| (Image: West Asia News Agency) |
Iran school attack 2026: ઈરાનના દક્ષિણી શહેર મિનાબમાં 28 ફેબ્રુઆરી, 2026ના રોજ બનેલી એક ઘટનાએ સમગ્ર માનવજાતને હચમચાવી દીધી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા દરમિયાન, એક પ્રાથમિક કન્યા શાળા પર મિસાઇલ પડતા 160થી વધુ માસૂમ વિદ્યાર્થીનીઓના કરુણ મોત નીપજ્યા છે.
ક્લાસરૂમમાં મિસાઇલ પડતા માસૂમ જીવ હોમાયા
આ હુમલો ત્યારે થયો જ્યારે શાળામાં સાતથી બાર વર્ષની બાળકીઓ અભ્યાસ કરી રહી હતી. શજારેહ તૈય્યબહ ગર્લ્સ સ્કૂલ પર થયેલો આ હુમલો 2026ના ઈરાન યુદ્ધની સૌથી ઘાતક અને કાળજું કંપાવનારી ઘટના બની ગઈ છે. જોકે, આ કરૂણ હોનારત બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે, શું અમેરિકાએ આ હુમલો જાણીજોઈને કર્યો હતો કે પછી યુદ્ધમાં વપરાતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ટેક્નોલોજીએ કોઈ મોટી ભૂલ કરી છે?
હવે મશીનો અને ડેટા નક્કી કરે છે યુદ્ધના ટાર્ગેટ
આધુનિક યુદ્ધમાં હવે ટાર્ગેટ નક્કી કરવાનું કામ માત્ર માણસો જ નથી કરતા, પરંતુ 'એલ્ગોરિધમ વોરફેર' હેઠળ AI સિસ્ટમ્સ સેટેલાઇટ તસવીરો અને ડેટા એનાલિસિસના આધારે હુમલાના સ્થળ નક્કી કરે છે. અમેરિકાએ 'એન્થ્રોપિક' અને 'ઓપન AI' જેવી કંપનીઓ સાથે સૈન્ય કરાર કર્યા છે જેથી યુદ્ધમાં મોટા પાયે AIનો ઉપયોગ કરી શકાય.
જ્યાં સૈન્ય બેઝ હતો ત્યાં હવે બની ગઈ હતી શાળા
તપાસમાં સામે આવ્યું છે કે જે જગ્યાએ શાળા હતી, ત્યાં પહેલા ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ(IRGC)નો બેઝ હતો. એવું માનવામાં આવે છે કે AI સિસ્ટમે જૂના ડેટાના આધારે અથવા શાળાની બાજુમાં આવેલા સૈન્ય પરિસરને નિશાન બનાવતી વખતે આ ગંભીર ભૂલ કરી હોઈ શકે છે. જો AI સિસ્ટમને અપડેટેડ માહિતી ન મળી હોય કે ત્યાં હવે શાળા બની ગઈ છે, તો તે આવી વિનાશક ભૂલ કરી શકે છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ લડતા રહ્યા અને રશિયાએ કર્યો 'ખેલ'! ઈરાનને આપી 'સિક્રેટ' માહિતી
AI પરની અતિશય નિર્ભરતા બની શકે છે જીવલેણ
અમેરિકન સૈન્ય અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને દાવો કર્યો છે કે તેઓ ક્યારેય જાણીજોઈને નાગરિકો કે શાળાઓને નિશાન બનાવતા નથી. જોકે, આ ઘટનાએ યુદ્ધમાં મશીનો અને એલ્ગોરિધમ પરની નિર્ભરતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો જીવન અને મરણના નિર્ણયો સંપૂર્ણપણે AIના હાથમાં છોડી દેવામાં આવશે, તો માનવીય નિયંત્રણ નબળું પડશે અને મિનાબ જેવી અન્ય દુર્ઘટનાઓ પણ સર્જાઈ શકે છે. હાલમાં આ હુમલો મશીનની ભૂલ હતી કે ઈરાદાપૂર્વકની કાર્યવાહી, તે તપાસનો વિષય છે, પરંતુ 160થી વધુ પરિવારોએ પોતાની વહાલી દીકરીઓ ગુમાવી છે તે કડવું સત્ય છે.


