ક્રાઇસ્ટ ચર્ચ, 7 જાન્યુઆરી,2026,બુધવાર
અરવલ્લી પહાડીઓની ઉંચાઇ અને પર્યાવરણનો વિવાદ ચાલ્યો પરંતુ ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર આવેલા ટારાનાકી નામના ૨૫૬૧ મીટર ઉંચા પર્વતને માણસને હોય તેવા અધિકારો આપીને રક્ષણ કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડની સંસદ દ્વારા ૩૧ જાન્યુઆરીના રોજ માઉન્ટ ટારાનાકી પર ગેર કાયદેસર કબ્જા અંગે માફી માંગીને 'ટારાનાકી માઉંગા કલેકેટિવ રિડ્રેસ બિલ' પાસ કરીને દાયકાઓ જુની ભૂલ સુધારવામાં આવી હતી.
ન્યૂઝીલેન્ડે જનજાતિઓના ટારાનાકી પર્વત અને આસપાસના વિસ્તારને લિગલ પર્સનલ હુડ ગણીને માનવતાનો દાખલો બેસાડયો છે. કાનુની રીતે ટારાનાકી પર્વત નિર્જીવ પદાર્થ નહી હોવાથી પર્વતની ઇકો સિસ્ટમ પર થતા અત્યાચારને કોઇ નિદોર્ષ માણસ પર થતા અત્યાચારની કેટેગરીમાં ગણવામાં આવે છે. ટારાનાકી માઉંગા તરીકે ઓળખાતા માઉન્ટ ટારાનાકી પર્વતનું કાનુની નામ 'કાહુઇ ટુપુઆ' આપવામાં આવ્યું છે જેમાં માત્ર પર્વત જ નહી તેની આસપાસના શિખરો અને જમીનનો પણ સમાવેશ થાય છે.
આ પર્વત હાઇકિંગ અને બરફની રમતો માટેનું એક લોકપ્રિય સ્થળ છે

ટારાનાકી ઇલાકામાં વસેલા મૂળ નિવાસીઓએ પોતાના પૂર્વજ પર્વત પરના અધિકારો મેળવવા માટે જે લાંબી લડાઇ લડવી પડી છે તેના મૂળિયા ૨૦૦ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડનું વસાહતીકરણ થયું તેની સાથે જોડાયેલા છે. સ્થાનિક જનજાતિઓ માટે પર્વત ભૌતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરામસ્થાન અને ભરણપોષણનો સ્ત્રોત રહયો છે.
માઉન્ટ ટારાનાકીને માણસ જેવા અધિકારો મળ્યા પછી પર્વતને કોઇ નુકસાન પહોંચાડવા કે તેની ઇકો સિસ્ટમને બદલવા પ્રયાસ કરશે તેની વિરુધ સરકાર અને સ્થાનિક જનજાતિઓ કાયદેસરના પગલા ભરી શકે છે. ન્યૂઝીલેન્ડના ઉત્તર ટાપુ પરનો આ સૌથી ઉંચો પર્વત હાઇકિંગ અને બરફની રમતો માટેનું એક લોકપ્રિય સ્થળ રહયું છે. પહાડો પર આવન જાવનના અધિકારોમાં કોઇ ફેરફાર કરાયો નથી. હરવા ફરવાના આનંદ સાથે પર્યાવરણની વિશેષ જાળવણીની ફરજ પણ અદા કરવી પડે છે.
ઇસ ૧૮૪૦માં બ્રિટિશરો દ્વારા મૂળ નિવાસીઓ પાસેથી પર્વત પડાવી લેવાયો હતો.

ઇસ ૧૭૭૦માં બ્રિટિશ સંશોધક કેપ્ટન જેમ્સ કૂકે તેના જહાજમાંથી શિખર જોયું જેનું નામ માઉન્ટ એગમોન્ટ રાખ્યું હતું જેનું નામ બદલીને માઉન્ટ ટારાનાકી થયું હતું. ઇસ ૧૮૪૦માં બ્રિટિશ ઉપનિવેશવાદ કાળમાં વેટાંગી સંધી હેઠળ પર્વત અને આસપાસની જમીન માઓરી લોકો પાસેથી પડાવીને ગેર માઓરી લોકોને સોંપી દેવામાં આવી હતી.
સંધિમાં ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસીઓની જમીન અને સંસાધનોના અધિકાર જાળવવાની વાત હતી પરંતુ સંધિનું બ્રિટિશ તાજ દ્વારા જુદું જ અર્થઘટન થયું હતું. ઇસ ૧૮૬૫માં તાજ સામે બળવો કરવા બદલ માઓરીને સજા કરવા માટે પર્વત સહિત અંદાજે ૧૦ લાખ એકર પર જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લેવાયો હતો એટલું જ નહી માઓરીઓની પર્વત સાથે સંકળાયેલી પરંપરાઓ અને પ્રથાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ સમયે સંધિનું ઉલંઘન કરીને જનજાતિઓ પર ખૂબ અત્યાચાર થયા તેની કડવાશ દાયકાઓ સુધી રહી હતી.


