરહદ તરીકે સ્વીકારતી હોય તે સરહદ પણ સ્વીકારવા હવે નેપાળ તૈયાર નથી. જો કે, નેપાળ તે સરહદ ઓળંગી શકે તેમ જ નથી, પરંતુ તેના નકશાઓમાં તેનો તે સરહદ રેખા દૂર કરી છે અને સીધી લીટીમાં જ સરહદ રેખા ઉત્તર તરફ ખેંચી છે.
નેપાળ સરકારનાં પ્રવક્તા રેખા શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન પુષ્પકમલ દહલ (પ્રચંડ)નાં નેતૃત્વ નીચે મળેલી કેબિનેટ મીટીંગમાં રૂ. ૧૦૦ની નોટ ઉપર છાપવામાં આવનાર નેપાળના નકશામાં લિપુલેખ, લિમ્બીયા ધુરા અને કાલાપાની વિસ્તારોને સમાવિષ્ટ કરવા.
રેખા શર્મા, નેપાળ સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી પદે પણ છે.
ભારતે તે સામે સખત વાંધો ઉઠાવતાં કહ્યું છે કે આ કૃત્રિમ કાર્યવાહીથી નેપાળ અકારણ અને કડવો વિવાદ ઉભો કરે છે.
નેપાળને ચીને જ ચઢાવ્યું છે તે ચીને જ ૨૦૨૦માં જે નકશો પ્રસિદ્ધ કર્યો હતો તેમાં તે ત્રણે વિસ્તારો તેણે નેપાળમાં દર્શાવ્યા ન હતા. તેથી નેપાળે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે તે જ ચીન નવા નકશામાં તેે ત્રણે વિસ્તારો નેપાળના દર્શાવે છે, આ રીતે તે નેપાળને ભારત વિરૂદ્ધ ઉશ્કેરે છે. તેણે શ્રીલંકાને પણ ભારત વિરૂદ્ધ તેને આટલી આટલી મદદ કરી હોવા છતાં ઉશ્કેરે છે. મ્યાનમારને પણ ભારત વિરૂદ્ધ કરી દીધું છે. પાકિસ્તાનતો ચીનનું પાલતુ રાષ્ટ્ર છે. તેની વિષે કહેવાની જરૂર જ નથી. આ બધા પડોશીઓ તો ભારતને પીન કુશન માને છે. તે બધા પાછળ ચીનની રમત છે, પરંતુ નેપાળ તેટલું સમજતું નથી કે જો કલકત્તાનાં પોર્ટ સુધીનો તેનો આયાત નિકાસ વેપાર માર્ગ ભારત બંધ કરી દેશે તો તે આર્થિક રીતે પાયમાલ થઇ જશે.