World

હિન્દુઓને ધમકી આપનાર ખાલિસ્તાની આંતકી પન્નુ સામે કાર્યવાહી કરવા કેનેડા હિન્દુ ફોરમની માંગ

By GS Team
27 Sep 20231 min read
This article was originally published on 27 Sep 2023
હિન્દુઓને ધમકી આપનાર ખાલિસ્તાની આંતકી પન્નુ સામે કાર્યવાહી કરવા કેનેડા હિન્દુ ફોરમની માંગ

image : Twitter

ઓટાવા,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

ખાલિસ્તાનીઓને છાવરવા માટે કુખ્યાત બનેલા કેનેડામાં કેનેડાની હિન્દુ ફોરમે હવે કેનેડાની સરકાર સમક્ષ ખાલિસ્તાની આંતકી ગુરુપતવંતસિંહ પન્નુ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

આ એ જ પન્નુ છે જેણે કેનેડામાં રહેતા હિન્દુઓને કેનેડા છોડી દેવા માટે અથવા પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી. જોકે પીએમ ટ્રુડોની સરકાર હજી સુધી પન્નુ સામે હેટ સ્પીચ આપવા બદલ કોઈ કાર્યવાહી કરી શકી નથી. 

બીજી તરફ હિન્દુ ફોરમે કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર સમક્ષ રજૂઆત કરતા કહ્યુ હતુ કે, પન્નુના નફરત ફેલાવતા ભાષણને કેનેડામાં બેન કરવામાં આવે અને તેની દેશમાં એન્ટ્રી રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. 

હિન્દુ ફોરમે લખેલા પત્રમાં કહ્યુ છે કે, પન્નુ હાલમાં અમેરિકા સ્થિત સંગઠન સિખ ફોર જસ્ટિસ માટે કામ કરી રહ્યો છે. આ સંગઠન ખાલિસ્તાનની સ્થાપનાની વકીલાત કરે છે. પન્નુએ નિજ્જરની હત્યા બાદ હિન્દુઓેને ધમકી આપી છે. ખાસ કરીને તેના કારણે હિન્દુ સમુદાય ભારે ચિંતામાં છે. 

પન્નુએ ખાલિસ્તાન માટે કહેવાતા જનમત સંગ્રહ દરમિયાન હિન્દુઓ વિરુધ્ધ નફરત ફેલાવતુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, તમારો રસ્તો ભારત તરફ જાય છે અને કેનેડા છોડીને ભારત જતા રહો.