ઇઝરાયલ-ઈરાન બબાલથી ગભરાયું પાકિસ્તાન ! ટ્રમ્પ સાથેની બેઠકમાં મુનીરે કહ્યું, ‘ઈરાનમાં સત્તા પલટો થશે તો...’
Iran-Israel War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આમંત્રણ આપ્યા બાદ પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર (Pakistan Army Chief Asim Munir) વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં ટ્રમ્પ-મુનીરે સાથે ભોજન લીધા બાદ ચર્ચા-વિચારણા પણ કરી હતી. મુનીરે ટ્રમ્પને કહ્યું કે, જો ઈરાનમાં ઇસ્લામિક સત્તાનું પતન થશે તો અલગતાવાદીઓ અને જેહાદી આતંકવાદીઓ પાકિસ્તાન-ઈરાન બોર્ડર પર પતનનો ફાયદો ઉઠાવી શકે છે. એ જગ જાહેર છે કે, પાકિસ્તાન હંમેશા આતંકવાદને પોષતું આવ્યું છે. જોકે હવે તેને ડર છે કે, જો બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તો ઈરાન-પાકિસ્તાન સરહદ પર આતંકવાદી અને બલૂચિસ્તાનના જૂથો સક્રિય થશે, જેના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થઈ શકે છે.
પાકિસ્તાન-ઈરાન સરહદ પર વિરોધી સંગઠનો
વિશ્વસ્તરે એવી ચિંતા ઊભી થઈ છે કે, જો અમેરિકા ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં ઝંપલાવશે તો ઈરાનમાં સત્તા પલટાઈ શકે છે. સરહદની વાત કરીએ તો પાકિસ્તાન-ઈરાન વચ્ચે કુલ 900 કિલોમીટર લાંબી સરહદ છે અને સરહદની બંને બાજુ ઈરાન વિરોધી અને પાકિસ્તાન વિરોધી સંગઠનો સક્રિય છે. ઇઝરાયલ વારંવાર કહી રહ્યું છે કે, ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ તેમના નિશાના પર છે. આ તમામ ઘટનાક્રમ ઊભો થયા બાદ પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. તેને ડર છે કે, ઇઝરાયેલે અન્ય દેશના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરવા માટે એક મિસાઇલ તૈયાર રાખી છે, આ જોતાં ભવિષ્યમાં અન્ય દેશો પણ આવું કરી શકે છે.
પાકિસ્તાન યુદ્ધથી ખુશ નથી : ટ્રમ્પ
બુધવારે (18 જૂન) ટ્રમ્પ અને મુનીરે વ્હાઇટ હાઉસમાં ભોજન કર્યું હતું, ત્યારબાદ ટ્રમ્પે ઇઝરાયલ-ઈરાન ઘર્ષણ અંગે પાકિસ્તાનના અભિપ્રાયનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘પાકિસ્તાન યુદ્ધથી ખુશ નથી.’ પછી મુનીરે ગુરુવારે (19 જૂને) કહ્યું કે, ‘બંને દેશોએ ઈરાન મુદ્દા પર ચર્ચા કરી હતી અને સંઘર્ષનું સમાધાન કાઢવા પર ભાર આપ્યો હતો.’ ઈરાન પર ઇઝરાયલના હુમલાની પાકિસ્તાને ટીકા કરી છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સફકત અલી ખાને ગુરુવારે (19 જૂને) કહ્યું કે, ‘અમારા ભાઈ જેવા દેશ ઈરાનમાં જે કંઈ થઈ રહ્યું છે, તે અમારા માટે ખૂબ જ ગંભીર મુદ્દો છે. સંઘર્ષના કારણે સમગ્ર પ્રાદેશિક સુરક્ષાના માળખા પર ખતરો છે અને તેની સૌથી અસર અમારા પર પડશે.
ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી બલૂચ બળવાખોરો ખુશ
ઈરાન-પાકિસ્તાની સરહદ પરના કેટલાક બળવાખોર જૂથો ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ખુશ થયા છે. પાકિસ્તાનથી સંચાલન થતાં ઈરાની જિહાદી ગ્રૂપ જૈશ-અલ-અદલે કહ્યું કે, ઈરાન સાથે ઇઝરાયલનું ઘર્ષણ એક મોટી તક છે. ગ્રૂપે 14 જૂને કહ્યું કે, જૈશ અલ-અદલ ઈરાને તમામ લોકો તરફ ભાઈચારો અને મિત્રતાનો હાથ લંબાવ્યો છે. ગ્રૂપે બલૂચિસ્તાનના લોકો, તેમના સશસ્ત્ર દળો સહિતના લોકોને આ આંદોલનમાં સામેલ થવાનું આહ્વાન કર્યું છે. પાકિસ્તાનને ડર છે કે, ઈરાન સ્થિત બલોચ લઘુમતી સમુદાયના આતંકવાદીઓ પણ હુમલાઓ કરશે.
આ પણ વાંચો : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર