અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનું સર્જિકલ સ્ટ્રાઈકને લઇ મોટું નિવેદન, પરમાણુ યુદ્ધ મુદ્દે કરી વાત
પુલવામાં હમલા પછી પરમાણુ હમલા નજીક હતુ ભારત પાકિસ્તાન: માઈક પોમ્પિયો
Updated: Jan 25th, 2023
Image: PMO |
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ દાવો કર્યો છે કે, તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમને કહ્યું હતું કે ફેબ્રુઆરી 2019માં બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતુ. આ વાત સાંભળીને તે ચોંકી ગયા હતા. પોમ્પિયોના જણાવ્યા અનુસાર, સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે તેને ધ્યાને લઇ ભારતે પણ આક્રમક જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.
ગઈકાલે તેમનું એક પુસ્તક લૉન્ચ થયું 'નેવર ગીવ એન ઇંચ: ફાઇટિંગ ફોર ધ અમેરિકા આઇ લવ' જેમાં પોમ્પિયોએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે થઇ જયારે તેઓ 27-28 ફેબ્રુઆરી યુએસ-ઉત્તર કોરિયા સમિટની મુલાકાતે હતા. એ સમયે ભારત-પાકિસ્તાનનો આ સંકટ એક મોટુ સ્વરૂપ લઇ રહ્યો હતો, જે વિવાદને ટાળવા તેમની ટીમ આગળ આવી હતી. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું, મને નથી લાગતું કે દુનિયા જાણે છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફેબ્રુઆરી 2019માં પરમાણુ હુમલા સુધી પહોંચી ગયો હતો.
પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીએ પુસ્તકમાં લખ્યું છે કે, તેઓ માને છે કે ભારત તે સમયે પરમાણુ હથિયારો તૈનાત કરવા એકદમ સજ્જ હતું. આ વાતને શાંત કરવા અમને થોડા કલાકો લાગ્યા અને નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં અમારી ટીમો આ કામ કરવા સફળ રહી હતી. જોકે, હજુ આ નિવેદન પર વિદેશ મંત્રાલય કે સરકાર દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પુલવામા આતંકી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ ફેબ્રુઆરી 2019 માં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પ પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધો હતો.