Pakistan bangladesh and India News : છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધોમાં જે ઉષ્મા જોવા મળી રહી છે, તે હવે એક નવા સ્તરે પહોંચી છે. 1971ના યુદ્ધ બાદ કદાચ પ્રથમ વખત, પાકિસ્તાની નૌસેનાનું એક યુદ્ધ જહાજ બાંગ્લાદેશના ચટગાંવ બંદર પર પહોંચ્યું છે. આ ઘટનાને ભારત માટે એક રણનીતિક સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
ચાર દિવસ બાંગ્લાદેશમાં રોકાશે આ યુદ્ધજહાજ!
બાંગ્લાદેશી નૌસેનાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, પાકિસ્તાની નૌસેનાનું યુદ્ધ જહાજ 'પીએનએસ સૈફ' (PNS SAIF) ચાર દિવસની સદ્ભાવના યાત્રા પર ચટગાંવ બંદર પર આવ્યું છે. બાંગ્લાદેશી નૌસેનાએ પાકિસ્તાની યુદ્ધ જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
પાકિસ્તાની અધિકારી પહોંચ્યા બાંગ્લાદેશ
કેપ્ટન શુજાત અબ્બાસ રાજાની આગેવાની હેઠળ પાકિસ્તાની નૌસેનાનું ઝુલ્ફીકાર શ્રેણીનું ફ્રિગેટ 'પીએનએસ સૈફ' (FFG-253) એવા સમયે બાંગ્લાદેશ પહોંચ્યું છે, જ્યારે પાકિસ્તાનના નૌસેના પ્રમુખ એડમિરલ નવીન અશરફ પોતે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના હેતુથી બાંગ્લાદેશના સત્તાવાર પ્રવાસે છે.
ભારતની ઘેરાબંધી કરવાનું ષડયંત્ર?
સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાની યુદ્ધ જહાજની આ પ્રથમ બાંગ્લાદેશ યાત્રા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સામે વારંવાર પરાજયનો સામનો કર્યા બાદ પાકિસ્તાન હવે બાંગ્લાદેશ સાથેના સંબંધો મજબૂત કરીને ભારતની ઘેરાબંધી કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. આ પહેલા, ગત મહિને જ પાકિસ્તાની સેનાના બીજા સૌથી વરિષ્ઠ સૈન્ય કમાન્ડર જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ પણ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ અને સેના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓની સતત મુલાકાતો અને હવે યુદ્ધ જહાજની આ યાત્રા બંને દેશો વચ્ચે વધતી નિકટતાનો સ્પષ્ટ સંકેત આપી રહી છે.


