અમેરિકામાં ભારતીય યુવકની ક્રૂર હત્યા: ‘ફેક’ પિત્ઝા ડિલિવરીના બહાને જાળમાં ફસાવી ગોળી મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Fake Pizza Delivery Trap | અમેરિકાના ફિલાડેલ્ફિયામાં તેલંગાણાના 28 વર્ષીય ભારતીય યુવક અંશુલ કુંચાની પિત્ઝા ડિલિવરી કરવા દરમિયાન ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ સમગ્ર ઘટના એક સુનિયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે, જેમાં અંશુલને પિત્ઝાના ‘ફેક’ (નકલી) ઓર્ડર આપીને બોલાવવામાં આવ્યો હતો. અંશુલ અમેરિકામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કાયમી નોકરી કરતો હતો, પરંતુ વધારાની કમાણી કરવા માટે તે વીકેન્ડ (શનિ-રવિ) પર પાર્ટ-ટાઇમ પિત્ઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો.
નકલી ઓર્ડર આપીને જાળમાં ફસાવ્યો
શનિવારે રાત્રે અંશુલને એક સુનશાન વિસ્તારમાંથી પિત્ઝા ડિલિવરીની રિક્વેસ્ટ મળી હતી. અંશુલ જ્યારે ત્યાં પિત્ઝા પહોંચાડવા ગયો ત્યારે તે વિસ્તારમાં કોઈ હાજર નહોતું. અચાનક ત્યાં બે નકાબપોશ હુમલાખોરો આવ્યા હતા અને અંશુલના માથાના ભાગે એક પછી એક કહીને ઘણી ગોળીઓ મારી દીધી હતી. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
લૂંટ નથી થઈ, આ એક ષડયંત્ર: પરિવારનો આરોપ
અંશુલના પરિવારના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ અંશુલ પાસેથી કોઈ લૂંટફાટ કરી નથી, જેના કારણે આ હત્યા પાછળ કોઈ મોટો હેતુ હોવાની શંકા દ્રઢ બને છે. ભૂતકાળમાં પણ અંશુલ અમેરિકામાં લૂંટનો શિકાર બન્યો હતો, જેમાં તેનો ફોન, ચેન અને રોકડ ચોરાઈ ગયા હતા, પરંતુ ત્યારે તેના પર આવો જીવલેણ હુમલો થયો નહોતો. અંશુલની બહેન તન્વીએ રડતાં રડતાં આરોપ લગાવ્યો છે કે આ પિત્ઝા ઓર્ડર માત્ર તેના ભાઈની હત્યા કરવા માટે બિછાવવામાં આવેલી એક ચાલ હતી.
બાળકોને અમેરિકા ન મોકલવા અપીલ અને મનની વેદના
છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં રહેતા અને ખૂબ જ હસમુખા સ્વભાવના અંશુલના મોતના સમાચારથી તેનો પરિવાર ભાંગી પડ્યો છે. મીડિયા સાથે વાત કરતા અંશુલની બહેને ભાવુક અપીલ કરી છે કે, "આ એ તમામ માતા-પિતા માટે એક સંદેશ છે જેઓ પોતાના સંતાનોને અમેરિકા મોકલવાનું વિચારી રહ્યા છે. મારો ભાઈ પોતે અમેરિકા જવા માંગતો નહોતો, છતાં અમે તેને મોકલ્યો અને જુઓ તેનું શું હશર થયું! કૃપા કરીને તમારા બાળકોને અમેરિકા ન મોકલો."
મૃતદેહ જલ્દી ભારત લાવવા માંગ અને કાઉન્સિલેટની મદદ
પરિવારે અંશુલ માટે ન્યાયની ગુહાર લગાવી છે અને જવાબદારોને કડક સજા થાય તેવી માંગ કરી છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેઓ સ્થાનિક અમેરિકન સત્તાવાળાઓ તેમજ પીડિત પરિવારના સંપર્કમાં રહીને તમામ કાનૂની અને રાજદ્વારી મદદ પૂરી પાડી રહ્યા છે. અધિકારીઓએ પરિવારને આશ્વાસન આપ્યું છે કે સોમવાર સુધીમાં અંશુલનો પાર્થિવ દેહ સોંપવામાં આવી શકે છે.









