Get The App

જતાં જતાં પણ યુનુસે ઝેર ઓક્યું! રાજીનામું આપ્યા બાદ 'સેવેન સિસ્ટર્સ' અંગે સૂચક નિવેદન

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
Muhammad Yunus Farewell Speech
(IMAGE - IANS)

Muhammad Yunus Farewell Speech: બાંગ્લાદેશમાં 17 ફેબ્રુઆરીએ નવી સરકારની રચના પૂર્વે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વિદાય ભાષણ આપ્યું હતું. 18 મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરી તારિક રહેમાનને સત્તા સોંપતા પહેલાં તેમણે વિદેશ નીતિની સિદ્ધિઓ વર્ણવી હતી. જોકે, તેમણે ચાલાકીપૂર્વક ભારતનું નામ લેવાનું ટાળ્યું હતું, પરંતુ પૂર્વોત્તર રાજ્યો એટલે કે 'સેવન સિસ્ટર્સ'નો ઉલ્લેખ કરી પોતાની વ્યૂહાત્મક મનસા સ્પષ્ટ કરી દીધી હતી.

વિવાદાસ્પદ ઉલ્લેખ: ફરી ભારતની 'સેવન સિસ્ટર્સ'નો મુદ્દો છેડાયો

યુનુસે તેમના અંતિમ સંબોધનમાં ફરી ભારતની 'સેવન સિસ્ટર્સ'નો ઉલ્લેખ કરી ઉશ્કેરણીજનક વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'બાંગ્લાદેશનો સમુદ્ર વિશ્વ અર્થતંત્રનું દ્વાર છે અને નેપાળ, ભૂતાન તથા સેવન સિસ્ટર્સ સાથે આ ક્ષેત્રમાં આર્થિક વિકાસની મોટી તકો છે. અમે અમારા બંદરોની ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા માટે દુનિયાની શ્રેષ્ઠ પોર્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે કરાર કરવામાં પ્રગતિ કરી છે. જો આપણે આ ક્ષમતા વધારવામાં સફળ નહીં થઈએ, તો આર્થિક રીતે પાછળ રહી શકીએ છીએ.'

સેવન સિસ્ટર્સનો ખાસ ઉલ્લેખ

મુખ્ય પ્રશ્ન એ છે કે યુનુસે પોતાના વિદાય પ્રવચનમાં ભારતનું નામ લેવાનું ટાળ્યું હોવા છતાં પૂર્વોત્તર રાજ્યોનો ઉલ્લેખ શા માટે કર્યો? શું આ પાડોશી દેશ પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલવાની તેમની કોઈ પૂર્વ-આયોજિત વ્યૂહરચના છે? નેપાળ અને ભૂતાન અંગે તો તેમણે સ્પષ્ટ વાત કરી, પરંતુ ભારતનું નામ ક્યાંય લીધું નહીં; તેમ છતાં 'સેવન સિસ્ટર્સ'ની બાબત તેમના સંબોધનમાં મુખ્ય સ્થાને રહી હતી.

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ફરી કડવાશ આવવાની આશંકા

વિદાય ભાષણ દરમિયાન યુનુસે રાષ્ટ્રીય સ્વાભિમાન અને સંપ્રભુતા પર ભાર મૂકતા જણાવ્યું કે, બાંગ્લાદેશ હવે કોઈ પણ દબાણ કે સલાહને વશ થયા વિના સ્વતંત્ર વિદેશ નીતિને અનુસરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યના સંબંધો માત્ર પરસ્પર આદર અને રાષ્ટ્રહિતના પાયા પર જ ટકેલા હશે, જે નામ લીધા વિના એક ચોક્કસ સંકેત તરફ ઈશારો કરે છે. આ સાથે જ, પૂર્વોત્તર ભારત અંગેની પોતાની જૂની અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ દોહરાવીને યુનુસે ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં અગાઉ આવેલી કડવાશને ફરી એકવાર જીવંત કરી દીધી છે.

આ પણ વાંચો: USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

ભૂ-રાજકીય નિષ્ણાતો પૂર્વોત્તર ભારતને અલગ ક્ષેત્ર તરીકે રજૂ કરવાના યુનુસના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે તેમણે તેને ભારતનો અભિન્ન અંગ ગણાવ્યું નથી. આ ટિપ્પણીથી સંબંધોમાં સુધારો થવાને બદલે ખાઈ વધુ ઊંડી થવાની આશંકા છે. છેલ્લી ઘડીએ આ વિવાદ તાજો કરીને યુનુસે સુધરતા સંબંધોમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે.

જતાં જતાં પણ યુનુસે ઝેર ઓક્યું! રાજીનામું આપ્યા બાદ 'સેવેન સિસ્ટર્સ' અંગે સૂચક નિવેદન 2 - image