Get The App

જોહાનિસબર્ગમાં સામૂહિક હત્યાકાંડ બેફામ ગોળીબારમાં 12 લોકોના મોત

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
જોહાનિસબર્ગમાં સામૂહિક હત્યાકાંડ બેફામ ગોળીબારમાં 12 લોકોના મોત 1 - image

- 10થી વધુ બંદુકધારીઓનો સ્લમ વિસ્તારમાં હુમલો

- ગેરકાયદે માઇનિંગ માટે કુખ્યાત વિસ્તારમાં ગોળીબારમાં નવથી વધુ ઘાયલ, અદાવતમાં હત્યાઓ થયાની શંકા

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં પૂર્વ ક્લીવલેન્ડમાં બંદુકધારીઓ દ્વારા બેફામ ગોળીબાર કરાયો હતો જેમાં ૧૨ લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. રાત્રે ૧૧ વાગ્યા બાદ એક સ્લમ વિસ્તારમાં ગોળીબાર થયો હોવાની જાણ થતા પોલીસ દોડી આવી હતી, જોકે તપાસ કરતા અલગ અલગ જગ્યાએ અનેક મૃતદેહ મળી આવ્યા હતા. 

પોલીસે જણાવ્યું હતું કે ૧૦થી વધુ શંકાસ્પદો કથિત રીતે એક સફેદ ટોયોટા કારમાં આવ્યા હતા અને સ્લમ વિસ્તારમાં બેફામ ગોળીબાર કરતા ગયા હતા. હુમલાખોરો બે રસ્તેથી અંદર ઘૂસ્યા હતા અને ગોળીબાર કરી દીધો હતો. એવા આરોપો થઇ રહ્યા છે કે ક્લીવલેન્ડમાં એક પેટ્રોલ સ્ટેશન પાસે ૧૦થી વધુ બંદુકધારીઓ આવી પહોંચ્યા અને હુમલો કરી દીધો હતો. હુમલામાં ૧૨થી વધુ લોકો માર્યા ગયા છે. જોકે હુમલા પાછળનું કારણ શું છે તેને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. 

એવા અહેવાલો છે કે જે વિસ્તારમાં ગોળીબાર થયો ત્યાં ગેરકાયદે માઇનિંગ કરનારા લોકો રહે છે તેથી બદલાની ભાવનાથી આ હુમલો કરાયો હોવાની પોલીસને શંકા છે. પોલીસે જણાવ્યું હતું કે એક વાહનમાં હુમલાખોરો આવ્યા અને પછી જે પણ દેખાયુ તેના પર ગોળીબાર કરી દીધો. સ્થળ પર જ આઠ પુરુષો અને ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય નવ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અપાઇ રહી છે. પોલીસ કમિશનર ટોમી થોમબેનીએ કહ્યું હતું કે આ સમગ્ર વિસ્તાર ગેરકાયદે માઇનિંગ માટે કુખ્યાત છે, અહીંયા સોનાનું માઇનિંગ પણ થાય છે જેને બાદમાં બ્લેક માર્કેટમાં વેચવામાં આવે છે.

 આ સામૂહિક હત્યાકાંડ પાછળનું કારણ ગેરકાયદે માઇનિંગ પણ હોઇ શકે છે.