ચર્ચ ઓફ આયર્લેન્ડનું કાળું સત્ય: 796 નવજાત શિશુ સાધ્વીઓએ સેપ્ટિક ટાંકીમાં ફેંકી દીધા હતા, 100 વર્ષ પછી હાડકાં શોધાઈ રહ્યા છે
Ireland Catholic Church Scandal : હાલ આયર્લેન્ડનું નાનકડું ટુઆમ (Tuam) નગર ભારે ચર્ચામાં છે. કારણ એ છે કે, અહીં એક સ્થળે ખોદકામ કરાઈ રહ્યું છે. ખોદકામની આ સ્થળે ભૂતકાળમાં એક સેપ્ટિક ટેંક હતી, જેમાં અપરિણીત યુવતીઓથી જન્મેલા 796 નવજાત શિશુને ફેંકી દેવાયા હતા. કેથલિક સાધ્વીઓ દ્વારા ચલાવાતા આવા 'મધર એન્ડ બેબી હોમ'માં અપરિણીત માતાઓને રખાતી હતી. એક અંદાજ મુજબ સમગ્ર આયર્લેન્ડમાં ફેલાયેલા આવા 'મધર એન્ડ બેબી હોમ્સ'માં 9000થી વધુ બાળકની હત્યા કરાઈ હતી!
તો ચાલો જાણીએ આ સનસનીખેજ હત્યાકાંડનો ચોંકાવનારો ઈતિહાસ.
35 વર્ષ સુધી ચાલ્યો બાળહત્યાનો સિલસિલો!
ટુઆમમાં આવેલા 'બોન સેકોર્સ મધર એન્ડ બેબી હોમ'માં વર્ષ 1925થી 1961 વચ્ચે એટલે કે 64થી 100 વર્ષ પહેલા, આશરે 35 વર્ષના સમયગાળામાં, 796 નવજાત શિશુને સેપ્ટિક ટેંકમાં ફેંકી દેવાયા હતા. આ સંસ્થા કેથલિક ચર્ચ દ્વારા ચલાવાતી હતી અને ખ્રિસ્તી સાધ્વીઓ તેની સર્વેસર્વા હતી. હવે તેનું ખોદકામ ચાલી રહ્યું છે, જેથી ઘણાં 'રહસ્યો' બહાર આવી શકે છે. આયર્લેન્ડના ભૂતકાળનું આ કાળું પ્રકરણ પ્રકાશમાં આવતાં એ જમાનામાં ચર્ચ કેટલું શક્તિશાળી હતું અને સમાજને કઈ હદે નિયંત્રિત કરતું હતું, એ સમજાય છે. ચર્ચની આ પાપલીલાને આયર્લેન્ડની તત્કાલીન સરકારોનું પણ ‘મૂક સમર્થન’ હતું. સરકારનો ટેકો હોવાથી જ તો આવી ગુનાઈત પ્રવૃત્તિ દાયકાઓ સુધી બેરોકટોક ચાલતી રહી હતી.
મહિલા ઈતિહાસકારનું સંશોધન બન્યું ગેમચેન્જર
જો કે, બોન સેકોર્સમાં આ ભયાનક હત્યાકાંડનો મામલા વિશે દુનિયા બહુ જાણતી ન હતી. આ દરમિયાન વર્ષ 2012માં આયર્લેન્ડના ઈતિહાસકાર કેથરિન કોર્લેસે ઓલ્ડ ટુઆમ સોસાયટીની જર્નલમાં આ વિશે એક લેખ લખ્યો અને હોબાળો મચી ગયો. બાદમાં દુનિયાભરમાં આ વિશે અહેવાલો પ્રકાશિત થયા અને સમગ્ર હકીકત પરથી પડદો ઉઠતો ગયો.
આ ઘટસ્ફોટ બાદ આઇરિશ સરકારે 2014માં આ હત્યાકાંડ બદલ સત્તાવાર માફી પણ માંગી. એટલું જ નહીં, આયર્લેન્ડ સંસદે વર્ષ 2022માં એક કાયદો પસાર કર્યો, જેમાં પીડિતો માટે વળતરની યોજના તૈયાર કરાઈ હતી અને 814 પીડિત માતાઓ કે પરિવારોને રૂ. 28,384 કરોડની સહાય જાહેર કરાઈ. આ ઉપરાંત સરકારે ટુઆમમાં ખોદકામનો પણ આદેશ આપ્યો, જેથી સત્ય બહાર આવી શકે. આમ, આટલા સમય પછી હત્યાકાંડના સ્થળે ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ છે.
ધર્મની ઉજળી છબિ જાળવી રાખવા જનસંહાર
જનસંહારની વાત આવે ત્યારે હિટલરના જુલમો યાદ આવે છે, પણ જનસંહાર આયર્લેન્ડમાં થયો હતો એવો ‘સાયલન્ટ’ પણ હોઈ શકે, એ જાણીને જગત સ્તબ્ધ થઈ ગયું છે. ખ્રિસ્તી ધર્મની છબિ કલંકિત ના થાય એ હેતુથી આયર્લેન્ડમાં આવી શિશુ-હત્યાની પ્રથા દાયકાઓ સુધી અમલી રહી હતી. અપરિણીત યુવતી પોતાના પ્રેમી દ્વારા સ્વેચ્છાએ ગર્ભવતી થાય કે પછી બળાત્કારનો ભોગ બને, તેને 'મધર એન્ડ બેબી હોમ'માં મોકલાતી. ત્યાં યુવતી બાળકને જન્મ આપે, એ પછી નવજાત બાળકને ‘પાપ’ ગણીને સાધ્વીઓ તેને સેપ્ટિક ટેંકમાં ફેંકી દેતી હતી! આવા ‘ફેંકી દેવાયેલા’ બાળકોની સંખ્યા 796 જેટલી હતી. એવું કહેવાય છે કે, ફક્ત બે બાળકોને કબ્રસ્તાનમાં દફનાવાયા હતા.
અવશેષોને સન્માનજનક રીતે ફરીથી દફનાવાશે
'બોન સેકોર્સ મધર એન્ડ બેબી હોમ' 1971માં તોડી પડાયું હતું. આ ચર્ચ ચલાવતી સંસ્થા 1972માં બંધ કરી દેવાઈ. (કાળા કામમાં સંડોવાયેલી છેલ્લી સંસ્થા 1990માં બંધ કરાઈ હતી.) ત્યાર પછી એ સ્થળની આસપાસ આધુનિક એપાર્ટમેન્ટ બનાવી દેવાયા હતા. નવજાત શિશુઓના અવશેષો હજુ પણ બોન સેકોર્સ મધર એન્ડ બેબી હોમ જ્યાં હતું એ જમીનમાં દટાયેલા હોઈ શકે છે, એવી ધારણાને આધારે હાલમાં ત્યાં ખોદકામ શરૂ કરાયું છે. શિશુઓના જે અવશેષ મળે એને સન્માનજનક રીતે ફરીથી દફનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સમગ્ર પ્રક્રિયામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.
મોટી માત્રામાં અવશેષ મળવાની શક્યતા ઓછી
આટલી મોટી માત્રામાં બાળકોની હત્યા કરાઈ હોવા છતાં વધુ માત્રામાં અવશેષ મળવાની શક્યતા ઓછી છે કારણ કે, નવજાત શિશુના હાડકાં ખૂબ નરમ હોય છે, તેથી તે ઝડપથી નાશ પામે છે. હવે આટલા દાયકા પછી કેવા અને કેટલા અવશેષ બચ્યા હશે, એ પણ એક પ્રશ્ન છે.
‘પતન પામેલી’ અપરિણીત માતાઓ જેલવાસ ભોગવતી
અપરિણીત સગર્ભાઓને ડિલિવરી માટે આવા ગૃહમાં મોકલવામાં આવતી. તેઓ બાળકને જન્મ આપે પછી તેમને એક વર્ષ સુધી પગાર વિના કામ કરવાની ફરજ પડાતી. આ દરમિયાન યુવતીઓ પર બાજનજર રખાતી. ઘણાં બાળકોને મોત આપવાને બદલે દત્તક આપી દેવાતાં, પણ માતાઓને નહોતું જણાવાતું કે એના બાળકને કોણે અને ક્યારે દત્તક લીધું છે? આ માતાઓ આજીવન જાણી નહોતી શકતી કે એના બાળકનું શું થયું? એ જીવે પણ છે કે માર્યું ગયું?
નોંધનીય છે કે, વર્ષો પહેલાની આ ઘટના પછી આયર્લેન્ડ સહિત દુનિયાભરમાં રોષ ફાટી નીકળ્યો છે.