Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટ્રમ્પે વ્યક્ત કર્યું દુ:ખ, શરીફે કહ્યું- પીડિતો પ્રત્યે સંવેદના

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટ્રમ્પે વ્યક્ત કર્યું દુ:ખ, શરીફે કહ્યું- પીડિતો પ્રત્યે સંવેદના 1 - image


Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદ-લંડન એર ઇન્ડિયાના બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત 241 વધુ મુસાફરોના મોત થયા છે, જ્યારે માત્ર એક મુસાફર સુરક્ષિત બચી ગયો છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને દેશભરમાં શોક છવાયો છે. જ્યારે ઘટનાને લઈને દુનિયાભરના નેતાઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ભીષણ વિમાન દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું.  આ સાથે ટ્રમ્પે કહ્યું કે, 'આ એક ભયાનક દુર્ઘટના છે. અમારી સંવેદના ભારત સાથે છે. અમે જે કાંઈ પણ થઈ શકે એ માટે ભારતની દરેક મદદ કરવા તૈયાર છીએ.' બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને તેમના ભાઈ નવાઝ શરીફે પણ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યો હતો. 

મદદ માટે ભારત આવશે અમેરિકી તપાસ એજન્સી

અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટનાથી દેશ અને દુનિયાભરમાં શોક જોવા મળી રહ્યો છે, ત્યારે પ્લેન દુર્ઘટનાને લઈને ટ્રમ્પ પ્રશાસનને પહેલાથી અમેરિકાની રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ (NTSB)ને તપાસમાં સહયોગ કરવા માટે ભારત મોકલવાની પરવાનગી આપી દીધી છે. આ સિવાય અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ આ દુઃખ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો અને ભારતને દરેક સહાયતા કરવાની વાત કરી હતી. 

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે 'આજે અમદાવાદ નજીક એર એન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી દુખી છું. આ ભયંકર નુકસાનથી પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.'

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ, NTSBની ટીમ આવશે ભારત

નવાજ શરીફે સોશિયલ મીડિયામાં લખ્યું કે, 'અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના જાનહાનિ પર મારી સંવેદના. આ હૃદયદ્રાવક દુર્ઘટના સરહદોથી પણ આગળ છે અને આપણને આપણી માનવતાની યાદ અપાવે છે. મારી ઊંડી સંવેદનાઓ વડાપ્રધાન મોદી અને ભારતના લોકો પ્રત્યે છે.'

આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ LIVE: 200થી વધુના મોતની આશંકા, એકનો ચમત્કારિક બચાવ; અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી

ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જેમાં 242 લોકો સવાર હતા. જેમાં બે પાયલટ અને 10 કેબિન ક્રૂ સદસ્યો સામેલ છે. વિમાન મેઘાણીનગર નજીક એક હોસ્ટેલમાં ક્રેશ થયું તે બિલ્ડિંગમાં પણ મોટા પાયે જાનહાનિના અહેવાલ છે. પ્લેન ટેકઓફ થયાની બે જ મિનિટમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ફ્લાઇટ AI171માં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. આ પ્લેન ક્રેશ થયું કેવી રીતે, સમજો ગ્રાફિક એનિમેશનથી.

Tags :