Ahmedabad Plane Crash: ગણતરીની મિનિટોમાં જ દર્દનાક દુર્ઘટના સર્જાઈ, ઘટનાસ્થળે ઉપરા-છાપરી બ્લાસ્ટ થયા હતા
Ahmedabad-London Plane Crash: અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેનમાં આગ લાગી હોવાનો પહેલો કોલ બપોરે 1.45 કલાકે ફાયર વિભાગના પાલડી ખાતે આવેલા મુખ્ય કંટ્રોલરુમ ખાતે મળતા નરોડા જી. આઈ.ડી.સી. ફાયર સ્ટેશનથી બે ફાયર ફાઈટર ઘટના સ્થળે મોકલાયા હતા. એ સમયે આટલી મોટી દર્દનાક દુર્ઘટના બની હશે એની કલ્પના માત્ર કરી શકાઈ નહતી. સ્થળ ઉપર પહોંચ્યાની પાંચ મિનિટની અંદર જ ઉપરા છાપરી બેથી ત્રણ બ્લાસ્ટ થતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો.
ફાયર ફાઈટર, વોટરબાઉઝર, એમબ્યુલન્સ સાથે 350થી વધુના સ્ટાફને બોલવવો પડયો હતો. પ્લેન ક્રેશ થતાં લાગેલી આગ તો એક કલાકની અંદર કાબૂમાં લઈ લેવાઈ હતી. નિકોલ ફાયર સ્ટેશન ખાતે ફાયરમેન તરીકે ફરજ બજાવતા રુઘનાથસિંહ નામના ફાયરમેનને ફરજ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ગણતરીની મિનિટમાં હતુ -નહતુ બની ગયુ હતુ.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE UPDATES : 265 લોકોના મૃતદેહ સિવિલમાં લવાયા, આજે PM મોદી અમદાવાદ આવે તેવી શક્યતા
ગુરુવારે બપોર ફાયર કંટ્રોલ રુમને જે સમયે કોલ મળ્યો હતો એ સમયે આટલી મોટી દર્દનાક ઘટના ઘટી હશે એની તો કલ્પના જ કરી નહતી. નરોડા જી.આઈ.ડી.સી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈ સ્થળ ઉપર પહોંચ્યા.આગ ઓલવવાની કામગીરીની શરુઆત કરાઈ તે સમયે જ ઘડાકાભેર બ્લાસ્ટ થતા પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનો અણસાર આવી ગયો હતો.તેમણે તરત જ કંટ્રોલને જાણ કરતા નિકોલ, ઓઢવ, શાહપુર સહિતના અન્ય ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઈટર અને દસ જેટલા વોટર બાઉઝર સાથે સ્ટેશન ઓફિસર, જવાનો સાથેના સ્ટાફને પહોંચતો કરાયો હતો.
એડીશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ,બ્રિગેડ કોલ જાહેર કરાયા પછી ચીફ ફાયર ઓફિસર, એડીશનલ ચીફ ફાયર ઓફિસર ,ચાર ડેપ્યુટી ફાયર ઓફિસર, 15 સ્ટેશન ઓફિસર, 337 ફાયરમેન 60થી વધુ ફાયરના વાહન સાથે પ્લેન ક્રેશ થવાના કારણે લાગેલી આગ હોલવવા અલગ અલગ લોકેશન ઉપરથી પાણીનો સતત મારો ચલાવી રહયા હતા. પ્લેન ધડાકાભેર તૂટી પડવાના કારણે લાગેલી પ્રચંડ આગના ધુમાડાના કારણે આગ હોલવવા અંદર જતી વખતે ખુબ સતર્કતા રાખવી પડી હતી.
આ પણ વાંચો: BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો
એમ કહી શકાય કે બપોરે 1.45 કલાકે લાગેલી આગ એક કલાકની અંદર કાબૂમાં લઈ શકાઈ હતી.પરંતુ વિમાન ક્રેશ થયુ એ પછી અલગ અલગ વિસ્તારમાં એના ભાગ તુટીને પડયા હતા.જેને લઈ કોઈ અંદર હોય તો તેને બહાર કાઢી બચાવવાની કામગીરી પાંચ કલાક જેટલી ચાલી હતી. ઘણાં વર્ષો પછી અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાને પગલે મૃત્યુ પામેલાઓની જે સ્થિતિ જોઈ એ કોઈપણ માટે હૃદય દ્વાવક હતી.
અમદાવાદની સાથે વડોદરા ફાયર, ઓ.એન.જી.સી., એન.ડી.આર.એફની ટીમ જોડાઈ
અમદાવાદ ફાયર વિભાગની સાથે પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે રાહત અને બચાવની કામગીરી માટે વડોદરાથી ફાયરના વીસ વાહન સાથેની ટીમ અમદાવાદ પહોંચી હોવાનુ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કહયુ હતુ. આ ઉપરાંત ઓ.એન.જી.સી., એન.ડી. આર.એફ., ગાંધીનગર ફાયર વિભાગ, ગિફટ સિટી, સિવિલ ડીફેન્સની ટીમોએ પણ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરુ કરી દીધી હતી.
200 થી વધુ વાહનોની મદદ લેવાઈ
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા વીસથી વધુ એમ્બ્યુલન્સ ઉપરાંત 60 ફાયર ફાઈટર તથા વીસ જેટલા વોટર બાઉઝરની મદદથી આગ હોલવી હતી. આ ઉપરાંત વિમાનના કાટમાળને દુર કરવા સેન્ટ્રલ વર્કશોપના 159 વાહનો ,15 જેસીબી, પાંચ એકસકેવેટર, 25 ટ્રક અને એક રોલર સાથે સ્ટાફ કામગીરીમાં લાગ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ કેવી રીતે થયું? જુઓ Graphic Animationમાં
ઈજનેર અને હેલ્થ વિભાગના સ્ટાફને કામે લગાડાયો
વિમાન દુર્ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 130 ઈજનેર અને હેલ્થ વિભાગના 100થી વધુ અધિકારીઓને તાત્કાલિક ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા.
મ્યુનિ.સંચાલિત હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે વ્યવસ્થા કરાઈ
પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમની ટીમ સાથે રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગયા હતા.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર આપવા વ્યવસ્થા કરાઈ હતી.રજા ઉપર ગયેલા તબીબોને ફરજ ઉપર પરત બોલાવાયા હતા. હોસ્પિટલોમાં બલ્ડની બોટલોની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરાઈ હતી.