સચિવાલય સંકુલના AC માટે 110 કરોડ ખર્ચાશે, સરકારી બાબુઓ ઠંડી હવામાં ફાઇલોનો નિકાલ કરશે
AC in Gandhinagar Secretariat : સરકારી કર્મચારીઓની કાર્યદક્ષતામાં સુધારો થાય તે માટે હવે સરકારે નવુ તૂત શોધી કાઢ્યુ છે. સરકારી બાબુ અને કર્મચારીઓને ઠંડક મળી રહે તે માટે રાજ્ય સરકાર રૂા.110 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવા જઇ રહી છે. ગાંધીનગરમાં સચિવાલયમાં બધાય બ્લોકની કચેરીઓ હવે એર કંડીશનરથી સજ્જ કરાશે. સચિવાલયમાં બધાય વિભાગોમાં ફાઇલોના ઢગલાં થયા છે, પ્રજાના કામો ટલ્લે ચડ્યાં છે તેમ છતાંય કાર્યદક્ષતાના બહાને સચિવાલયને કરોડોના ખર્ચે ઠંડકભર્યુ બનાવવા નક્કી કરાયુ છે.
કર્મચારીઓની માત્ર પાંચ જ દિવસ કામ કરવાની માંગ
ગુજરાત વહીવટી સુધારણા આયોગે ભલામણ કરી છે કે, ગ્લોબલ વોર્મિગ અને ક્લાઇમેટ ચેન્જ ને કારણે તાપમાનમાં દિને દિને વધારો થઇ રહ્યો છે. તાપમાનને કારણે અધિકારી-કર્મચારીઓના સ્વાસ્થય પર જ નહીં, કાર્યક્ષમતા પર અસર થઇ રહી છે. આ કારણોસર સરકારી બાબુ અને કર્મચારીઓની કાર્યકારી પરિસ્થિતીમાં સુધારો લાવવા સચિવાલયમાં બ્લોક નંબર-1થી માંડીને બ્લોક નંબર-14ને સેન્ટ્રલ એસી પ્લાન્ટથી સજ્જ કરાશે. રૂા.110 કરોડના ખર્ચે સચિવાલય સંકુલને સંપૂર્ણપણે વાતાનુકુલિન બનાવવા નક્કી કરાયુ છે.
આ પણ વાંચો: વિસાવદર પેટા ચૂંટણી: આઠ વર્ષમાં ભાજપના કરોડપતિ ઉમેદવારની જંગમ મિલકત બમણી
એક તરફ, સરકારી કર્મચારી મહામંડળે શનિ-રવિવારની ફરજિયાત રજા સાથે અઠવાડયામાં માત્ર પાંચ દિવસ જ ઓફિસ વર્ક કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. બીજી તરફ, સરકારી વિભાગોમાં ફાઇલોના ઢગલાં થયાં છે. સિસ્ટમમાં બદલાવ લાવ્યા પછીય સરકારી કામોમાં ગતિ આવી શકી નથી. અરજદારોને સચિવાલયના ધરમધક્કા ખાવા પડી રહ્યાં છે. ગોકળગાય ગતિએ થતાં કામોને કારણે સચિવાલયમાં મુલાકાતીઓની સંખ્યામાં ય ઘટાડો થયો છે.
આ સ્થિતિમાં હવે અધિકારી-કર્મચારીઓની કાર્યદક્ષતામાં સુધારો લાવવાના બહાને કરોડોના ખર્ચે એસી નાંખવાનું નક્કી થયુ છે. વાસ્તવમાં સચિવાલયને સંપૂર્ણ વાતાનુકુલિન બનાવ્યાં પછી લોકોના કામો ઝડપી શકે તે ખુદ સરકાર પણ કહી શકે તેમ નથી. છતાંય ગુજરાત વહીવટી સુધારણા આયોગની ભલામણ પછી એસીથી સજ્જ સચિવાલયમાં પ્રજાના કામોમાં કેટલી ગતિ આવશે તે તો સમય પર જ ખબર પડશે.