For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એન્ટાર્કટિકામાં બરફ પીગળવાથી ૨૦૫૦ના અંત સુધીમાં ત્રણથી છ લાખ જેટલી ઉલ્કાઓ અદ્રશ્ય થઇ જશે !

Updated: Apr 12th, 2024

એન્ટાર્કટિકામાં બરફ પીગળવાથી ૨૦૫૦ના અંત સુધીમાં ત્રણથી છ લાખ જેટલી ઉલ્કાઓ અદ્રશ્ય થઇ જશે !

- ક્લાયમેટ ચેન્જ અંગે ઝુરીચ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓના ગહન સંશોધનની ગંભીર ચેતવણી

- પૃથ્વી પરના સૌથી ઠંડાગાર સ્થળ એન્ટાર્કટિકામાં ગરમી વધવાથી બરફની સખત સપાટી પીગળી રહી છેઃ પરિણામે સપાટી પર સચવાયેલી ઉલ્કાઓ બરફ નીચે સરકી જશે 

- સૂર્યમાળા, પૃથ્વી, ચંદ્ર વગેરેની રચનાનાં રહસ્ય-આશ્ચર્ય જાણવાની સંશોધન પ્રક્રિયા નહીં થઇ શકે 

ઝુરીચ/મુંબઇ: પૃથ્વી પરના સૌથી ઠંડાગાર અને બરફીલાએન્ટાર્કટિકા ખંડમાં ક્લાઇમેટ ચેન્જ (આબોેહવામાં  થઇ રહેલા અકળ ફેરફાર)ની અતિ ગંભીર અસર થઇ રહી છે. ઝુરીચ યુનિવર્સિટી (સ્વિત્ઝર્લેન્ડ)ના અને બેલ્જિયમના  વિજ્ઞાાનીઓએ તેમના સઘન સંશોધન અને અભ્યાસના આધારે એવી  ગંભીર ચેતવણી  આપી છે કે હવામાન અને આબોહવામાં થઇ રહેલા અકળ અને ચિંતાજનક પરિવર્તનને કારણે  ૨૦૫૦ના અંત સુધીમાં  એન્ટાર્કટિકામાંથી લગભગ ૩,૦૦,૦૦૦ થી ૬૦૦,૦૦૦ જેટલી ઉલ્કાઓ અદ્રશ્ય થઇ જશે. 

એટલે કે હાલ એન્ટાર્કટિકાની ધરતી પર જેટલી પણ ઉલ્કાઓ છે તે ત્યાંની સખત ધરતી પર છે. હવે ગરમી વધવાથી એન્ટાર્કટિકાનો બરફ પીગળશે એટલે જમીન ભીની અને પોચી થશે.પરિણામે સખત-કડક જમીન પરથી ઉલ્કાઓ તેની નીચે સરકી જશે. સદાય માટે અદ્રશ્ય થઇ જશે. 

આ સંશોધનપત્ર જર્નલ નેચર ક્લાઇમેટ ચેન્જમાં પ્રસિદ્ધ  થયું છે.

 ઇટીએચ ઝુરીચ પબ્લિક  રિસર્ચ યુનિવર્સિટીની  ગ્લેસિયોલોજી, હાઇડ્રોલોજી, હાયડ્રોલીક્સ લેબોરેટરીના સિનિયર વિજ્ઞાાની પ્રોફેસર ડેનિયલ ફેરીનોટ્ટીના માર્ગદર્શનમાં થયેલા સંશોધનાત્મક અભ્યાંસની વિગતો દ્વારા જાણવા મળે છે  કે એન્ટાર્કટિકા અફાટ અંતરિક્ષમાંથી પૃથ્વી પર પડતી ઉલ્કાઓનો ભંડાર છે. એટલે કે અત્યારસુધીમાં પૃથ્વી પર જેટલી ઉલ્કાઓ પડી છે  તેમાંની ૬૦ ટકા જેટલી ઉલ્કાઓ તો એન્ટાર્કટિકાની બરફીલી ચાદર પરથી  જ મળી   છે. સમગ્ર વિશ્વના ખગોળ-ભૌતિક શાસ્ત્રીઓ ઉલ્કાઓના સંશોધન અને અભ્યાસ માટે એન્ટાર્કટિકા જાય છે. 

સંશોધનપત્રમાં એવો મહત્વનો ઉલ્લેખ થયો છે કે ઉલ્કાઓમાં ખરેખર તો આપણા સૂર્યમંડળનાં અકળ રહસ્યોનો જવાબ છૂપાયેલો છે. ઉલ્કાઓમાં જ  મિનરલ્સ સહિત અન્ય  પદાર્થ હોય છે તેના સંશોધન દ્વારા  આપણી પૃથ્વી અને  ચંદ્રનો  જન્મ સહિત સૂર્ય મંડળની રચના વગેરે બાબતોનું સંશોધન થઇ શકે છે. એટલે કે  આજથી ૪.૫ અબજ વર્ષ પહેલાં સૂર્યમાંથી આપણી પૃથ્વીનો જન્મ થયો  અને ત્યારબાદ પૃથ્વીમાંથી ચંદ્રનો જન્મ થયો તે સમગ્ર કુદરતી પ્રક્રિયાનાં રહસ્યોનો તાગ જાણવા મળે.ઉપરાંત, પૃથ્વી પર જીવ સૃષ્ટિનો પ્રારંભ ખરેખર કઇ રીતે અને કેવા સંજોગોમાં થયો તેના રહસ્યની કડીઓ પણ મળી શકે.  સાથોસાથ ઉલ્કાઓના સંશોધન દ્વારા બ્રહ્માંડનાં રહસ્યો અને આશ્ચર્યો પણ જાણવા મળે છે. 

બીજીબાજુ  પૃથ્વીના  વિરાટ ગોળા પર થઇ રહેલા હવામાન અને આબોહવાના ફેરફારની ઘેરી અસર એન્ટાર્કટિકામાંપણ થઇ રહી  છે. એન્ટાર્કટિકામા ંગરમીની અસર થઇ રહી છે. વધી રહેલા તાપમાનને કારણે  એન્ટાર્કટિકાની વિરાટકાય હિમશીલાઓ ઓગળી રહી છે.ખાસ કરીને ગ્લોબલ એર ટેમ્પરેચર(સમગ્ર વિશ્વમાં હવાના તાપમાનમાં થતો વધારો)માં જેટલી ડિગ્રીનો વધારો થાય છે તેના દસમા હિસ્સાની ડિગ્રીની અસરથી એન્ટાર્કટિકાની બરફની વિશાળ ચાદર પરથી લગભગ ૯,૦૦૦ ઉલ્કાઓ અદ્રશ્ય થઇ રહી છે.  

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ જીઓમેગ્નેટિઝમ(આઇ.આઇ.જી.-નવી મુંબઇ)ના  સિનિયર વિજ્ઞાાની અને સંશોધનકાર્ય માટે  એન્ટાર્કટિકામાં ભારતના મૈત્રી મથકમાં ૧૨ વખત જઇ આવેલા અજય ધરે તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે  ગુજરાત સમાચારને એવી માહિતી  આપી હતી કે પૃથ્વીના વિદ્યુતચુંબકીય ક્ષેત્ર (મેગ્નેટિક ફિલ્ડ)ની અસરથી અફાટ અંતરિક્ષમાંથી આવતી ઉલ્કાઓ એન્ટાર્કટિકા ખંડમાં વધુ પડે છે.વળી, એન્ટાર્કટિકાની જમીન સખત-કડક છે અને તેના પર બરફની લાંબી-વિશાળ ચાદર છે. 

 બરફ પીગળવાથી એન્ટાર્કટિકાની જમીન ભીની-પોચી થઇ રહી છે. આ પ્રક્રિયાથી બરફની સખત સપાટી પરની ઉલ્કાઓ સરકીને બરફ નીચે જઇ રહી છે.ઉપરાંત, બરફનું પાણી થવાથી ઉલ્કાઓ વહી જઇને  એન્ટાર્કટિકામાંના ખડકોમાં અને પથ્થરોમાં પણ અટવાઇ જઇ શકે.

પરિણામે તેને શોધવી મુશ્કેલ બનશે.હવે  ક્લાઇમેટ ચેન્જને કારણે એન્ટાર્કટિકામાં  જે ઝડપે બરફ પીગળી રહ્યો છે તે દ્રષ્ટિએ તો૨૦૫૦ના અંત સુધીમાં તો ત્યાં સચવાઇ રહેલી ૩,૦૦,૦૦૦ થી ૬૦૦,૦૦૦ જેટલી ઉલ્કાઓ બરફની સપાટી નીચે અદ્રશ્ય  થઇ જશે. 

Gujarat