ચીનમાં મોત બાદ પણ સંકટ ! કબ્રસ્તાન ખૂટ્યા, લોકો સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ મૂકવા મજબૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China’s Cemetery Crisis : ચીનમાં તાજેતરમાં એક અનોખી અને ગંભીર મુસીબત ઉભી થઈ છે. અહીં અનેક મોટા શહેરોમાં મૃતદેહોને દફનાવવા માટે કબ્રસ્તાનની ભારે અછત સર્જાઈ છે. આ કારણે હવે અનેક પરિવારજનો મૃતદેહને દફનાવવામાં અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બીજીતરફ દફનાવાવનો ખર્ચ પણ વધી જતા પરેશાની વધી ગઈ છે.
સસ્તા ફ્લેટ ખરીદી અસ્થિઓ મૂકવા મજબૂર
રિપોર્ટ મુજબ, કબ્રસ્તાનમાં જગ્યા ન હોવાથી અને દફનાવાવનો ખર્ચ વધી ગયો હોવાના કારણે હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે, પરિવારજનો પોતાના પ્રિયજનને અંતિમ વિદાય આપવા માટે રહેણાંક વિસ્તારમાં નાના અને સસ્તા ફ્લેટ ખરીદીને તેમાં અસ્થિઓ મૂકવા મજબૂર થયા છે.
રહેણાંક ફ્લેટ કરતા કબ્રસ્તાનમાં જગ્યા મોંઘી
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલો મુજબ, સૌથી વધુ શાંઘાઈ શહેરમાં કબ્રસ્તાનમાં જગ્યાનો અભાવ જોવા મળ્યો છે. અહીં 2025ના મધ્ય સુધી માત્ર 54 કોમર્શિયલ કબ્રસ્તાન હતા અને તેમાંથી અનેક કબ્રસ્તાન ભરાઈ ગયા છે. સ્થાનિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, 2023માં શાંઘાઈના સોંગહે કબ્રસ્તાનમાં પ્રતિ વર્ગ મીટર એક પ્લોટની કિંમત લગભગ 7.6 લાખ યુઆન (લગભગ એક કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે, જ્યારે શહેરમાં પ્રતિ વર્ગ મીટર રહેણાંક ઘરની કિંમત સરેરાશ 55 હજાર યુઆન છે. એટલે કે, રહેણાંક ઘરની તુલનાએ કબ્રસ્તાનના પ્લોટની કિંમત અનેક ઘણી વધારો છે.
કબ્રસ્તાન કરતા ફ્લેટથી અનેક ફાયદો
રહેણાંક મકાન કરતા કબ્રસ્તાનમાં પ્લોટની કિંમત અનેક વધુ હોવાથી લોકોને અસ્થિઓ મૂકવા માટે રહેણાંક પ્રોપર્ટી યોગ્ય વિકલ્પ લાગી રહ્યો છે. બીજીતરફ કબ્રસ્તાનનો પ્લોટ માત્ર 20 વર્ષ સુધી અપાય છે, જ્યારે રહેણાંક પ્રોપર્ટી 70 વર્ષ સુધી રાખી શકાય છે. આ લાંબો સમયગાળો, ગમે ત્યારે ત્યાં આવવા-જવાની સુવિધા અને પ્રોપર્ટી વેચવાના વિકલ્પના કારણે લોકો ફ્લેટમાં અસ્થિ મૂકવાની રીત તરફ વળ્યા છે.
ફ્લેટમાં અસ્થિ મૂકવા પર પ્રતિબંધ
જોકે આ તમામ ઘટનાક્રમ સામે આવ્યા બાદ ચીન સરકાર એક્શનમાં આવી ગઈ છે અને અધિકારીઓએ રહેણાંક ફ્લેટમાં અસ્થિ મૂકવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજીતરફ કબ્રસ્તાનમાં જગ્યાની અછતના કારણે અંતિમ સંસ્કારના નિયમોમાં 30 માર્ચથી ફેરફાર કરાયા છે. નવા નિયમમાં સ્પષ્ટ કહેવાયું છે કે, રહેણાંક પ્રોપર્ટીમાં માનવીય અસ્થિઓ રાખવા પર પ્રતિબંધ છે. જોકે સરકારે વ્યવસ્થા જાળવવા અને લોકોની સમસ્યા ઓછી કરવા માટે આ નિર્ણય લીધો છે.








