શેખ હસીનાને બાંગ્લાદેશમાં ફાંસીની સજા? 'માનવતા વિરુદ્ધ ગુનો' આચર્યો હોવાનો આરોપ
Bangladesh Former PM Sheikh Hasina Faces The Death Penalty : ભારતમાં આશરો લઈ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ તેમના દેશમાં ફાંસીની સજા જેવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશનું આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગંભીર આરોપ દાખલ કર્યા છે. બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો મુજબ ગત વર્ષે દેશભરમાં થયેલા બળવા દરમિયાન હસીનાએ નરસંહાર કરવાનો આદેશ આપ્યો હોવાને આક્ષેપ કરાયો છે. મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઈસ્લામ અને તેમની ટીમે હસીના વિરુદ્ધ આ આરોપો રજૂ કર્યા છે.
શેખ હસીનાના ઈશારા પર હિંસાની કાર્યવાહી કરાઈ
ધ ઢાકા ટ્રિબ્યૂનલના રિપોર્ટ મુજબ ફરિયાદીઓ હસીનાને તે હિંસક કાર્યવાહી બદલ જવાબદાર ઠેરવ્યા છે, જેમાં અનેક સામાન્ય નાગરિકોના મોત થયા હતા. આ કેસમાં હસીનાના બે પૂર્વ સહયોગી પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ વડા ચૌધરી મમૂને પણ સહ-આરોપી દર્શાવાયા છે. ફરિયાદ ઈસ્લામે કહ્યું કે, ‘પુરાવાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આ કાર્યવાહી શેખ હસીનાના ઈશારા પર કરવામાં આવી હતી. આ એક મોટો હુમલો હતો અને તેનું નેતૃત્વ શેખ હસીના દ્વારા કરવામાં આવ્યું હતું.
જુલાઈ-ઓગસ્ટમાં દેખાવો વખતે થયેલી હસ્તા બદલ શેખ હસીના જવાબદાર
અગાઉ 12 મેએ બાંગ્લાદેશ હિંસાનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન હત્યાઓના જવાબદાર શેખ હસીનાને ઠેરવવામાં આવ્યા હતા. તેમાં એમ પણ કહેવાયું છે કે, શેખ હસીનાએ સુરક્ષા દળોને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
શેખ હસીનાએ પાંચ ઓગસ્ટ-2024માં દેશ છોડવો પડ્યો
બાંગ્લાદેશમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ભારે હિંસાઓ થઈ હતી. ટોળું છેક શેખ હસીનાના નિવાસસ્થાન સુધી પહોંચી ગયું હતું. મામલો એટલો ગંભીર થઈ ગયો હતો કે, શેખ હસીનાએ પાંચમી ઓગસ્ટે દેશ છોડીને ભારતમાં આશરો લેવો પડ્યો હતો, જે હજુ પણ ભારતમાં જ છે.
'માનવતા વિરુદ્ધ ગુનાઓ' કાયદો શું છે?
'માનવતા વિરુદ્ધ ગુનાઓ' એ ફાંસીની સજા જેવા કાયદામાં ઉલ્લેખીત છે. બાંગ્લાદેશમાં 'Crimes Against Humanity' એટલે કે માનવતા વિરુદ્ધનો ગુનો આંતરરાષ્ટ્રીય ગુનાઓ (ટ્રિબ્યુનલ્સ) અધિનિયમ, 1973 (International Crimes (Tribunals) Act, 1973) હેઠળ આવે છે. આ કાયદો 1971માં બાંગ્લાદેશમાં થયેલા મુક્તિ સંગ્રામમાં થયેલા ગુનાઓ, જેવા કે નરસંહાર, યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે બનાવાયો હતો. ત્યારબાદ આ કાયદો લાગુ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT)ની સ્થાપના કરવામાં આવી હતી. આઈસીટી આવા ગુનાઓની તપાસ તેમજ કેસ ચલાવે છે. બાંગ્લાદેશમાં આ કાયદા હેઠળ ગુનેગાર સાબિત થયેલાઓને સજા-એ-મોતની જોગવાઈ છે. મોટાભાગના કેસોમાં દોષિત ઠેરવાયેલા વ્યક્તિઓને મોતની સજા આપવામાં આવી શકે છે, જેને સામાન્ય રીતે ફાંસી દ્વારા લાગુ કરવામાં આવે છે. આ ઉપરાંત આજીવન જેલની સજા પણ ફટકારવામાં આવે છે. જોકે આ ગુનો ગંભીરતા અને પરિસ્થિતિઓ પર નિર્ભર છે.
આ પણ વાંચો : ભારત અને ચીન સાથે ગ્રૂપ બનાવવા રશિયાનો ફરી પ્રયાસ, અમેરિકા ધુંઆપુંઆ