Get The App

વિસાવદરમાં ભાજપે સૌને ચોંકાવ્યા: ભાયાણી અને રીબડિયાને પક્ષપલટો કર્યાં પછીય ફાયદો નહીં

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
વિસાવદરમાં ભાજપે સૌને ચોંકાવ્યા: ભાયાણી અને રીબડિયાને પક્ષપલટો કર્યાં પછીય ફાયદો નહીં 1 - image


Visavadar By-Election: વિસાવદર બેઠક પર ભાજપે નવા ચહેરાની પસંદગી કરીને સૌને ચોકાવ્યાં છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસને અલવિદા કહી પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કમલમ તરફ દોટ મૂકી હતી. આ બંને પક્ષપલટુઓ વિસાવદર બેઠક માટે મજબૂત દાવેદાર હતાં તેમ છતાંય ભાજપે નવોદિત ચહેરા તરીકે કિરીટ પટેલને ચૂંટણી મેદાને ઉતારી સૌને ચોંકાવ્યાં હતાં. આ કારણોસર ભાયાણી અને રીબડિયાની ચૂંટણી લડવાની ઇચ્છા અઘૂરી રહી ગઈ છે. 

વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ

ઓપરેશન લોટસને કારણે ભૂપત ભાયાણીએ વિસાવદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યુ હતું. આ રાજીનામાને લીધે જ વિસાવદરની બેઠક ખાલી પડી હતી. રાજકીય સોદો થતાં ભાયાણી જ ભાજપના ઉમેદવાર હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતું. આ ઉપરાંત કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરનારાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાને પણ ભાજપ ટિકિટ આપશે તેવું સ્થાનિક નેતાઓ માની રહ્યાં હતાં. પક્ષપલટો કર્યા પછી રાજકીય ફાયદો મેળવવાની બંને નેતાઓની ગણતરી ઉંધી પડી છે. બંને પક્ષપલટુ નેતાઓને ભાજપે હાંસિયામાં ધકેલી દીધા છે. વિસાવદર બેઠક પર કિરીટ પટેલને ચૂંટણી મેદાને ઉતારતાં ભાયાણી અને રીબડિયા જાણે ન ઘરના, ન ઘાટના બની રહ્યાં હતાં.   

આ પણ વાંચોઃ સચિવાલય સંકુલના AC માટે 110 કરોડ ખર્ચાશે, સરકારી બાબુઓ ઠંડી હવામાં ફાઇલોનો નિકાલ કરશે

હવે જ્યારે ભાજપ અને કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારો પર પસંદગી ઉતારી છે ત્યારે વિસાવદર બેઠક પર ત્રણ પાટીદાર ઉમેદવાર વચ્ચે ક્શ્મકશભર્યો ચૂંટણી જંગ જામશે. ભાજપ માટે વિસાવદરની બેઠક જીતવી પડે તેમ છે કેમકે, આ બેઠક અત્યાર સુધી ભાજપના ફાળે આવી શકી નથી. તે જોતાં ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સહિતના દિગ્ગજ નેતાઓને આ બેઠક જીતવા જવાબદારી આપી છે. વર્ષ 2022માં વિસાવદર બેઠક આપના ફાળે ગઈ હતી. આપે આ વખતે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપની સૌથી મોટી ચેલેન્જ એ છે કે, ઈટાલિયાને ગાંધીનગર આવતા રોકે. આ તરફ, આપે પણ આ બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. ટૂંકમાં, વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે.

‘ઓપરેશન સિંદૂર’ ભાજપનો ચૂંટણી મુદ્દો બની શકે છે

કડી અને વિસાવદર બેઠકો પર ભાજપ, કોંગ્રેસે ઉમેદવારોએ અંતિમ દિવસે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેટાચૂંટણીમાં પણ ભાજપ ઓપરેશન સિંદૂરને ચૂંટણી મુદ્દો બનાવી મતદારોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન આ વાત ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી હતી ત્યારે પેટાચૂંટણીમાં પણ ઓપરેશન સિંદૂર ગાજી શકે છે. 

આ પણ વાંચોઃ વિસાવદર પેટા ચૂંટણી: આઠ વર્ષમાં ભાજપના કરોડપતિ ઉમેદવારની જંગમ મિલકત બમણી

ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પાછળ ધકેલાઈ

છેલ્લાં ઘણાં વખતથી ગુજરાત ભાજપના સુકાનીને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે. કોને ગુજરાત ભાજપનું સુકાન સોંપાશે તે મુદ્દે રાજકીય અટકળો પણ વહેતી થઈ હતી. પણ હવે જ્યારે કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર થઈ છે ત્યારે આ મુદ્દો ફરી એકવાર પાછળ ધકેલાયો છે. કેમકે, વિસાવદર બેઠક ભાજપ માટે જીતવી જરૂરી છે. છેલ્લાં 18 વર્ષથી આ બેઠક ભાજપને ફાળે આવી નથી. કડીમાં પણ સરળતાથી જીત મેળવી શકાય તેવી સ્થિતિ નથી. આ સંજોગોમાં હાલ નવા પ્રદેશ પ્રમુખ નિમાય તેવા સંજોગો નથી. એટલે બધું યથાવત્ જાળવી પેટાચૂંટણી જીતવા ભાજપે કવાયત હાથ ધરી છે.


Tags :