Ayatollah Khamenei Warns Donald Trump : ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની સત્તાવાર વેબસાઈટ પર એક ઈરાની અખબારનો સનસનાટીભર્યો લેખ શેર કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકાને સીધી અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ‘સદા-એ-ઈરાન’ અખબારના આ તંત્રીલેખમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો ભવિષ્યમાં ઈરાન વિરુદ્ધ કોઈ નવો સંઘર્ષ શરૂ થશે, તો તે માત્ર મર્યાદિત દાયરામાં નહીં રહે, પરંતુ વિશ્વના અનેક મોરચે ફેલાઈ જશે.
‘ઈરાન પર હુમલો થયો તો...’
લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ઈરાન પર હુમલો થયો તો અગાઉ નક્કી કરાયેલી તમામ મર્યાદાઓ સંપૂર્ણપણે બદલાઈ જશે. અખબારે ચેતવણી આપી છે કે, જો અમેરિકાની આક્રમકતા ઈરાનની ધરતી અથવા તેના નાગરિકો સુધી પહોંચી, તો અમેરિકન નાગરિકો સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ સુરક્ષિત રહેશે નહીં. ઈરાને યાદ અપાવ્યું કે તાજેતરના 12 દિવસીય યુદ્ધમાં તેણે એકલા હાથે ‘ઝાયોનિસ્ટ અને અમેરિકન આક્રમણકારો’નો સામનો કર્યો હતો, પરંતુ હવે નવા સંઘર્ષમાં દુશ્મને અનેક પડકારોનો સામનો કરવો પડશે.
ટ્રમ્પના દાવાઓને ઈરાને ફગાવ્યા
બીજી તરફ, ઈરાને તેના મિસાઈલ પ્રોગ્રામ અને પરમાણુ કાર્યક્રમ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા ફગાવી દીધા છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આકરા પ્રહાર કરતા અમેરિકી પ્રશાસનને ‘પ્રોફેશનલ જૂઠ્ઠા’ ગણાવ્યા છે. તેમણે આ પ્રોપગેન્ડાની સરખામણી નાઝી જોસેફ ગોબેલ્સની થિયરી સાથે કરી હતી, જેમાં જૂઠને વારંવાર બોલીને સાચું સાબિત કરવાનો પ્રયાસ કરાય છે.
ઈઝરાયેલ અને અમેરિકા પર આક્ષેપ
ઈસ્માઈલ બાકીએ આક્ષેપ કર્યો કે, અમેરિકી વહીવટીતંત્ર અને યુદ્ધમાંથી નફો મેળવનારા તત્વો, ખાસ કરીને ઈઝરાયલની સરકાર, ઈરાન વિરુદ્ધ વ્યવસ્થિત રીતે દુષ્પ્રચાર કરી રહ્યા છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ, બેલિસ્ટિક મિસાઈલો અને જાન્યુઆરીના વિરોધ પ્રદર્શનોમાં થયેલા મૃત્યુના આંકડા અંગેના તમામ આરોપો માત્ર જૂઠાણા છે અને વિશ્વએ તેનાથી છેતરાવું જોઈએ નહીં.


