| (IMAGE - IANS) |
Iran-US Peace Talks: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે કે, 'ઈરાન અમેરિકા અને ઈઝરાયલ સાથેનો યુદ્ધ પૂરું કરવા માટે રાજદ્વારી માર્ગ અપનાવવા તૈયાર છે. જોકે, તેમણે ઈરાનના અધિકારોની સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો. બુધવારે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર થયેલી વાતચીત દરમિયાન પેઝેશ્કિયને અમેરિકા પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે દ્વિપક્ષીય વાટાઘાટો ચાલતી હોવા છતાં ઈરાન પર હુમલા કરવામાં આવ્યા, જે અમેરિકા દ્વારા ઈરાનની પીઠમાં છરો ઘોંપવા સમાન છે.
નવી સમજૂતી માટે અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણાના અહેવાલ
તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈરાન લડાઈનો અંત લાવવા માટે એક પેજના મેમો પર કામ કરી રહ્યા છે. આ સંભવિત ડીલ હેઠળ ઈરાન ન્યુક્લિયર સંવર્ધન પર રોક લગાવવાનું વચન આપશે, બદલામાં અમેરિકા તેના પરથી આર્થિક પ્રતિબંધો હટાવશે. આ ઉપરાંત, બંને પક્ષો હોર્મુઝ સ્ટ્રેટથી પરિવહન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા પર પણ સહમત થઈ શકે છે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલી 40 દિવસની લડાઈ બાદ 8 એપ્રિલે બે સપ્તાહ માટે સીઝફાયર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: 'ઈરાનના હવાઇ હુમલાઓમાં 228 અમેરિકન સૈન્ય ઉપકરણો નષ્ટ...', સેટેલાઈટ તસવીરોએ પોલ ખોલી
શાંતિ વાટાઘાટો અને મીડિયા અહેવાલો પર શંકા
સીઝફાયર બાદ એપ્રિલ મહિનામાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો થઈ હતી, પરંતુ તે કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નહોતી. હાલમાં ઈરાન લડાઈ ખતમ કરવા માટેના નવા પ્રસ્તાવિત પ્લાનની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ઈરાનની મીડિયા એજન્સીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા સાથે કોઈ નવો લેખિત સંદેશ એક્સચેન્જ કરવામાં આવ્યો નથી. કેટલાક મીડિયા અહેવાલોને ઈરાને મનગડત ગણાવ્યા છે અને કહ્યું છે કે આ પ્રકારના અહેવાલો ગ્લોબલ માર્કેટમાં ઓઇલની કિંમતો ઘટાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.


