ઈઝરાયલી હુમલામાં વધુ એક પરમાણુ વૈજ્ઞાનિકનું મોત, ઈરાને કહ્યું- ‘આવી સ્થિતિમાં વાતચીત અસંભવ’
Iran-Israel Conflict : ઈઝરાયલ-ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર ભારે હુમલો કરી રહ્યા છે. ઈઝરાયલે આજે સવારે તેહરાનના ગિશા વિસ્તારમાં મિસાઈલ ઝીંકી છે, જેમાં પરમાણુ વૈજ્ઞાનિકનું મોત થતાં ઈરાન ભડક્યું છે. ઈઝરાયલી મીડિયાના રિપોર્ટ મુજબ, ઈઝરાયલી અધિકારીએ IDFએ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયલી અધિકારીએ કહ્યું કે, ‘ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધીત મોટા વૈજ્ઞાનિકોને ટાર્ગેટ કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં વૈજ્ઞાનિકનું મોત થુયં હોવાની પ્રાથમિક માહિતી મળી છે, પરંતુ ઈરાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઈરાનના રાષ્ટ્રપ્રમુખની ઈઝરાયલને ચેતવણી
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયને ઈઝરાયલી હુમલાને લઈ કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈઝરાયલ કોઈપણ શરત વગર તાત્કાલીક હુમલો રોકે, તે જ શાંતિનો રસ્તો છે. જો ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે તો અમે મજબૂરીથી જડબાતોડ જવાબ આપીશું.’ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જ્યાં સુધી ઈઝરાયલ હુમલા કરતું રહેશે, ત્યાં સુધી અમે અમેરિકા કે અન્ય કોઈ દેશ સાથે આ મુદ્દે કોઈ વાતચીત નહીં કરીએ. ઈરાને કહ્યું છે કે, આવી સ્થિતિમાં યુદ્ધ અટકાવવાની વાતચીત કરવી અસંભવ છે.
ઈઝરાયલના આઠમાં દિવસે પણ ભયાનક હુમલા
ગુરુવારે (12મી જૂન) રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જેના બાદ ઇરાને પણ બદલો લીધો. ઈઝરાયલી સેનાએ ગુરુવારે (19મી જૂન) જણાવ્યું હતું કે, ઈરાને નાગરિકોને ભારે જાનહાનિ પહોંચાડવાના હેતુથી ક્લસ્ટર બોમ્બ લઈ જતી મિસાઇલ છોડી હતી. આ યુદ્ધમાં ક્લસ્ટર મિસાઇલોનો ઈરાન દ્વારા પહેલીવાર પ્રયોગ કરાયો હતો. ઈરાન દ્વારા ઝીંકાયેલી મિસાઇલમાં ઈઝરાયલના મધ્યમાં લગભગ 4 માઇલ (7 કિલોમીટર)ની ઊંચાઈએ વિસ્ફોટ થયો હતો, જેના કારણે તેની અંદર રહેલા લગભગ 20 ક્લસ્ટર બોમ્બ 5 માઇલ (8 કિલોમીટર)ની ત્રિજ્યામાં વિખેરાઈ ગયા હતા અને તબાહી મચાવી હતી.
ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું હોવાના કોઈ દાવા નહીં
IAEA(ઇન્ટરનેશનલ એટૉમિક એનર્જી એજન્સી)ના ચીફ રાફેલ ગ્રોસીએ પોતાના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. તેમનો દાવો કર્યો હતો કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે અને હવે કહી રહ્યા છે કે, આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા. ગ્રોસીએ કહ્યું કે, 'એવો કોઈ પુરાવો નથી કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે.' નોંધનીય છે કે, IAEAના રિપોર્ટ અને ગ્રોસીના નિવેદન બાદ જ ઇઝરાયલે હુમલા શરુ કર્યા હતા. ઈરાને વળતો જવાબ આપતાં ઇઝરાયલમાં અનેક જગ્યાએ મિસાઇલથી હુમલો કર્યો હતો. તેણે ગુરુવારે હૉસ્પિટલને પણ નિશાનો બનાવી હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.