પત્ની દ્વારા આત્મહત્યાનો પ્રયાસ એ પતિ પર ભયંકર માનસિક ત્રાસ અને ક્રૂરતાઃ હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, લગ્નજીવનની તકરારમાં પત્ની દ્વારા આત્મહત્યાનો પ્રયાસ એ અત્યંત કઠોર પરિસ્થિતિ છે અને ભયંકર માનસિક ક્રૂરતા સમાન ગણાય. જે સ્વાભાવિક રીતે જ પતિ માટે પત્નીના સમાજમાંથી ખસી જવા માટેનું વાજબી બહાનું બની જાય છે. પત્નીના આવા પ્રયાસ પતિને કાયમી ચિંતા અને ભાવનાત્મક વમળમાં કથિત રીતે ફસાયેલા રહેવા માટે મજબૂર કરે છે. જસ્ટિસ સંજીવ ઠાકરે પત્ની તરફથી વૈવાહિક જીવનના અધિકારો પરત મેળવવા દાદ માંગતી અરજીને ફગાવતા આ અવલોકન કર્યું હતું.
હાઈકોર્ટે ફગાવી અરજી
પત્નીને વૈવાહિક અધિકારો પરત કરવાનો ઈનકાર કરતાં ટ્રાયલ કોર્ટ અને એપેલેટ કોર્ટના હુકમોને પણ બહાલ રાખ્યા હતા. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આત્મહત્યાના પ્રયાસોથી ઉદ્ભવતી માનસિક ક્રૂરતાને અન્ય કોઈપણ કથિત માનસિક ક્રૂરતા સાથે સરખાવી ન શકાય. લગ્નજીવનમાં બંને વ્યકિતઓ પાસેથી કરૂણા અને ધીરજ સાથે બંધનને પોષવાની અપેક્ષા રાખવામાં આવે છે. ભલે હાલના કેસની જેમ ગમે તેટલા મતભેદ હોય. પ્રસ્તુત કેસમાં પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. એટલું જ નહી, પત્નીએ પતિના માનહાનિકારક પોસ્ટરો પણ છાપ્યા હતા. આ જાહેર અપમાન છે. આવા સંજોગોમાં વૈવાહિક અધિકારો પરત કરવાની અરજીનો નિર્ણય લેતી વખતે અદાલતોએ દરેક કેસના સંજોગો અને હકીકતોને ચકાસવા પડશે. વધુમાં, વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપન આપતી વખતે કોર્ટે જીવનસાથીના વર્તન અને વૈવાહિક અધિકારોના પુનઃસ્થાપનના ઇન્કાર કરવાના કારણો પણ ધ્યાનમાં લેવાના રહેશે.
આ પણ વાંચોઃ RTEમાં આજથી બીજો રાઉન્ડઃ પ્રવેશ વંચિતોને મળશે શાળા પુનઃપસંદગીની તક, 13 હજાર બેઠકો ખાલી
પત્ની દ્વારા આત્મહત્યાનો પ્રયાસ પતિ માટે માનસિક ક્રૂરતા
હાઇકોર્ટે ઉમેર્યું કે, પત્ની દ્વારા આત્મહત્યાના પ્રયાસનું કૃત્ય એ હતાશાનું પરિણામ છે, જે ઘણી વખત પતિ પર શારીરિક નિયંત્રણો લાવી શકે છે. પત્ની દ્વારા આ પ્રકારે આત્મહત્યાના પ્રયાસનું પગલું અને પતિના જાહેર અપમાન સાથે પોસ્ટરો છાપવાના આવા કૃત્યોને અવગણી ન શકાય. કારણ કે, આવી ધમકીઓ બળજબરીનું સાધન બની જાય છે અને પતિને કાયમી ચિંતા અને ભાવનાત્મક વમળમાં ફસાયેલા રહેવા માટે મજબૂર કરે છે. પતિ માટે શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ વૈવાહિક જીવન જીવવાનું અશકય બનાવે છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આ કેસમાં પત્ની દ્વારા આત્મહત્યાના પ્રયાસની સ્પષ્ટ કબૂલાત કરાઈ છે, તેને ધ્યાનમાં લેવી જોઈએ. પત્ની દ્વારા આ પ્રકારનું કૃત્ય પતિ પર ગુજારવામાં આવેલા માનસિક ક્રૂરતા સમાન લેખાશે અને તેથી પતિ હવે આ પ્રકારની વેદના સહન નહીં કરે.
આ પણ વાંચોઃ મ્યુનિ.કમિશનરનો આદેશ, પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન નહીં કરાવનારા માટે કડક નિતી બનાવો
હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
લગ્નજીવનના હક્કો ભોગવવાની રાહત નહીં આપવાના ટ્રાયલ કોર્ટ અને એપેલેટ કોર્ટના હુકમને પડકારતી પત્ની દ્વારા કરાયેલી અપીલમાં પતિ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, તેની પત્ની દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો અને પોસ્ટરો છાપીને તેને બદનામ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. તે ખૂબ ડરી ગયો હતો અને ભવિષ્યમાં ફરી આવું થાય તેની કલ્પના માત્રથી માનસિક તણાવ અને વેદના હેઠળ આવી જાય છે. ટ્રાયલ કોર્ટ અને એપેલેટ કોર્ટે તમામ હકીકતો ધ્યાનમાં લઈને જ યોગ્ય હુકમો કર્યા છે. હાઇકોર્ટે પત્ની તરફથી કરાયેલી અપીલ ફગાવી દઈ મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.