Iran vs Israel and USA War News : અમેરિકા અને ઈરાન વચ્ચેના દરિયાઈ યુદ્ધમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. શ્રીલંકાના તટ પાસે ઈરાની યુદ્ધજહાજ 'ડેના' (Dena) ને ડૂબાડવાની ઘટનાને ઈરાને અમેરિકાનો "અત્યાચાર" ગણાવ્યો છે અને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.
ઈરાની વિદેશ મંત્રીનો આક્રોશ
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમેરિકાએ ઈરાનના કિનારાથી 2000 માઈલ (આશરે 3219 કિમી) દૂર દરિયાની વચ્ચે એક ઘાતક અત્યાચાર કર્યો છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, "મારા શબ્દો નોંધી રાખજો: અમેરિકાએ જે આ મિસાલ કાયમ કરી છે, તેના માટે તેણે પસ્તાવું પડશે."
ભારતીય નૌસેનાનું 'મહેમાન' હતું આ જહાજ
વિદેશ મંત્રી અરાગચીના જણાવ્યા અનુસાર, ડૂબાડવામાં આવેલું ઈરાની યુદ્ધજહાજ 'ડેના' ભારતીય નૌસેનાના મહેમાન તરીકે શ્રીલંકા પાસે હતું. આ જહાજમાં લગભગ 130 નાવિકો સવાર હતા. ઈરાનનો દાવો છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર આ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.
યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની
અમેરિકી સબમરીન દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ ઈરાન હવે પલટવાર કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવું જણાય છે. આ ઘટનાએ માત્ર મધ્ય પૂર્વ જ નહીં, પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં પણ સૈન્ય હલચલ વધારી દીધી છે.


