- ઇરાને ટ્રમ્પની 15 સૂત્રીય સમાધાન ફોર્મ્યુલા ફગાવી દીધી
- અમેરિકાની ભૂમિ આક્રમણની તૈયારીના સ્પષ્ટ સંકેત મળ્યા, 82મી એરબોર્ન પેરાટ્રુપર્સ ડિવિઝન ઉતારશે
તહેરાન,વોશિંગ્ટન : અમેરિકાએ ઇરાનને મધ્યપૂર્વમાં શાંતિ માટે પાક.ના બે અધિકારીઓ દ્વારા ૧૫ મુદ્દાનો કાર્યક્રમ સુપ્રદ કર્યો હતો, જેને ઇરાને ફગાવી દીધો છે. શાંતિના બણગા ફૂંકતા-ફૂંકતા પણ અમેરિકા અને ઇઝરાયેલના ઇરાન પરના હુમલા તો ચાલુ જ છે. તેની સામે ઇરાને પણ અમેરિકાના અબ્રાહમ લિંકન યુદ્ધજહાજ અને ઇઝરાયેલના પરમાણુ મથક નજીક હુમલો કરીને તેની મિસાઇલ ક્ષમતા દર્શાવી હતી.
ટ્રમ્પના પ્લાનને ઇરાને ફગાવ્યો
ટ્રમ્પે રજૂ કરેલો ૧૫ સૂત્રીય પ્લાન પહેલેથી જ નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી સંભાવના હતા. તેમા ઇરાનને સંતોષ થાય તેવું કશું ન હતુ. તેમા પણ આ યુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલે શરુ કર્યુ છે અને તેથી શાંતિની પહેલ પણ અમે કરી છે, પરંતુ ઇરાન શાંતિ ઇચ્છતુ નથી તે બતાવવા માટે આ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો, જેથી યુદ્ધ ચાલુ રહે તો પણ અમેરિકા કહી શકે કે અમે તો શાંતિનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઇરાને તેને મંજૂર રાખ્યો ન હતો.
અમેરિકાની ભૂમિ આક્રમણની તૈયારી
આ દરમિયાન અમેરિકાએ મધ્યપૂર્વમાં ૮૨મી એરબોર્ન ડિવિઝનના એક હજારથી વધુ જવાનો મોકલવાનો નિર્ણય લીધો છે. પેન્ટાગોન આ ઉપરાંત બીજા પાંચ હજાર મરીન્સ પણ મોકલવાની તૈયારીમાં છે.અમેરિકાના આ પગલાંને સંરક્ષણ નિષ્ણાતો બહુ મોટું પગલું માને છે. નિવૃત્ત અમેરિકન જનરલ જહોન એલનનું કહેવું છે કે ૮૨મી એરબોર્ન ડિવિઝન મોકલવાનો અર્થ ફક્ત ડિફેન્સ જ નથી. આ ડિવિઝન ઉતારવાનો અર્થ ભૂમિ આક્રમણની તૈયારીનો સ્પષ્ટ સંકેત છે. આમ અમેરિકા પહેલા હવાઈ અને પછી નૌકાદળ વડે હુમલા કરી રહ્યુ હતુ, હવે તેણે પેરાટ્રૂપર્સ ગોઠવ્યા છે. આનો સીધો અર્થ એમ થાય કે ખાર્ગ ટાપુ કે ઇરાનની જમીનના અન્ય હિસ્સાઓ પર ભૂમિ આક્રમણની તૈયારી વધી ગઈ છે. હાલમાં અમેરિકાના ૧૬ યુદ્ધજહાજ મધ્યપૂર્વમાં ગોઠવાયેલા છે. તેમા બે ફુલ કેરિયર સ્ટ્રાઇક ગુ્રપ છે. કેટલાક એમ્ફિબિયસ એસોલ્ટ શિપ છે.આ સિવાય ક્રૂઝર સામેલ છે.
અમેરિકાના અબ્રાહમ લિંકન યુદ્ધજહાજ પર હુમલાનો ઇરાનનો દાવો
ઇરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન પર ક્રુઝ મિસાઇલ છોડી છે. આ જાણકારી ઇરાનના સરકારી ટેલીવિઝને આપી હતી. જો કે અમેરિકા તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. ઇરાનના નૌકાદળે અગાઉ પણ અમેરિકન લશ્કરને ચેતવણી આપી હતી કે તેની અબ્રાહમ લિંકન પર ચાંપતી નજર છે. જો તે ઇરાનના ક્ષેત્રની નજીક આવે છે તો ઇરાન તેને લક્ષ્યાંક બનાવી શકે છે. ઇરાને આ ઉપરાંત ઇઝરાયેલના પરમાણુ મથકની નજીક હુમલો પણ કર્યો હતો. તેણે ઇઝરાયેલે કરેલી તેના પર આક્રમક કાર્યવાહીનો વળતો જવાબ આપતા આ હુમલો કર્યો હતો.તેની સાથે જો ઇરાનના પરમાણુ મથક પર કે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો થયો તો વળતા જવાબની ચેતવણી પણ આપી હતી.
ઇઝરાયેલનોપરમાણુ કાર્યક્રમ ચાલે છેતે ડિમોના શહેર પર મિસાઇલ એટેક
ઇરાને આ ઉપરાંત ઇઝરાયેલના અનેક શહેરોને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કર્યા હતા. ઇરાનના હુમલામાં ઇઝરાયેલના શહેરોમાં ખાસ્સુ નુકસાન થયું હતું. તેમા એક હુમલો તો તેના દક્ષિણી શહેર ડિમોના પર કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલનો લાંબા સમયથી પરમાણુ શસ્ત્રોનો કાર્યક્રમ આ સ્થળે ચાલતો હોવાનું મનાય છે. આ દરમિયાન ઇરાન સમર્થિત હીઝબુલ્લાહ ગુ્રપે પણ ઇઝરાયેલ પર મોટાપાયા પર હુમલા કર્યા હતા. ઇરાને આ ઉપરાંત સાઉદી અરેબિયા, કુવૈત સહિત અનેક સ્થળોએ હુમલા કરી તેમના પર દબાણ વધાર્યુ હતું.
સાઉદી અરેબિયાએ જણઆવ્યું હતું કે તેણે આઠ ડ્રોન નિષ્ફળ બનાવ્યાહતા. જ્યારે કુવૈતે જણાવ્યું હતું કે તેને ત્યાં પણ અનેક ડ્રોન હુમલા થયા હતાઅને તેમા એક હુમલામાં તેની ફ્યુઅલ ટેન્ક આગની જ્વાળાઓમાં ફેરવાઈ હતી.
ઇરાનના બુશહર શહેરના પરમાણુ મથક પર મિસાઇલ હુમલો
યુદ્ધમાં આજે ઇરાનના બુશહર શહેરના પરમાણુ મથક પર મિસાઇલ હુમલો થયો હતો. ઇરાને આ મિસાઇલ તોડી પાડી હતી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ તેને ઇરાનને આપેલી વિગતના આધારે આ વાત જણાવી હતી. ઇરાનના જણાવ્યા મુજબ પ્લાન્ટને નુકસાન થયુ નથી. તેની સ્થિતિ સામાન્ય છે.
કાસ્પિયન સમુદ્રમાં રશિયા-ઇરાન સપ્લાય લાઇન પર ઇઝરાયેલનો હુમલો
ઇઝરાયેલે ઇરાન સાથેના યુદ્ધમાં પહેલી વખત કાસ્પિયન સમુદ્રમાં હુમલો કર્યો હતો અને રશિયા-ઇરાન વચ્ચે ચાલતી સપ્લાય લાઇનને લક્ષ્યાંક બનાવી હતી. આ હુમલો ફક્ત લશ્કરી ઓપરેશન જ નહીં, પરંતુ વ્યૂહાત્મક સંદેશો પણ છે. આ બતાવે છે કે યુદ્ધનો પથારો કેટલો લાંબો થયો છે.
કાસ્પિયન સમુદ્ર લાંબા સમયથી રશિયા અને ઇરાન વચ્ચે સુરક્ષિત કોરિડોર હતો. આ વિસ્તાર અમેરિકન નૌકાદળની પણ પહોંચ બહાર માનવામાં આવે છે. અહીંથી બંને દેશો કોઈપણ પ્રકારના શસ્ત્રોનો પુરવઠો સરળતાથી એકબીજાને સપ્લાય કરી શકે છે.
આ રુટે ઇરાનને ડ્રોન, આર્ટિલરી, શેલ્સ અને લાખો રાઉન્ડ દારુગોળો મોકલવામાં આવતો હતો. અહેવાલ મુજબ ત્રણ લાખથી વધુ આર્ટિલરી શેલ્સ અને લગભગ દસ લાખ રાઉન્ડ આ જ રસ્તે ટ્રાન્સફર કરાયા હતા. આ નેટવર્કને તોડવા માટે ઇઝરાયેલે કાસ્પિયન સમુદ્રમાં આવેલા ઇરાનના બંદર અંજલિ પર હુમલો કર્યો. આ હુમલામાં વોરશિપ, નેવલ કમાન્ડ સેન્ટર,શિપયાર્ડ અને રિપેરિંગ ફેસિલિટીઝ સહિત ડઝનેક લશ્કરી ઠેકાણાઓને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા.
ઇઝરાયેલે આ ઉપરાંત યહૂદી તહેવારો વખતે પણ લોકોને ભેગા થવા સામે ચેતવણી આપી છે. આ દરમિયાન ઇરાકના મંત્રાલયે જણાવ્યું હતું કે તેને ત્યાં થયેલી એરસ્ટ્રાઇકમાં ઇરાકી લશ્કરના આઠ જવાનોના મોત થયા હતા.
ઇરાને શાંતિ માટે ઉતાવળા થયેલા ટ્રમ્પની મજાક ઉડાવી
તહેરાન : ઇરાને શાંતિ માટે ઉતાવળા થયેલા ટ્રમ્પની ધરાર મજાક ઉડાવી છે. તેણે જણાવ્યું હતું કે ટ્રમ્પ યુદ્ધ માટે પણ ઉતાવળા થઈ ગયા હતા અને હવે શાંતિ માટે પણ ઉતાવળા થયા છે. ઇરાની લશ્કરના લેફટનન્ટ કર્નલ ઇબ્રાહિમ ઝુલ્ફીકારીએ આ વાત સરકારી ટીવી પર જણાવી હતી. તેણે ટ્રમ્પની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે શું તેમના આંતરિક ઝગડા તે હદ સુધી પહોંચી ગયા છે કે તમે જાણે પોતાની સાથે જ વાત કરી રહ્યા છો. અમે જે પહેલા કહ્યુ હતુ કે તે આજે જણાવીએ છીએ. અમારા જેવો કોઈ વ્યક્તિ તમારી સાથે સમાધાન ન કરે. તમે જે રણનીતિક તાકાતની વાત કરતાં હતા તે હવે રણનીતિક નિષ્ફળતામાં પરિવર્તીત થઈ ચૂકી છે. તમે પોતે વૈશ્વિક મહાશક્તિ હોવાનો દાવો કરો છો, પરંતુ જો તમે ખરેખર તેવી શક્તિ હોત તો આ મુશ્કેલીમાંથી બહાર આવી ગયા હોત.


