2023માં ચૂંટણીનો માહોલ કોંગી સામે જૂથવાદની ચેલેન્જ
Updated: Jan 4th, 2023
- કર્ણાટકને ભાજપ સાચવી શકશે ખરૂં?
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
- કે. ચન્દ્રશેખર રાવની પકડ પ્રજા પર સારી છે કેમકે તેમણે ઔવૈસીની સાથે હાથ મિલાવેલા રાખ્યા છે
રાજકારણના જંગમાં ભાજપ વિશ્વાસ પૂર્વક આગળ વધી શકે એવી સ્થિતિ ઊભી થઇ છે. ગુજરાતમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે ૨૦૨૩માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપે તૈયારી શરૂ કરી છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરી આવી શક્યું નથી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પેારેશનમાં ભાજપને એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર નડી ગયું હતુ.
૨૦૨૩માં જે રાજ્યોમાં ચૂંટણી છે તેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ અને મિઝોરમ સહીતના કેટલાક ઉત્તર પૂર્વના રાજ્યોનો સમાવેશ થાય છે. કેટલીક ચૂંટણીઓ ૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં છે તો કેટલીક છેલ્લા છ મહિનામાં છે. ચર્ચા એ વાતની થાય છે કે દક્ષિણના રાજ્યોમાં જ્યાં ભાજપની મજબુત પકડ છે તે કર્ણાટકને ભાજપ સાચવી શકશ ખરૂં? જો કે વડાપ્રધાનની વ્યૂહ રચના પર ભાજપને ભરોસો છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બોમ્માઇએ પ્રજા પર સારી પકડ રાખી છે પરંતુ વિપક્ષ અહીં મજબૂત બન્યો છે. બીજી તરફ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદુઆરપ્પા ભાજપના મોવડીમંડળ માટે માથાના દુખાવા રૂપ બની ગયા છે.
કોંગ્રેસની જૂથબંધી અને પ્રાદેશિક પક્ષ જેડી(એસ) પણ પડકાર ઉભો કરી શકે એમ છે . જોકે ભાજપના લાભ એ વાતનો છે કે કોંગ્રેસના વોટ જેડી(એસ) તોડી શકે છે. કર્ણાટકની બોમ્માઇ સરકારે નોકરીમાં અને શિક્ષણમાં નવા જાતિવાદી જૂથેા માટે રિઝર્વેશન માટેની લોલી પોપ બતાવી છે તેમજ ચૂંટણી સમયે હિજાબ અને યુનિવર્સલ સિવિલ કોડના મુદ્દે પણ વિવાદ થઇ શકે છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશની વાત કરીએે તો ભાજપ અહીં સારી સ્થિતિમાં છે. રાજસ્થાનમાં ભાજપને કોંગ્રેસનો જૂથવાદ જીતાડશેે અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા જાળવી રાખશે કેમકે કોંગ્રેસની જૂથબંધી ભાજપની મદદે આવશે. કમલનાથ અને દિગ્વિજય સિંહ હજુ સામસામા શિંગડા ભરાવી રહ્યા છે જ્યારે ભાજપમાં એવું નથી.
છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તા પોતાની પાસે રાખી શકે એવું દેખાઇ રહ્યું છે કેમકે મુખ્યપ્રધાન ભૂપેશે તેમના નજીકના પ્રતિસ્પર્ધીને મનાવવામાં સફળતા મેળવી છે જ્યારે ભાજપ તેના એક સમયના મુખ્ય પ્રધાન રમણસિંહની જગ્યાએ કોઇ મજબૂત ઉમેદવાર શોધી શક્યું નહોતું.
તેલંગાણા પણ આ વર્ષે ચૂંટણી જંગમાં આવશે. ભાજપની સ્થિતિ પડકારજનક છે. સત્તાધારી પક્ષ ભારત રાષ્ટ્રીય સમિતિ (ભૂતકાળનો તેલંગાણા) સામે નજીકના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસ નથી પણ ભાજપ છે. મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવની પકડ પ્રજા પર સારી છે કેમકે તેમણે અનેક મફત સવલતો આપી છે ઉપરાંત હૈદ્રાબાદના અસઉદ્દીન ઔવૈસીના સ્થાનિક પક્ષ સાથે હાથ મિલાવેલા રાખ્યા છે.
ભાજપે પાસે કે.ચંન્દ્રશેખરના વિરોધી મતો છે, તેમજ ભાજપ ત્યાં હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને મતદારોના મોટા વર્ગને આકર્ષી શકે છે. તેલંગાણાંમાં ચાલતા કુટુંબવાદને પણ ભાજપ મુદ્દો બનાવી શકે છે.
અહીં નોંધ પાત્ર વાત છે કે આમ આદમી પાર્ટી ક્યાંય લડવાની નથી. પરંતુ અરવિંદ કેજરીવાલ પોતાની હાજરી બતાવવા પણ છેલ્લે જંગમાં કૂદી પડે એમ છે. પરંતુ આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદીનો પ્રચાર અને તેમનો મહત્તમ પ્રભાવ પણ જોવા મળશે.મોદી જેવો પ્રચાર કે તેમને પડકારનાર કોઇ નહીં મળે તે પણ હકીકત છે કેમકે ભારત જોડો યાત્રા કરનાર રાહુલ ગાંધી પણ તેમને પડકારી શકે એવું વ્યક્તિત્વ ઉભું કરી શક્યા નથી.
અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ની વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૪ના લોકસભાના જંગની સેમિફાઇનસ સમાન છે એમ માનવાની જરૂર નથી કેમકે ભાજપ શાસિત રાજ્યો મોદી માટે સહાયરૂપ બની જવાના છે.