Ahmedabad Subhash Bridge: અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અને શહેરના પ્રવેશદ્વાર સમાન સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજને આખરે તોડી પાડવાના નિર્ણય અંગે અટકળો ચાલી રહી છે. 50 વર્ષથી વધુ જૂના આ બ્રિજના સ્ટ્રક્ચરમાં તાજેતરમાં ગંભીર ખામીઓ સર્જાયા બાદ વિવિધ નિષ્ણાત સંસ્થાઓના અભિપ્રાયને આધારે આ આખરી નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચોઃ કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે? 5000 કરોડના વીમા કવચમાં AMCનું ભોપાળું
નિષ્ણાતોનો અભિપ્રાય
ગત 4 ડિસેમ્બરે સાંજે સુભાષ બ્રિજમાં તિરાડો પડવાની અને એક સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક બ્રિજ બંધ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. AMC એ બ્રિજની મજબૂતાઈ ચકાસવા માટે IIT રૂડકી, IIT મુંબઈ, SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓની મદદ લીધી હતી. કન્સલ્ટન્ટ એજન્સીઓએ મંગળવારે (23 ડિસેમ્બર) પોતાનો રિપોર્ટ AMCને સુપરત કર્યો હતો. રિપોર્ટમાં સમસ્યાના ઉકેલ માટે મુખ્ય ત્રણ વિકલ્પો સૂચવવામાં આવ્યા હતા.
- બ્રિજને તોડી પાડવો.
- ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો પિલ્લર ઉભો કરી મજબૂતાઈ આપવી.
- બ્રિજનું ઉપરનું સ્ટ્રક્ચર બદલીને સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવવું.
જોકે, એજન્સીઓએ સ્પષ્ટ સલાહ આપી હતી કે, બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ થઈ ચૂક્યું છે, તે જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને વર્તમાન ટ્રાફિકના ભારણને વહન કરવા સક્ષમ નથી. આથી, નાગરિકોની સલામતી અને શહેરના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખતા જૂના બ્રિજને તોડીને નવો બનાવવો જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
R&B અધિકારીએ આપી માહિતી
આ વિશે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારી જયેશ પટેલે જણાવ્યું કે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બુધવારે (24 ડિસેમ્બર) સાંજે તમામ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટ પરથી ચર્ચા કરી નિર્ણય લેવાશે કે બ્રિજ તોડવો કે નહીં.


