Get The App

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 1 - image


Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 200થી વધુના મોત થયાની જાણકારી પ્રાપ્ત થઈ છે. 

અમદાવાદ પ્લેન ક્રેશની તમામ મોટી અપડેટ્સ 

265 મોતની પુષ્ટિ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક તરફ DNA સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ મૃતદેહો એકત્રિત કરવામાં આવી રહ્યા છે.  એવામાં અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઇએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે, કે 'અત્યાર સુધીમાં 265 મૃતદેહો હોસ્પિટલ લવાયા છે.' 

PM મોદી શુક્રવારે અમદાવાદ આવે તેવી શક્યતા

આજે કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ હવે શુક્રવારે (13 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર તેઓ સવારે 8 વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે. 

ગરમી અને સવા લાખ લિટર ઈંધણના કારણે બચવાનો મોકો ન મળ્યો: ગૃહમંત્રી શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળ તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત બાત જણાવ્યું છે, કે 'ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. વિમાનમાં કુલ દેશ-વિદેશના 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી એક મુસાફર જીવિત બચ્યા હોવાના સમાચાર મળ્યા. મૃત્યુના આંકડા DNA પરીક્ષણ બાદ સત્તાવાર રીતે જાહેર કરાશે. દુર્ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના તમામ વિભાગોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ ગરમી અને વિમાનમાં સવા લાખ લીટર ઈંધણ હોવાથી બચવાનો મોકો ન મળ્યો. DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થશે.' 

200થી વધુ મૃતદેહો મળ્યા

ગુરુવારે સાંજ સુધીમાં 204 જેટલા મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ પણ ઘટનાસ્થળ પર કાર્યવાહી ચાલી રહી છે. 

ટાટા ગ્રુપે મૃતકોના પરિજનો માટે એક એક કરોડની સહાય જાહેર કરી 

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે એક એક કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે તથા B J મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે. 

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 2 - image

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઘટનાસ્થળે પહોંચી વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. દુર્ઘટનાસ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. 

પોલીસને એક મુસાફર જીવિત મળ્યો: અમદાવાદ પોલીસ કમિશનર

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.' પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.

જો કે, આ સિવાય મોટા ભાગના મુસાફરો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. રહેણાક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાતાં અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી ચોક્કસ મૃત્યુઆંક જાહેર કરાયો નથી. બીજી તરફ, કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડાયા છે. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી બચવાની સંભાવના નહીવત છે. 

બ્રિટનના રાજાએ શોક વ્યક્ત કર્યો

બ્રિટિશ રાજા ચાર્લ્સ IIIએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અને તેમના પત્નિ રાણી કેમિલાએ આજે બપોરે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે, "આ ભયાવહ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ દુખઃદ કપરાં સમયમાં બચાવ કામગીરી અને મદદ પૂરી પાડી રહેલા લોકોના પ્રયાસોને બિરદાવુ છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પુ છું.

એર ઈન્ડિયાના સીઈઓ અમદાવાદ આવવા રવાના

એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન દિલ્હીથી પેરિસ જઈ રહેલી ફ્લાઈટમાં સવાર હતાં. જે અમદાવાદ વિમાન દુર્ઘટનાની માહિતી મળતાં જ પરત આવી રહ્યા છે. તેઓ અમદાવાદ આવવા રવાના થયા છે. એર ઈનડિયાએ આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના પરિવારજનોની સહાયતા માટે ખાસ હેલ્પલાઈન નંબર 18005691444 જાહેર કર્યો છે. વિદેશી નાગરિકો માટે અલગથી હેલ્પલાઈન નંબર +91 8062779200 જાહેર કર્યો છે. જેના પરથી પીડિત મુસાફરોની માહિતી મેળવી શકાશે.

50 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ પોલીસે 25 ઈજાગ્રસ્તોની યાદી જાહેર કરી છે. ગુજરાત આરોગ્ય અને જન કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્ટિલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયુ હતું.  અત્યારસુધી 50 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર થઈ રહી છે. હોસ્ટેલમાં રહેતા અનેક લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યાં રહેતાં લોકો પણ ઘવાયા છે. આશરે 50 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્ટિપલ ખસેડવામાં આવ્યા છે. તેમને સંભવિત તમામ સારવાર અપાઈ રહી છે. તેમની સ્થિતિ ગંભીર છે. બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિમાનમાં સવાર લોકોના વાલીઓ અને બાળકોને ડીએનએ સેમ્પલ આપવા અપીલ છે. જેથી મૃતકોની ઓળખ થઈ શકે. સિવિલ હોસ્પિટલ અમદાવાદે હેલ્પલાઈન નંબર 6357373831 અને 6357373841 જાહેર કર્યો છે. પરિજનો તેનો સંપર્ક સાધી પીડિતો વિશે માહિતી મેળવી શકે છે.


Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 3 - image



આ મોટી હસ્તી પણ ફ્લાઈટમાં સવાર હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સના ગ્રૂપ ફાઉન્ડર પ્રમુખ નંદા, અને તેમનો પરિવાર પણ આ એર ઈન્ડિયા ફ્લાઈટમાં સવાર હતો.  તેમના પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા ફ્લાઈટમાં સવાર હતાં. આ સિવાય લુબીના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીન પણ હતાં.

દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી હજુ ચાલુ

1.40 વાગ્યે બનેલી આ ભયાવહ દુર્ઘટનાની બચાવ કામગીરી હજુ ચાલુ છે. એનડીઆરએફ, બીએસએફ સહિતની સુરક્ષા ટુકડી અને 40થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તૈનાત છે. તમામ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સતત સેવામાં હાજર છે. સંભવિત તમામ બચાવ કામગીરી ચાલી રહી છે.

પુતિને પણ શોક વ્યક્ત કર્યો

રશિયાના પ્રમુખ પુતિને પણ અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂને સંવેદના સંદેશ પાઠવી દુઃખ વ્યક્ત કર્યુ હતું. આ હ્યદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં પુતિને કહ્યું કે, રશિયા આ કપરાં સમયમાં ભારતની સાથે છે અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરુ છું.

અમદાવાદ એરપોર્ટ ફરી કાર્યરત 

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ થોડા સમય માટે એરપોર્ટની કાર્યવાહી અટકાવાયા બાદ ફરી એકવાર ફ્લાઈટોનું સંચાલન શરૂ કરાયાની માહિતી મળી રહી છે.  

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 4 - image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા 

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 5 - image

300 થી 400 ફૂટ ઉછળ્યો કાટમાળ 

વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે. 

ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા 

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 6 - image


કઇ-કઈ ઈમારતોને નુકસાન થયું 

અતુલ્યમ 1, 2, 3 અને 4 બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટના સ્થળ પર ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ફોરેન્સિંક એક્સપર્ટની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.

પીએમ મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું 

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 7 - image

દુર્ઘટનાનું કારણ શું? 

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સૌપ્રથમ એક એવી બિલ્ડિંગ સાથે અથડાયું હતું જ્યાં મેસ (ભોજનાલય) ચાલતી હતી.

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 8 - image

ટેઈલના બે ટુકડા થયા, અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું

મળતી માહિતી મુજબ, ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી  મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે.

આબાદ બચી PG હોસ્ટેલ, મોટી જાનહાનિ ટળી

દુર્ઘટનામાં એક રાહતની વાત એ છે કે, જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ આવેલું છે, જેમાં PG (પેઈંગ ગેસ્ટ) હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. જો પ્લેન આ PG હોસ્ટેલને અથડાયું હોત, તો જાનમાલની અત્યંત મોટી અને ભયાવહ હાનિ થવાની આશંકા હતી. મહત્વની વાત એ છે કે પ્લેન કોઈ બિલ્ડિંગમાં ઘૂસી ગયું ન હતું, પરંતુ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જો પ્લેન કોઈ બિલ્ડિંગ પર સીધું ક્રેશ થયું હોત કે તેમાં ઘૂસી ગયું હોત તો કદાચ તેનાથી પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ હોત. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, અને દુર્ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.

હોસ્ટેલ પર વિમાન અથડાતા ભયાવહ દ્રશ્યો સર્જાયા

મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.

જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા

આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.

રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના

એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.

વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું

આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર 

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ટ્વિટ 

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 9 - image

દુર્ઘટનાસ્થળે આગ કાબૂમાં, બચાવ કામગીરી ઝડપી બનાવાઈ 

અત્યારે ઘટનાસ્થળેથી મળતી માહિતી અનુસાર વિમાનને કારણે લાગેલી આગ કાબૂમાં આવી ગઇ છે અને એનડીઆરએફ તથા અન્ય બચાવ ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. 

15 જેટલાં રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત

આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઈમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈમારત આગમાં લપેટાઈ જતાં ધૂમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. 

નાગરિકોને દુર્ઘટનાસ્થળેથી દૂર રહેવા અપીલ 

માહિતી અનુસાર લોકોને દુર્ઘટના સ્થળ તથા સિવિલ હોસ્પિટલ નજીક ખોટી ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે અને આ સાથે દુર્ઘટનાસ્થળથી દૂર રહેવા જણાવાયું છે. આ સાથે ડૉક્ટરોની ટીમ અને સહાયકકર્મીઓને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે. 

અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના 

માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના થયા છે. 

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા 

વિમાન દુર્ઘટનાની જાણકારી મળતાં  જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા. તેઓ કડી ગયા હતા. 

મૃતકોમાં 8 ડૉક્ટર હોવાની માહિતી 

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 242 મુસાફરો હતા જેમાં 12 ક્રૂ મેમ્બર્સ હતા. હાલમાં મળી આવેલા મૃતદેહોમાં 8 જેટલાં ડૉક્ટરો હોવાની જાણકારી મળી રહી છે. 

વિમાનમાં કયા કયા દેશોના લોકો સવાર હતા? 

1 કેનેડિયન નાગરિક 

53 બ્રિટનના નાગરિક 

7 પોર્ટુગલના નાગરિક 

169 ભારતીય નાગરિક 

Ahmedabad Plane Crash : 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલ લવાયા, એક મુસાફરનો ચમત્કારિક બચાવ 10 - image

પીએમ મોદી થયા એક્ટિવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જોડે કરી વાતચીત, ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી. તેમણે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ કોલ કર્યો હતો અને ઘટના વિશે તાગ મેળવ્યો હતો. એવી માહિતી છે કે પીએમ મોદી અને અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. 

પેસેન્જરની યાદી સામે આવી, પહેલા જ પાનામાં રૂપાણીનું નામ 

અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ માટે બંધ 

આગામી અહેવાલ સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવામાં આવ્યું છે. 

25થી વધુ મૃતદેહો બળી ગયેલી હાલતમાં મળ્યાં 

અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 25 થી 30 મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે જે મોટાભાગે બળી ગયેલી હાલતમાં મળ્યાં છે. 

ઉડાન ભરતાં જ વિમાન બે મિનિટમાં ક્રેશ

સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમને કર્યો કોલ 

આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.   દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે. 

ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન  

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઇટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે. 


સિવિલ હૉસ્પિટલના તબીબોને ફરજ પર હાજર થવા આદેશ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હૉસ્પિટલના તમામ ડૉક્ટરોને ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હૉસ્પિટલ જવા માટે રવાના થઈ ગયા છે.

ફાયર બ્રિગેડ, પોલીસ, BSF દ્વારા બચાવ કાર્ય શરુ 

આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઈ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હૉસ્પિટલ ખસેડાઈ રહ્યા છે. 

સિવિલ હૉસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?

પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હૉસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે. 

Tags :