Get The App

વડોદરા : રૂ.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી સોનેશ પટેલને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા : રૂ.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી સોનેશ પટેલને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ 1 - image

Vadodara Court : વડોદરામાં મિત્રતાના આધારે આપેલી આર્થિક મદદ પરત ન કરતાં અને રૂ.50 લાખનો ચેક બાઉન્સ થતાં દાખલ થયેલા કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે સાથે ચેકની રકમ રૂ.50 લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. 

ફરિયાદી ચતુર ગોરધનભાઈ દુધાત (રહે. વાસણા ભાયલી રોડ) જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે જૂના પાદરા રોડ પરના પોતાના મકાનનું રી-ડેવલપમેન્ટ કરી ત્યાં કોમ્પલેક્ષ બનાવ્યું હતું. આ કોમ્પલેક્ષમાં આરોપી સોનેશ રાવજીભાઈ પટેલ (રહે. આત્મજ્યોતિનગર, ઇલોરાપાર્ક, વડોદરા) એ ત્રીજા માળે ઓફિસ ખરીદી હતી. આ વ્યવહારમાં બંને વચ્ચે ઓળખાણ અને પછી મિત્રતા થઈ હતી.

વર્ષ 2024 દરમિયાન સોનેશે નાણાકીય જરૂરિયાત જણાવી ચતુરભાઈને તેની માતાનું ડ્રીમ કિસ્ટલ સ્કીમમાં આવેલ મકાન વેચાણ માટે આપવાની વાત કરી હતી. મકાનની કિંમત રૂ.1.20 કરોડ નક્કી કરી બાનાખત લખાઈ હતી અને ચતુરભાઈએ રૂ.50 લાખ આરટીએજીએસ મારફતે ચૂકવ્યા હતા. ત્યારબાદ મિલકતના અવેજ પેટે રૂ.25 લાખ વધુ આપ્યા હતા.

પછી સોનેશે ધંધા માટે રૂ.1.40 કરોડની માંગણી કરી હતી અને એક મહિના બાદ મોટું પેમેન્ટ આવવાનું જણાવી અને મકાનના વેચાણ પેટે બાકી રહેલા રૂ.45 લાખ સહિત રકમ પરત આપવાની ખાતરી આપી હતી. મિત્રતાના વિશ્વાસે ચતુરભાઈએ રૂ.1.40 કરોડ આપ્યા હતા. 

આ રકમમાંથી પરતફેર તરીકે સોનેશે આપેલો રૂ.50 લાખનો ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. ત્યારબાદ ચતુરભાઈએ ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ તેમના વકીલ પ્રશાંત કાપડિયા દ્વારા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

આ કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇફ્તેખારહુસેન સૈયદની કોર્ટમાં ચાલી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની તપાસ બાદ કોર્ટે આરોપી સોનેશ પટેલને એક વર્ષની કેદની સજા ફટકારી છે અને રૂ.50 લાખ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. સોનેશ પટેલને અગાઉ 30 લાખના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા થઈ હતી.

રૂ.5 કરોડની છેતરપિંડી કેસમાં સોનેશ પટેલની સંડોવણી

મહીસાગર નદીના તટે રહેણાંક સ્કીમ બહાર પાડી જમીન ખરીદીના બહાને પાંચ શખ્સોએ ચારથી વધુ રોકાણકારો સાથે અંદાજે રૂ.5 કરોડની છેતરપિંડી કરી હોવાનો ગુનો આંકલાવ પોલીસ મથકે નોંધાયો હતો. આ કેસમાં પણ સોનેશ પટેલની સંડોવણી બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. દલાલ તરીકે કામ કરતા સોનેસ પટેલને નોન એગ્રીકલ્ચરલ જમીન આપવાની વાત થઈ હોવા છતાં તેણે 25 વીઘા જમીન ખેતીલાયક પધરાવી દીધી હતી. જોકે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ત્રણેય ભાગીદારો રફુચક્કર થઈ ગયા હતા. તદુપરાંત, વડોદરાના ચતુરભાઈ દુધાત પાસેથી આર્થિક જરૂરિયાત માટે લીધેલી રૂ.1.40 કરોડની રકમ પરત કરવા અંગેના રૂ.30 લાખના ચેક રિટર્ન કેસમાં સોનેશ પટેલને બે વર્ષની કેદની સજા તથા રૂ.30 લાખ વળતર ચૂકવવાનો હુકમ થયો હતો.